Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં સોનાના દાગીનાની મોટી ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નિકોલ વિસ્તારમાં આવેલા સોના-ચાંદીના જ્વેલર્સના શોરૂમમાં કામ કરતી સેલ્સ ગર્લ જ કરોડો રૂપિયાના દાગીના લઈને ફરાર થઈ ગઈ છે. આરોપી યુવતી શોરૂમમાંથી આશરે 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીના લઈને ગાયબ થઈ જતા વેપારી વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.
માલિક ઘરે જમવા ગયા અને બની મોટી ચોરી
મળતી માહિતી મુજબ કૃષ્ણનગર વિસ્તારની નયનનગર સોસાયટીમાં રહેતા દર્શનભાઈ શાહ નિકોલના અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં “આભૂષણ” નામનો સોના-ચાંદીનો શોરૂમ ચલાવે છે. શોરૂમમાં મેનેજર, સેલ્સમેન અને માર્કેટિંગ સ્ટાફ સહિત કુલ 19 લોકો કામ કરે છે. આ શોરૂમમાં લગભગ 11 મહિના પહેલા હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ તરીકે જોડાઈ હતી. 11 મે 2026ના રોજ બપોરે દર્શનભાઈ ઘરે જમવા ગયા હતા. તે સમયે શોરૂમમાં મેનેજર અને અન્ય સ્ટાફ હાજર હતા. આ દરમિયાન હર્ષિદાએ તકનો લાભ લઈને મોટી ચોરીને અંજામ આપ્યો હતો.
યુનિફોર્મમાં છુપાવ્યા સોનાના દાગીના
પ્રાથમિક તપાસ મુજબ આરોપી યુવતીએ શોરૂમમાંથી સોનાની વીંટી, ચેઇન, લકી, બુટ્ટી અને મંગળસૂત્ર સહિતના કિંમતી દાગીના શોરૂમના યુનિફોર્મ એટલે કે શૂટ અને પેન્ટમાં છુપાવ્યા હતા. બાદમાં “માલિકે રજા આપી છે” એવું કહીને શોરૂમમાંથી નીકળી ગઈ હતી. જોકે, ત્યારબાદ તે પરત ફરી નહીં. સ્ટાફને શંકા જતા દાગીનાની તપાસ કરવામાં આવી હતી, જેમાં આશરે 1.66 કરોડ રૂપિયાનું સોનું ગુમ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ શોરૂમ માલિકે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શું તમે પણ બાઇકમાં વારંવાર ભરાવો છો માત્ર ₹100નું પેટ્રોલ?: ફાયદો કે ભારે નુકસાન? જાણો સંપૂર્ણ સત્ય
CCTV ફૂટેજથી પોલીસને મળ્યા મહત્વના પુરાવા
ચોરીની સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં આરોપી યુવતી શંકાસ્પદ રીતે હલનચલન કરતી જોવા મળી રહી હોવાનું સૂત્રો જણાવે છે. હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપી મહિલાની શોધખોળ શરૂ કરી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. આરોપી યુવતીના મોબાઇલ લોકેશન, ઓળખીતાઓ અને સંભવિત સ્થળોની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે યુવતી શહેર છોડીને અન્ય રાજ્યમાં પણ ભાગી ગઈ હોઈ શકે છે.
અચાનક VIP કાફલો છોડીને કેમ માત્ર બે જ ગાડીઓ લઈને રાજુલા પહોંચ્યા CM?: રાજ્યપાલ, DyCM અને મંત્રીઓએ પણ લીધો મોટો નિર્ણય
વેપારીઓમાં ચિંતા, સુરક્ષાને લઈને પ્રશ્નો
આ બનાવ બાદ શહેરના જ્વેલર્સમાં ચિંતા ફેલાઈ ગઈ છે. ખાસ કરીને લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓ પર વિશ્વાસ રાખીને લાખો-કરોડોના દાગીના સંભાળવાની પ્રથા સામે હવે સવાલો ઊભા થયા છે. વેપારીઓ હવે સ્ટાફ વેરિફિકેશન અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવાની ચર્ચા કરી રહ્યા છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં કરોડોના સોનાની આ ચોરીએ ભારે ચર્ચા જગાવી છે.





