Rajkot News: શહેરના કોઠારિયા ચોકડી નજીક રામનગરમાં આવેલા સોફાના કારખાનામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ત્રણ ટીમો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનામાં કારખાનાની અંદર ટોયલેટમાં ફસાયેલા યુવાનને ફાયર બ્રિગેડની ટીમે રેસ્કયુ કરી બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ગુંગળાઇ જવાથી તેનુ મોત નીપજ્યુ હતું. જે કારખાનાના માલિકનો જમાઇ હોવાનુ જાણવા મળ્યુ છે. આગની ઘટનામાં કારખાનામાં રહેલો કાચો અને તૈયાર માલ અને સ્ટ્રકચર સહિત તમામ ચીજ વસ્તુઓ બળીને ખાક થઇ જતા લાખોનું નુકશાન થયાનુ જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા ચોકડી નજીક આવેલા રામનગર શેરી નં.3માં આવેલા ઉત્તમ સોફા નામના કારખાનામાં સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. સોફા કારખાનામાં પ્લાઇવુડ, પંચ, કેમિકલ જેવી જવલશીલ વસ્તુઓ હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ અને સમગ્ર વિસ્તાર ધુમાડાના ગોટે ગોટાથી ઘેરાઇ ગયો હતો. જેને પગલે લોકોમાં ગભરાટનો માહોલ છવાઇ ગયો હતો.
બનાવની જાણ થતા કોઠારિયા ફાયર સ્ટેશનેથી ફાયર ફાઇટર સાથે એક ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પાણી મારો ચલાવી આગ ઉ5ર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે, આગ વિકરાળ હોવાથી વધુ ટીમની જરૂરીયાત જણાતા કોઠારિયા અને નાગરિક ફાયર સ્ટેશનેથી એક એક ટીમ બોલાવવામાં આવી હતી. ત્રણેય ટીમ દ્વારા યુધ્ધના ધોરણે આગ ઉપર કાબુ મેળવવા કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગની ગંભીરતાને લઇ ફાયર વિભાગના ડે.ચીફ ફાયર ઓફિસર એમ.કે.જુણેજા પણ દોડી ગયા હતા.
દરમિયાન કારખાનાની અંદર એક વ્યકિત ફસાયો હોવાની સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કારખાનાની અંદર પ્રવેશ કરી ધુમાડા વચ્ચે કારખાનાની પાછળના નવેરામાં આવેલા ટોયલેટમાં ફસાયેલા વ્યકિતનુ રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે, બેભાન હાલતમાં રહેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ગુંગળામણથી તેનુ મોત નીપજ્યાનું જાણવા મળ્યુ છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અડધી કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક ચેતનભાઇ ગોવિંદભાઇ સેલડીયા (ઉ.વ.34, રહે. શ્રધ્ધા સોસાયટી બાપા સિતારામ ચોક) હોવાનુ જાણવા મળ્યુ હતુ. વધુ તપાસમા મૃતક બેભાઇ એક બહેનમાં મોટા અને તેમને સંતાનમાં એક પુત્ર છે. આ કારખાનુ તેના સસરા નારણભાઇ કાકડીયાનુ હોવાનુ અને તેઓ કારખાનામાં હતા અને ટોયલેટમાં ગયા ત્યારે આગ ભભૂકી ઉઠતા તેઓ ફસાઇ જતા ગુંગળામણ થવાથી તેમનુ મોત નીપજ્યાનુ ખુલ્વા પામ્યુ છે.
આગના કારણે કારખાનામાં રહેલો કાચો અને તૈયાર માલ ઉપરાંત કારખાનાનો સ્ટ્રકચર બળીને ખાક થઇ જતા લાખોનુ નુકશાન થયાનો અંદાજ સેવાઇ રહ્યો છે. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનુ જાણવા મળ્યુ છે. જો કે, આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





