MEHSANA NEWS: મહેસાણાના મોઢેરા રોડ પર આવેલ ડૉ. બી.સી. હોલ ખાતે ઈપીએસ-95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના બેનર હેઠળ એક વિશાળ રાષ્ટ્રીય મહાસંમેલન યોજાયું હતું. દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ, વરિષ્ઠ નાગરિકો અને પેન્શનર્સ આ મહાસંમેલનમાં જોડાયા હતા. પેન્શનરોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને માંગણીઓ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે આયોજિત આ સંમેલનમાં કેન્દ્ર સરકાર સામે નારાજગી અને રોષ પણ જોવા મળ્યો હતો.
મહાસંમેલન દરમિયાન પેન્શનરોના હકો માટે છેલ્લા દાયકાથી ચાલી રહેલા આંદોલનની ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોનું કહેવું હતું કે લાખો નિવૃત્ત કર્મચારીઓ આજે પણ અત્યંત ઓછી પેન્શન પર જીવન જીવવા માટે મજબૂર છે, જેના કારણે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી છે.
ન્યૂનતમ ₹7,500 પેન્શન અને ડીએ મુખ્ય માંગ
સંમેલનમાં પેન્શનરોની મુખ્ય માંગ તરીકે તમામ EPS-95 પેન્શનર્સને ન્યૂનતમ રૂ. 7,500 માસિક પેન્શન સાથે મોંઘવારી ભથ્થું (DA) આપવાની માંગ ઉઠાવવામાં આવી હતી. ઉપરાંત, વાસ્તવિક પગારના આધારે ઉચ્ચ પેન્શનનો લાભ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના આપવામાં આવે અને તમામ પેન્શનરો તથા તેમના જીવનસાથીઓને મફત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.
આગેવાનોનું કહેવું હતું કે હાલ હજારો પેન્શનરોને દર મહિને માત્ર રૂ. 1,000 કે તેનાથી પણ ઓછી પેન્શન મળે છે, જે આજના મોંઘવારીના યુગમાં જીવનનિર્વાહ માટે પૂરતી નથી. દવાઓ, સારવાર, રહેઠાણ અને રોજિંદા ખર્ચમાં સતત વધારો થતો હોવાથી વરિષ્ઠ નાગરિકો ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.
સરકાર સામે આકરા પ્રહારો
મહાસંમેલનમાં ઉપસ્થિત રહેલા EPS-95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અશોકજી રાઉતે મીડિયા સાથે વાતચીત દરમિયાન સરકારની નીતિઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી પેન્શનરો પોતાના હક માટે સતત લડી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી માત્ર આશ્વાસનો જ મળ્યા છે.
તેમણે કહ્યું કે વડાપ્રધાન, કેન્દ્રીય નાણામંત્રી તેમજ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયા સાથે અનેક બેઠકો યોજાઈ છે. વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી છે, છતાં પેન્શનરોના પ્રશ્નોનો કોઈ કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી. સરકાર દ્વારા વારંવાર હકારાત્મક સંકેતો આપવામાં આવે છે, પરંતુ તે વાસ્તવિક નિર્ણયો સુધી પહોંચતા નથી.
અશોકજી રાઉતે જણાવ્યું હતું કે દેશના લાખો વરિષ્ઠ નાગરિકો આજે પોતાના જીવનના અંતિમ તબક્કામાં આર્થિક અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. જીવનભર દેશના ઉદ્યોગો અને સંસ્થાઓમાં સેવા આપનાર કર્મચારીઓને નિવૃત્તિ પછી માનસન્માનભર્યું જીવન જીવવાનો અધિકાર મળવો જોઈએ.
આ પણ વાંચો: GSRTCની બસોમાં આવી ડિજિટલ ક્રાંતિ : 8000થી વધુ બસોમાં QR ફીડબેક સિસ્ટમ, મુસાફરોનો વિશ્વાસ વધ્યો
લાખો પરિવારો પર અસર
EPS-95 યોજના હેઠળ દેશભરના કરોડો કર્મચારીઓ અને તેમના પરિવારો જોડાયેલા છે. નિવૃત્તિ પછી મળતી પેન્શન પર જ ઘણા પરિવારોનું જીવન નિર્ભર રહે છે. પેન્શનની ઓછી રકમને કારણે અનેક વરિષ્ઠ નાગરિકો સારવાર, દવાઓ અને આવશ્યક ખર્ચ પૂરા કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હોવાનું મહાસંમેલનમાં જણાવાયું હતું. સંમેલનમાં ઉપસ્થિત પેન્શનરોએ જણાવ્યું હતું કે મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ પેન્શનની રકમ વર્ષોથી લગભગ સ્થિર છે. જેના કારણે નિવૃત્ત કર્મચારીઓનું જીવન વધુ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે.
દેશવ્યાપી આંદોલનની ચીમકી
રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિએ સરકારને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો પેન્શનરોની લાંબા સમયથી પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો દેશવ્યાપી આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. પેન્શનરોનું કહેવું છે કે હવે માત્ર આશ્વાસનોથી કામ નહીં ચાલે, પરંતુ સરકાર દ્વારા સ્પષ્ટ અને અમલયોગ્ય નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે.
આગેવાનોનું માનવું છે કે વરિષ્ઠ નાગરિકોની સમસ્યાઓ માત્ર આર્થિક મુદ્દો નથી, પરંતુ સામાજિક સુરક્ષા અને માનવ ગૌરવ સાથે જોડાયેલો પ્રશ્ન છે. સરકાર દ્વારા સમયસર યોગ્ય પગલાં લેવામાં આવે તો લાખો પરિવારોને સીધો લાભ મળી શકે છે.






