અમદાવાદ શહેર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-6એ બકરીઈદ પૂર્વે પશુચોરીના ગુનાઓ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. અલગ અલગ જિલ્લાઓમાં નોંધાયેલા કુલ 12 પશુચોરીના ગુનાઓમાં નાસતો ફરતો એક રીઢો આરોપી ઝડપાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીને નારોલ વિસ્તારમાંથી ઝડપી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા આગામી બકરીઈદને ધ્યાનમાં રાખી પશુચોરીના બનાવોને રોકવા અને તેમાં સંડોવાયેલા તત્વોને શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તેના આધારે ઝોન-6 ના નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ LCB ટીમે સઘન કામગીરી હાથ ધરી હતી.
પોલીસને મળેલી બાતમીના આધારે મોહમદ બિલાલ ઉર્ફે બટકો ઉર્ફે સમીર ઉર્ફે કસાઈ નામના આરોપીને તા. 22 મે, 2026ના રોજ રાત્રે નારોલ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી મૂળ અમદાવાદના નારોલ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1)(જ) હેઠળ અટકાયત કરી છે.
આ પણ વાંચો: મહીસાગરની 8 તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો : પ્રમુખ-ઉપપ્રમુખની કરાઈ વરણી, જાણો કોણ બન્યા પ્રમુખ અને ઉપપ્રમુખ
ત્રણ જિલ્લાઓમાં નોંધાયેલા 12 ગુનાઓમાં સંડોવણી
પોલીસ માહિતી મુજબ આરોપી સામે સાબરકાંઠા, અરવલ્લી અને ખેડા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પશુચોરીના કુલ 12 ગુનાઓ નોંધાયેલા છે. તેમાં તલોદ, પ્રાંતિજ, બાયડ, ધનસુરા, હિંમતનગર એ-ડિવિઝન અને કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. મોટાભાગના કેસો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) હેઠળ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
કેટલાક કેસોમાં પશુઓ પ્રત્યે ક્રૂરતા અટકાવવા માટેના કાયદાની જોગવાઈઓ પણ ઉમેરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ બકરીઈદ પહેલા પશુચોરીના બનાવોમાં વધારો થતો હોય છે, જેને ધ્યાનમાં રાખી વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: '2027 બાદ હું નહીં સંભાળુ જવાબદારી' : ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કહ્યું પરિવારનો કોઈ સભ્ય પણ જવાબદારી નહીં સંભાળે, તો જાણો કોણ બનશે ચેરમેન?
LCB ટીમની સઘન કામગીરી
પોલીસ હવે આરોપીની પૂછપરછ કરી રહી છે અને તેની સાથે અન્ય કોઈ ગેંગ અથવા સહઆરોપીઓ જોડાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. અલગ અલગ જિલ્લાઓમાં થયેલી પશુચોરીની ઘટનાઓમાં આરોપીનો સીધો કે આડકતરો સંબંધ હતો કે નહીં તે અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: OBC સમાજ માટે અલગ મંત્રાલય બનાવવાની માંગ : OBC આગેવાન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાને PM મોદીને લખ્યો પત્ર
બકરી ઈદ પહેલા પોલીસનું એલર્ટ
ગુજરાતમાં બકરીઈદ પૂર્વે પશુચોરીના બનાવો સામે આવતાં રહેતા હોય છે, જેને કારણે પોલીસ દ્વારા ખાસ સતર્કતા દાખવવામાં આવે છે. પશુ પરિવહન, કતલખાનાંઓ અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે વિવિધ જિલ્લાઓમાં સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે. આ કાર્યવાહી પણ તે જ અભિયાનનો ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હાલ પોલીસ આરોપીને સંબંધિત જિલ્લાઓની પોલીસ સમક્ષ રિમાન્ડ અને વધુ પૂછપરછ માટે રજૂ કરવાની પ્રક્રિયા આગળ ધપાવી રહી છે.





