Iran-US War: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં સમાધાન કરાવવામાં પાકિસ્તાનની ભૂમિકાને લઈને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે જે કામ ભારતે કરવાની જરૂર હતી, તે આતંક ફેલાવનારા દેશે કરી બતાવ્યું. ઓવૈસીએ જણાવ્યું હતું કે, "ઈરાન આપણાથી ઘણું નજીક છે. અમને ખૂબ દુઃખ છે કે સીઝફાયર (યુદ્ધવિરામ) કરાવવામાં ભારત પોતાની ભૂમિકા કેમ ન ભજવી શક્યું? આપણો પાડોશી દેશ, જે આતંકવાદ ફેલાવે છે, તેણે આ કામ કર્યું. ખરેખર ભારતે આ જવાબદારી નિભાવવાની હતી." તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપ માત્ર 'ત્રણ કલાકનું પિક્ચર' બતાવીને દેશવાસીઓને ખુશ કરવા માંગે છે.
જમ્મુ-કાશ્મીરના નેતાઓએ વ્યક્ત કરી ખુશી
બીજી તરફ, જમ્મુ અને કાશ્મીરના દિગ્ગજ રાજકીય નેતાઓએ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા બે અઠવાડિયાના સીઝફાયર પર મિશ્ર પ્રતિક્રિયા આપી છે. કેટલાક નેતાઓએ આ સમાચાર પર ખુશી વ્યક્ત કરી, તો કેટલાકે સાવચેતીભરી આશા વ્યક્ત કરી છે. 40 દિવસના તણાવપૂર્ણ સંઘર્ષ બાદ આ સીઝફાયર થયું છે, જેના કારણે વિશ્વના એનર્જી માર્કેટમાં ધમધમાટ મચી ગયો હતો અને મોટા યુદ્ધનો ડર પેદા થયો હતો.
મહેબૂબા મુફ્તી: 'અલ્લાહનો શુક્ર છે'
PDP પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આ સમજૂતીને અત્યંત ખુશીનો દિવસ ગણાવ્યો હતો. તેમણે અલ્લાહનો આભાર માનતા કહ્યું કે, તેમણે ઈરાનને ઈઝરાયેલ સામે ઊભા રહેવાની હિંમત આપી. જોકે મુખ્ય ટકરાવ અમેરિકા સાથે હતો. મુફ્તીએ એમ પણ કહ્યું કે ઈરાને માત્ર સૈન્ય મથકોને નિશાન બનાવ્યા, જ્યારે અમેરિકા અને ઈઝરાયેલ પર ઈરાનની શાળાઓ અને હોસ્પિટલો પર હુમલા કરવાનો આરોપ હતો. શ્રીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું, "આપણે પાકિસ્તાનની મધ્યસ્થી ભૂમિકાને નજરઅંદાજ ન કરી શકીએ. તેમણે દુનિયાને બચાવી લીધી છે."
ફારૂક અબ્દુલ્લા: 'વાતચીત જ એકમાત્ર રસ્તો'
નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લાએ આ સમજૂતીનું સ્વાગત કર્યું અને ભારપૂર્વક જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં શાંતિનો એકમાત્ર માર્ગ વાતચીત જ છે. પૂર્વ મુખ્યમંત્રીએ શ્રીનગરમાં કહ્યું, "યુદ્ધથી ક્યારેય કોઈ ઉકેલ આવતો નથી, તે માત્ર વાતચીત દ્વારા જ શક્ય છે. હું ભગવાનનો આભારી છું કે તેમણે અમેરિકા અને ઈરાનને વાતચીતના ટેબલ પર લાવી દીધા." તેમણે ભારતને મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવવા અપીલ કરી હતી.
આ પણ વાંચો: "શક્ય હોય તેટલી જલ્દી ઈરાન છોડો" : પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામની જાહેરાત વચ્ચે ભારતનું હાઈ-એલર્ટ
ઉમર અબ્દુલ્લા: 'યુદ્ધથી શું હાંસલ થયું?'
આનાથી વિપરીત, મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ 'X' (ટ્વિટર) પર આ સીઝફાયરના મહત્વ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે #UnjustWar હેશટેગ સાથે લખ્યું કે તો આ સમજૂતીથી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ફરીથી ખુલી ગયું, જે યુદ્ધ પહેલા પણ દરેક માટે ખુલ્લું જ હતું. 40 દિવસ પછી અમેરિકાને વાસ્તવમાં શું પ્રાપ્ત થયું?" તેમની આ પોસ્ટ વ્યૂહાત્મક નિષ્ફળતા તરફ ઈશારો કરે છે, કારણ કે તેલ પુરવઠાનો આ મહત્વનો માર્ગ (ચોકપોઈન્ટ) હવે કોઈપણ સ્પષ્ટ અમેરિકન જીત વગર ફરીથી શરૂ થઈ ગયો છે.





