Home Gujarat Ahmedabad Ahmedabad Amc Ebola Virus Alert Airport Screening Quarantine Gujarat News

અમદાવાદમાં ઇબોલા વાયરસને લઈને AMC એલર્ટ મોડમાં : એરપોર્ટ પર કડક સ્ક્રીનિંગથી લઈને 21 દિવસના કોરંટાઈન સુધીની વ્યવસ્થા

Ahmedabad AMC, Ebola Alert, Airport Screening
Published by: Nirali Gohil
Last Updated: May 27, 2026, 10:55 AM IST

Ebola Virus: અમદાવાદ શહેરમાં ઇબોલા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે સતર્ક બન્યું છે. વિશ્વના કેટલાક આફ્રિકન દેશોમાં ઇબોલા વાયરસના કેસો સામે આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ખાસ તકેદારીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાંથી અમદાવાદ આવતા મુસાફરો પર કડક નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે એરપોર્ટ પર વિશેષ સ્ક્રીનિંગ વ્યવસ્થા ગોઠવી છે અને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જરૂરી તબીબી સુવિધાઓ પણ તૈયાર રાખવામાં આવી છે.

કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનથી આવતા મુસાફરોની ખાસ ચકાસણી

AMCના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઇબોલા વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનમાંથી આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ પર ફરજિયાત સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોના સ્વાસ્થ્યની પ્રાથમિક તપાસ સાથે તેમની મુસાફરી અને સંપર્કની વિગતો પણ નોંધવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગનો પ્રયાસ છે કે કોઈપણ સંભવિત સંક્રમણ શહેરમાં પ્રવેશતા પહેલાં જ નિયંત્રણમાં આવી જાય.

સેલ્ફ ડેક્લેરેશન ફરજિયાત, 21 દિવસનું કોરંટાઈન અનિવાર્ય

વિદેશથી આવતાં મુસાફરો માટે સેલ્ફ ડેક્લેરેશન પ્રક્રિયા પણ ફરજિયાત બનાવવામાં આવી છે. મુસાફરોને પોતાના સ્વાસ્થ્ય, મુસાફરીના ઇતિહાસ અને સંપર્ક અંગેની માહિતી આપવી પડે છે. ઉપરાંત, આ ત્રણ દેશોમાંથી આવનાર દરેક મુસાફરને 21 દિવસ સુધી કોરંટાઈનમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવશે અને કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક તબીબી તપાસ હાથ ધરાશે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઈબોલા અંગે એલર્ટ: આફ્રિકન દેશોમાંથી આવેલા 11 લોકો હોમ આઈસોલેશનમાં, SVP હોસ્પિટલમાં 60 બેડનો અલગ વોર્ડ તૈયાર, કોરોના જેવી થશે સ્થિતિ!

પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકો માટે SVP હોસ્પિટલમાં આઇસોલેશન

AMCએ સંભવિત સંક્રમણ સામે લડવા માટે SVP હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વ્યવસ્થા ઉભી કરી છે. જો કોઈ મુસાફર ઇબોલા પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હોવાની માહિતી મળે, તો તેને તાત્કાલિક SVP હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવે છે. હોસ્પિટલમાં તબીબોની વિશેષ ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

SVP હોસ્પિટલમાં 60 બેડની વિશેષ વ્યવસ્થા

ઇબોલા જેવા ગંભીર વાયરસને ધ્યાનમાં રાખીને SVP હોસ્પિટલમાં કોરંટાઈન માટે 60 બેડની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા જરૂરી મેડિકલ સાધનો, સુરક્ષા કિટ અને તાલીમબદ્ધ સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોઈ પણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવામાં મુશ્કેલી ન પડે.

પોઝિટિવ કેસ માટે સિવિલ હોસ્પિટલ તૈયાર

જો કોઈ મુસાફર ઇબોલા પોઝિટિવ જોવા મળે તો તેના માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશેષ સારવારની વ્યવસ્થા રાખવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ અને જરૂરી તબીબી સુવિધાઓ તૈયાર રાખવામાં આવી છે જેથી દર્દીને તાત્કાલિક સારવાર મળી શકે અને વાયરસનો ફેલાવો અટકાવી શકાય.

છેલ્લા ત્રણ દિવસમાં 11 લોકો આવ્યા, તમામ હાલ હોમ કોરંટાઈનમાં

AMC આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા ત્રણ દિવસમાં કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનમાંથી કુલ 11 લોકો અમદાવાદ આવ્યા છે. જેમાં 9 ભારતીય નાગરિકો અને 2 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. આમાંથી 10 લોકો થલતેજ વિસ્તારમાં રહે છે જ્યારે એક વ્યક્તિ જોધપુર વિસ્તારમાં રહે છે. હાલ તમામ મુસાફરોને હોમ કોરંટાઈનમાં રાખવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા તેમની સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને જામીન: પોણા ત્રણ વર્ષ બાદ જેલ બહાર આવશે, અકસ્માતમાં 9 લોકોના થયા હતા મોત

AMC આરોગ્ય વિભાગે લોકોને ગભરાવા નહીં પરંતુ સાવચેત રહેવાની અપીલ કરી

આ મામલે AMC આરોગ્ય વિભાગના ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું કે હાલ શહેરમાં કોઈ ઇબોલાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ આગોતરા સાવચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થાઓ સજ્જ રાખવામાં આવી છે. તેમણે નાગરિકોને ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવા અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી છે. અમદાવાદમાં આરોગ્ય તંત્ર દ્વારા લેવામાં આવેલા આ સાવચેતીભર્યા પગલાં શહેરને સંભવિત જોખમથી સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. હાલ તમામ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું AMC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now