Rajkot News: રાજકોટના હરિધવા રોડ પર આવેલા નવનીત હોલ નજીક ગુરુવારે એક થાર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અકસ્માત બાદ ટ્રાફિક પર પડી અસર
અકસ્માત બાદ હરિધવા રોડ પર થોડા સમય માટે ટ્રાફિકની અવરજવર પ્રભાવિત થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે ટ્રાફિકને અન્ય માર્ગે ડાયવર્ટ કરીને વાહન વ્યવહાર સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત થાર કારને રસ્તા પરથી હટાવવામાં આવી હતી.
આ પણ વાંચો: ઓડિશાથી ટ્રેનમાં લાવવામાં આવતો 21.40 કિલો પ્રતિબંધિત ગાંજો જપ્ત : સુરત રેલવે સ્ટેશન પાસે SOGની મોટી કાર્યવાહી
ઓવરસ્પીડ કે બેદરકારી કારણભૂત? તપાસ શરૂ
પ્રાથમિક તબક્કે અકસ્માત પાછળ ઓવરસ્પીડ, બેદરકારીપૂર્વક વાહન હંકારવું અથવા વાહન પરનો કાબૂ ગુમાવવો જેવા કારણો જવાબદાર હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસની તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આસપાસના CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી અકસ્માત કેવી રીતે સર્જાયો તેની હકીકત સામે આવી શકે.






