Home Gujarat Tat Exam Date Changed Due To Elections Know New Date Teacher Aptitude Test

રાજ્યના 2 લાખથી વધુ ઉમેદવારો માટે મોટા સમાચાર : ચૂંટણીને કારણે આ પરીક્ષાની તારીખ બદલાઈ, જાણો નવી તારીખ

TAT Exam Date Change Gujarat 2026
Published by: Nirali Gohil
Last Updated: Apr 02, 2026, 05:52 AM IST

Gujarat TAT Exam Update, 02 April 2026: ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું સેવતા લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના કારણે શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (TAT) ની તારીખમાં ફેરફાર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અગાઉ આ પરીક્ષા 26મી એપ્રિલે યોજાવાની હતી, પરંતુ તે જ દિવસે રાજ્યભરમાં મતદાન હોવાથી હવે આ પરીક્ષા પાછી ઠેલવામાં આવી છે.

સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ, 26મી એપ્રિલે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ સ્થિતિમાં સરકારી મશીનરી અને શાળાઓના બિલ્ડિંગ્સ ચૂંટણી કાર્યમાં રોકાયેલા હોવાથી પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આ ફેરફારને કારણે હવે ઉમેદવારોને તૈયારી માટે વધારાનો એક સપ્તાહનો સમય મળશે, જોકે આ ફેરફારથી 2 લાખથી વધુ પરીક્ષાર્થીઓના આયોજન પર અસર પડી છે.

નવી તારીખ જાહેર: હવે ક્યારે લેવાશે TAT સેકન્ડરી પરીક્ષા?

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટેની TAT સેકન્ડરી પરીક્ષા હવે 3 મે, 2026 ના રોજ લેવામાં આવશે. અગાઉ આ પરીક્ષા 26 એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી હતી, પરંતુ તે દિવસે ચૂંટણી હોવાના કારણે તારીખમાં ફેરફાર કરવો અનિવાર્ય બન્યો હતો. પરીક્ષા બોર્ડની નોટિસમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે માત્ર પરીક્ષાની તારીખ જ બદલવામાં આવી છે, બાકીના તમામ નિયમો અને જોગવાઈઓ અગાઉના જાહેરનામા મુજબ યથાવત રહેશે.

આ પણ વાંચો: 'ભાજપમાં સેટિંગ હોય તો ટિકિટનું કંઈક કરો', જાણો કોને મળશે પહેલો ચાન્સ : મૂરતિયા શોધવા મથામણ શરૂ! ભાજપે શરૂ કરી ઉમેદવાર પસંદગી પ્રક્રિયા

2.07 લાખ ઉમેદવારોની આતુરતાનો અંત

રાજ્યભરમાંથી TAT સેકન્ડરી માટે કુલ 2.07 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો હોવાથી પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા અને સુરક્ષાને ધ્યાને રાખીને બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર TAT જ નહીં, પરંતુ ચૂંટણીને કારણે રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓની પરીક્ષાઓ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓના સમયપત્રકમાં પણ ફેરફાર થવાની શક્યતા છે.

ચૂંટણીની અસર: શા માટે બદલવી પડી તારીખ?

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મોટાભાગના સરકારી કર્મચારીઓ અને શિક્ષકોની ડ્યુટી લાગેલી હોય છે. વળી, મતદાન કેન્દ્રો તરીકે શાળાઓનો જ ઉપયોગ થતો હોવાથી તે જ દિવસે પરીક્ષા લેવી વ્યવહારિક રીતે શક્ય નહોતી. ઉમેદવારોને અવરજવરમાં તકલીફ ન પડે અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે હેતુથી પરીક્ષા બોર્ડે એક સપ્તાહ બાદ એટલે કે 3 મે ના રોજ પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now