NEET પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિ અને પેપર લીક બાદ દેશભરમાં વિદ્યાર્થીઓનો આક્રોશ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી ચર્ચામાં આવેલી ‘કોકરોચ જનતા પાર્ટી (CJP) પર હવે સરકારે આકરો પલટવાર કર્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પહેલીવાર CJP પર ખુલ્લેઆમ પોતાની વાત રજૂ કરી છે. એક ઈન્ટરવ્યુમાં શિક્ષણ મંત્રીએ આ વ્યંગાત્મક વિરોધ પ્રદર્શનને દેશને અસ્થિર કરવાનું એક સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે.
કોકરોચ જનતા પાર્ટીને આડે હાથ લીધી
અહેવાલ મુજબ, ધર્મેન્દ્ર પ્રધાને સીજેપી (CJP) ને આડે હાથ લેતા કહ્યું કે, ‘આ બીજું કંઈ નથી, પરંતુ દેશમાં અસ્થિરતા ઊભી કરનારા વિઘટનકારી તત્વોની ‘બી-ટીમ’ છે.’ તેમણે કડક શબ્દોમાં આરોપ લગાવ્યો કે જે લોકો લોકતાંત્રિક વ્યવસ્થામાં જનતા દ્વારા સંપૂર્ણપણે નકારી દેવામાં આવ્યા છે, તેઓ હવે વેશ બદલીને સામે આવી રહ્યા છે અને સમગ્ર પ્રણાલીને નિશાન બનાવી રહ્યા છે.
શિક્ષણ મંત્રીએ ત્યાં સુધી કહ્યું કે, આ એ જ લોકો છે જેઓ દેશના ભાગલા પાડવાનો ઈરાદો રાખનારાઓના સમર્થનમાં નારા લગાવે છે અને હવે તેમની ઓળખ સંપૂર્ણપણે થઈ ચૂકી છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે કેટલાક ખાસ તત્વોને દેશની પ્રગતિ અને વિકાસ પર બિલકુલ ભરોસો નથી.
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફરીથી યોજાઈ NEET પરીક્ષા
કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બરાબર એક દિવસ પહેલા દેશભરના ૨૨ લાખથી વધુ મેડિકલ ઉમેદવારોએ ફરીથી આયોજિત NEET પરીક્ષામાં ભાગ લીધો હતો. નોંધનીય છે કે ગયા મહિને પેપર લીકના ગંભીર આરોપો બાદ અગાઉ લેવાયેલી પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારથી જ ‘કોકરોચ જનતા પાર્ટી’ સતત રસ્તા પર ઉતરીને આ ગેરરીતિનો વિરોધ કરી રહી હતી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડેલી હતી.
વિવાદની ગંભીરતાને જોતા આ વખતે વહીવટીતંત્ર કોઈ જોખમ લેવા માંગતું ન હતું. આ જ કારણ હતું કે પુનઃપરીક્ષાનું આયોજન દેશના સશસ્ત્ર દળો અને રાજ્ય પોલીસ એકમોની અભૂતપૂર્વ સુરક્ષા દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.






