ઓટિઝમ અને ADHD જેવી માનસિક પરિસ્થિતિઓથી પીડાતા બાળકો માટે એક્વાથેરાપી (પાણીમાં થેરાપી) અસરકારક ઉપચાર તરીકે આગળ આવી રહી છે. આવા બાળકો શારીરિક રીતે સ્વસ્થ હોવા છતાં ઘણીવાર આઈ કોન્ટેક્ટ, બોલવામાં મુશ્કેલી અને સામાજિક વાર્તાલાપમાં ગેપ જેવી સમસ્યાઓનો સામનો કરતા હોય છે.
પરંપરાગત રીતે આવા બાળકો માટે સેનસરી થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી અને બિહેવિયરલ ટ્રીટમેન્ટ અપાતી હોય છે. પરંતુ હવે સ્વિમિંગ આધારિત એક્વાથેરાપી પણ મહત્વપૂર્ણ બની રહી છે. પાણીમાં થેરાપી દરમિયાન બાળકને શારીરિક અને માનસિક બંને સ્તરે ફાયદો થાય છે.
'એક્વાથેરાપી' ના ફાયદા
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સ્વિમિંગ અથવા પાણીમાં સમય વિતાવવાથી બાળકોની બોડી મૂવમેન્ટમાં વધારો થાય છે અને તેઓ વધુ એક્ટિવ બને છે. આ સાથે, આઈ કોન્ટેક્ટ સુધરે છે અને કોમ્યુનિકેશન સ્કિલ્સમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળે છે. હાઇપર એક્ટિવિટી ઘટે છે અને શરીરને શ્રમ મળવાથી બાળક વધુ શાંતિ અનુભવે છે.
સ્વિમિંગ દ્વારા બાળકોમાં શિસ્ત, નિયમિતતા અને આત્મવિશ્વાસ પણ વિકસે છે, જે તેમના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને સ્પીચ અને સામાજિક વ્યવહારમાં સકારાત્મક ફેરફારો જોવા મળે છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય : હવે માત્ર 10 ગુંઠા જમીનનું પણ કરી શકાશે ખરીદ-વેચાણ
આંકડા મુજબ, અમદાવાદમાં આશરે 50,000થી વધુ બાળકો ઓટિઝમથી પ્રભાવિત હોઈ શકે છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં આ સંખ્યા 10 લાખથી વધુ હોવાનું માનવામાં આવે છે. આ વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અસરકારક થેરાપીની જરૂરિયાત વધી રહી છે.
છેલ્લા 15 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત સ્વિમિંગ કોચ અમલ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, તેઓ અત્યાર સુધીમાં 10,000થી વધુ બાળકોને એક્વાથેરાપી આપી ચૂક્યા છે અને મોટા પ્રમાણમાં સકારાત્મક પરિણામો નોંધાયા છે.






