Home Gujarat Why Aap Gujarat President Isudaan Gadhvi Arrested By Police

ધરપકડ બાદ બહાર આવીને AAPના પ્રદેશ પ્રમુખનો ચોંકાવનારો ખુલાસો : જાણો પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયેલાં ઈસુદાન ગઢવીને કેમ પોલીસે જ પકડી લીધાં

ધરપકડ બાદ બહાર આવીને AAPના પ્રદેશ પ્રમુખનો ચોંકાવનારો ખુલાસો
Published by: Vishal Dave
Last Updated: Apr 02, 2026, 07:20 AM IST

પાલિકા-પંચાયતો સહિત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત બાદ રાજકારણ ગરમાયું છે. ઉનાળાની ગરમી વચ્ચે રાજકીય ગતિવિધિઓને કારણે પણ માહોલ ગરમ થઈ ગયો છે. એવામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને અચાનક પોલીસે પકડી લેતાં હડકંપ મચી ગયો હતો. જાણો પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયેલાં ઈસુદાન ગઢવીને પોલીસે કેમ પકડી લીધાં.

અમે પોલીસનો વિડીયો બનાવતા હતા જેથી એમણે અમારી ધરપકડ કરી: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પોલીસે ધરપકડ કરી હતી. ત્યાર બાદ બહાર આવી મીડિયા સાથે વાત કરતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અમારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને અમે આ મામલે રજૂઆત કરવા ગયા હતા. પોલીસને એવું લાગ્યું કે આ રીતે રજૂઆત યોગ્ય નથી અને વિડિયો બનાવવામાં આવી રહ્યો છે, તેથી અમારી અટકાયત કરવામાં આવી.

'ભાજપ AAPના કાર્યકર્તાઓથી ડરી ગઈ છે, માટે જેલથી ડરાવવાની કોશિશ થઈ રહી છે'

ભાજપ સરકાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી ડરી ગઈ છે એવું લાગે છે. જેલથી ડરાવવાની કોશિશ પણ કરવામાં આવી હોય એવું લાગે છે, પરંતુ લોકો હંમેશા અત્યાચારની વિરૂદ્ધમાં મતદાન કરતા હોય છે. આજે સત્યની જીત થઈ છે, સત્યનો વિજય થયો છે. અમારા કાર્યકર્તાઓ મજબૂત રહ્યા છે. અમને ક્યારે જામીન મળશે કે ક્યારે છૂટશું તેની ખબર નહોતી અને સ્વાભાવિક રીતે પોલીસ પોતાની પ્રક્રિયા મુજબ કામ કરતી હોય છે, પરંતુ એટલું ચોક્કસ છે કે આવો અત્યાચાર પ્રજા ક્યારેય સહન નહીં કરે.

આ રજૂઆત કરવી દરેકનો અધિકાર છે, મૌલિક અધિકાર છે અને એ અધિકારના ભાગરૂપે અમે રજૂઆત કરવા ગયા હતા. વિડિયો ન બનાવવાનો પોલીસનો પોતાનો દ્રષ્ટિકોણ હોઈ શકે, પરંતુ પ્રજા ભાજપના કામોથી કંટાળી ગઈ છે અને ભાજપથી ત્રાહિમામ પોકારી ગઈ છે, એટલે ભાજપ પ્રજાની વચ્ચે જઈ શકતી નથી અને આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે.

'અમે જેલથી ડરવાના નથી, અમારી સાથે આખા ગુજરાતની જનતા છે'

ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે અમે અમારા કાર્યકર્તાની અટકાયત અંગે રજૂઆત કરવા ગયા હતા, કારણ કે તેના પર કોઈ ગુનો નહોતો છતાં ખોટી એફઆઈઆર કરવામાં આવી હતી. આવી જ રીતે સેમ પેટર્નમાં ચારથી પાંચ જગ્યાએ એફઆઈઆર નોંધાઈ છે. પોલીસ ઘણી વખત ઉપરથી મળેલા આદેશ મુજબ કાર્યવાહી કરતી હોય છે. અમને જેલ કે અત્યાચારનો ડર નથી. અમારી સાથે ગુજરાતની જનતા છે. ઈસુદાન ગઢવી એક દિવસ જેલમાં ગયા ત્યારે લાખોની સંખ્યામાં જનતા એકઠી થઈ અને સમર્થન બતાવ્યુ. અમે ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ કરીએ છીએ, ગુજરાતની જનતા માટે લડી રહ્યા છીએ અને આગળ પણ લડતા રહીશું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now