logo-img
Attempt To Throw Shoe At Cji In Supreme Court Accused Lawyer Detained

સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતુ ફેંકવાનો પ્રયાસ : આરોપી વકીલે બૂમ પાડી કહ્યું "અમે સનાતનનું અપમાન સહન નહીં કરીએ"

સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતુ ફેંકવાનો પ્રયાસ
Published by: Offbeat Team
| Last Updated: Oct 06, 2025, 10:43 AM IST

સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક ચોંકાવનારો દ્રશ્ય જોવા મળ્યું. એક વકીલે ચીફ જસ્ટિસ (CJI) બીઆર ગવઈ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો. આ ઘટના ત્યારે બની જ્યારે જસ્ટિસ બીઆર ગવઈ એક કેસની સુનાવણી કરી રહ્યા હતા. હુમલાના પ્રયાસ બાદ, કોર્ટ સ્ટાફે વકીલને પકડીને પોલીસને સોંપી દીધો. પોલીસે આરોપી વકીલ રાકેશ કિશોરની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે. એવું માનવામાં આવે છે કે મધ્યપ્રદેશના ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની 7 ફૂટ ઊંચી શિરચ્છેદિત પ્રતિમાના પુનઃસ્થાપન અંગે CJI ગવઈની ટિપ્પણીથી વકીલ રાકેશ નારાજ હતા.


સનાતનનું અપમાન કરવાનો આરોપ

કોર્ટરૂમમાં હાજર એક વકીલે જણાવ્યું હતું કે, કોર્ટરૂમમાંથી બહાર કાઢવામાં આવી રહી હતી ત્યારે વકીલે કહ્યું હતું કે, "ભારત સનાતનનું અપમાન સહન નહીં કરે."

'આવી ઘટનાઓથી કોઈ અસર થઈ નથી'

કાનૂની વેબસાઇટ બાર એન્ડ બેન્ચે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે, જ્યારે CJI ની આગેવાની હેઠળની બેન્ચ વકીલો સાથે કેસ અંગે સુનાવણી ચાલી રહી હતી, ત્યારે એક વકીલ આગળ દોડી ગયો અને મુખ્ય ન્યાયાધીશ પર હુમલો કરવા માટે પોતાનો જૂતો કાઢવાનો પ્રયાસ કર્યો. જોકે, સુરક્ષા કર્મચારીઓએ લગભગ તરત જ તેમને પકડી લીધા અને કોર્ટની બહાર લઈ ગયા. આ ઘટના પછી, મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે 'તેમને આવી ઘટનાઓથી કોઈ અસર થઈ નથી'. ત્યારબાદ તેઓ કાર્યવાહી ચાલુ રાખી હતી. એવું કહેવાય છે કે સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં વકીલની સંડોવણીની પણ તપાસ કરવામાં આવી રહી છે.

વકીલોએ હુમલાની નિંદા કરી

આ હુમલા બાદ વકીલોએ આરોપી વકીલ સામે વિરોધ શરૂ કર્યો છે. તેમણે આરોપી વકીલ સામે કાર્યવાહીની પણ માંગ કરી છે. વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે જણાવ્યું હતું કે, ''આ મામલાની સંપૂર્ણ તપાસ જરૂરી છે. આરોપી વકીલ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ ભારતની સુપ્રીમ કોર્ટ પર સ્પષ્ટ જાતિવાદી હુમલો લાગે છે. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને આની નિંદા કરવી જોઈએ અને કહ્યું હતું કે કોર્ટ વૈચારિક હુમલાઓને સહન કરશે નહીં''.


ભગવાન વિષ્ણુ વિશે શું ટિપ્પણી હતી?

મધ્યપ્રદેશના ખજુરાહોમાં જાવરી (વામન) મંદિરમાં ભગવાન વિષ્ણુની 7 ફૂટ ઊંચી તૂટેલી પ્રતિમાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. 16 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. અરજદારે દલીલ કરી હતી કે, આ નિર્ણય ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. કોર્ટે જણાવ્યું હતું કે, પ્રતિમા તેની મૂળ સ્થિતિમાં રહેશે. CJIએ જણાવ્યું હતું કે, જે ભક્તો પૂજા કરવા માંગે છે તેઓ અન્ય મંદિરોમાં જઈ શકે છે. જોકે, બે દિવસ પછી, CJI એ સ્પષ્ટતા કરી કે સોશિયલ મીડિયા પર તેમની ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી, અને કહ્યું હતું કે તેઓ બધા ધર્મોનું સન્માન કરે છે''.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now