Ebola virus entry into Ahmedabad: આફ્રિકન દેશોમાં આતંક મચાવી રહેલા જીવલેણ ઇબોલા વાયરસની અમદાવાદમાં એન્ટ્રી થવાની આશંકાને પગલે રાજ્યના આરોગ્ય વિભાગમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઇબોલા વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, જેને પગલે સમગ્ર તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આફ્રિકાથી મુંબઈ થઈને વડોદરા આવેલા એક વ્યક્તિમાં ઇબોલાના પ્રાથમિક લક્ષણો જણાતા તેને સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ ઇબોલા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.
એરપોર્ટ સ્ક્રીનિંગ દરમિયાન પકડાયો શંકાસ્પદ કેસ
આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ શંકાસ્પદ દર્દી તાજેતરમાં આફ્રિકાના પ્રભાવિત દેશ કોંગોથી મુંબઈ થઈને વડોદરા આવ્યો હતો. એરપોર્ટ પર હેલ્થ સ્ક્રીનિંગ દરમિયાન આ વ્યક્તિ શંકાસ્પદ જણાતા તેને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. તબીબો દ્વારા દર્દીના સેમ્પલ લઈને વધુ ચકાસણી અર્થે સ્પેશિયલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને હાલ તેને કડક દેખરેખ હેઠળ આઇસોલેશનમાં રાખીને સારવાર શરૂ કરાઈ છે.
11 મુસાફરોને કરાયા હોમ આઇસોલેશન
આ આંતરરાષ્ટ્રીય ખતરાને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રાજ્યનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે. તાજેતરમાં યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગો જેવા હાઈ-રિસ્ક આફ્રિકન દેશોમાંથી અમદાવાદ પરત ફરેલા અન્ય 11 મુસાફરોને સાવચેતીના ભાગરૂપે તેમના ઘરે જ હોમ આઇસોલેશન માં રાખવામાં આવ્યા છે. મેડિકલ ટીમ દ્વારા આ તમામ લોકોનું નિયમિત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમને ઘરની બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે. રાહતની વાત એ છે કે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા આ મુસાફરોમાં હાલ કોઈ ગંભીર લક્ષણો દેખાયા નથી.
તંત્રની તૈયારીઓ: સિવિલ અને SVP હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા
ઇબોલાના સંભવિત જોખમને પહોંચી વળવા માટે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી દેવામાં આવ્યું છે..
સિવિલ હોસ્પિટલ: ખાસ ઇબોલા વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે, જ્યાં 24 કલાક ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની ટીમ પીપીઈ કીટ અને જરૂરી સુરક્ષા સાધનો સાથે તૈનાત રહેશે.
SVP હોસ્પિટલ: સંભવિત દર્દીઓને ક્વારન્ટાઇન કરવા માટે એસવીપી હોસ્પિટલ ખાતે પણ અલગથી 60 બેડનો વિશેષ વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો છે.
એરપોર્ટ એલર્ટ: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્ક્રીનિંગ પ્રક્રિયા અત્યંત કડક કરી દેવાઈ છે.
મુસાફરોને તકેદારી રાખવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ
આરોગ્ય વિભાગે વિદેશથી, ખાસ કરીને આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરોને અપીલ કરી છે કે જો તેમને તાવ, ઉલ્ટી, ઝાડા કે શરીરમાં અતિશય નબળાઈ જેવા કોઈ પણ લક્ષણો જણાય, તો તરત જ નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરે. આ સાથે જ સત્તાધારીઓએ નાગરિકોને ગભરાટ ન ફેલાવવા અને સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા વિનંતી કરી છે.





