રાજ્યની સૌથી સુરક્ષિત મનાતી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એક વખત ગંભીર વિવાદમાં આવી ગઈ છે. આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલમાંથી ફરાર થઈ જતા જેલ તંત્ર, સુરક્ષા વ્યવસ્થા અને સ્ટાફની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાએ માત્ર જેલ સુરક્ષાની ખામીઓ જ નહીં પરંતુ છેલ્લા કેટલાક સમયથી જેલની અંદર ચાલી રહેલા આંતરિક વિવાદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ ચર્ચા તેજ કરી છે.
સાબરમતી મધ્યસ્થ જેલમાં ફરજ બજાવતા જેલર દેવદત્તસિંહ ગોહિલે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ જેલના બડા ચક્કર યાર્ડ નંબર-4 માં કુલ 33 કેદીઓને રાખવામાં આવ્યા હતા. નિયમિત ગણતરી દરમિયાન માત્ર 32 કેદીઓ હાજર હોવાનું સામે આવતા એક કેદી ગાયબ હોવાની માહિતી મળી હતી. તપાસ કરતાં માલદે રામાભાઈ પરમાર ફરાર થયો હોવાનું બહાર આવ્યું હતું.
CCTV ફૂટેજમાં કેદી મેન ગેટ પાર કરતો દેખાયો
કેદી ગુમ હોવાનું સામે આવતા જ જેલ તંત્ર દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેલના વિવિધ વિભાગોમાં તપાસ છતાં કેદીનો કોઈ પત્તો ન લાગતા સીસીટીવી કેમેરાની ફૂટેજ ચેક કરવામાં આવી હતી.
ફૂટેજમાં માલદે પરમાર બડા ચક્કર યાર્ડમાંથી બહાર નીકળીને જેલ સ્ટાફને ચકમો આપતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તે મેન ગેટ તરફ આગળ વધ્યો અને અંતે જેલની બહાર નીકળી ગયો હોવાનું સામે આવ્યું છે. હાઈ સિક્યોરિટી ગણાતી જેલમાં એક આજીવન કેદી આટલી સહેલાઈથી બહાર નીકળી જતા સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ ઉજાગર થઈ છે.
બોરવેલમાંથી નીકળ્યું ઝેરી લાલ પાણી!: 5 ગામોની જમીન બંજર થવાના આરે, કેમિકલ ફેક્ટરી સામે ખેડૂતોનો આક્રોશ
હત્યા અને પોક્સો કેસમાં ભોગવી રહ્યો હતો આજીવન કેદ
તપાસમાં સામે આવેલી વિગતો મુજબ માલદે પરમાર સામાન્ય કેદી નહોતો. વર્ષ 2023માં પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ હત્યા, પોક્સો સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા હતા. કેસની સુનાવણી બાદ વર્ષ 2025માં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
શરૂઆતમાં તેને પોરબંદર જેલમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકોટ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. તબિયત બગડતા સારવાર અને અન્ય કારણોસર તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. વર્ષ 2025થી તે જેલના બડા ચક્કર વિભાગમાં રાખવામાં આવ્યો હતો.
કચ્છમાં ટાપુ પરથી મળી શંકાસ્પદ AIS સિસ્ટમ: ટેક્નિકલ અને ફોરેન્સિક તપાસ શરૂ
જેલ તંત્ર સામે ઉઠ્યા ગંભીર સવાલો
આ ઘટનાએ રાજ્યની જેલ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર ચર્ચા શરૂ કરી છે. સામાન્ય રીતે હાઈ સિક્યોરિટી જેલોમાં દરેક ગેટ પર સશસ્ત્ર સુરક્ષા, બાયોમેટ્રિક ચેકિંગ, CCTV મોનીટરીંગ અને સતત માનવીય દેખરેખ જેવી વ્યવસ્થા હોય છે. છતાં એક આજીવન કેદી મેન ગેટ સુધી પહોંચી બહાર નીકળી જાય તે બાબત ગંભીર બેદરકારી માનવામાં આવી રહી છે.





