મુંબઈ: સાઉથના દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજ પોતાના બેબાક નિવેદનો અને સોશિયલ મીડિયા પરની સક્રિયતા માટે જાણીતા છે, પરંતુ આ વખતે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે કરેલી ટિપ્પણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે. પ્રકાશ રાજે પ્રધાનમંત્રીના ચા વેચવાના દાવા પર કટાક્ષ કરતા ગંભીર આરોપો લગાવ્યા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમની જોરદાર ટીકા થઈ રહી છે. એક સોશિયલ મીડિયા યુઝરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા પ્રકાશ રાજે જે ભાષાનો ઉપયોગ કર્યો, તે હવે ચર્ચાનો વિષય બની છે.
ઘટનાની વિગત એવી છે કે, એક સોશિયલ મીડિયા યુઝરે પ્રધાનમંત્રી મોદીની ટીકા કરતી એક પોસ્ટ મૂકી હતી, જેમાં લખ્યું હતું કે, "મને પૂરો વિશ્વાસ છે કે મોદી ન તો ચા વેચનારા હતા અને ન તો ભિખારી હતા, તેઓ જન્મજાત જ જૂઠ્ઠા છે." આ પોસ્ટના જવાબમાં પ્રકાશ રાજે વિવાદાસ્પદ પ્રતિક્રિયા આપતા લખ્યું કે, "મને ખબર નથી કે તેમણે ક્યારેય ચા વેચી હોય કે ભીખ માંગી હોય, પરંતુ હું તેમના જૂઠાણાનો સાક્ષી રહ્યો છું." આટલું જ નહીં, તેમણે પોતાના ફોલોઅર્સને પણ આ બાબતે પૂછ્યું હતું કે, "મારી આ વાત સાથે કોણ કોણ સહમત છે?"
સોશિયલ મીડિયા પર પ્રકાશ રાજની આકરી ટીકા
પ્રકાશ રાજના આ નિવેદન બાદ ઈન્ટરનેટ પર વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. નેટીઝન્સે અભિનેતાને આડે હાથ લેતા કટાક્ષ કર્યો છે કે, જ્યારે કોઈ વ્યક્તિ સામે કોઈ નક્કર પુરાવા ન હોય અને તમે તેમની કાર્યશૈલી પર સવાલ ન ઉઠાવી શકો, ત્યારે આવા વ્યક્તિગત હુમલા અને ચારિત્ર્ય હનનનો આશરો લેવો એ તેમની હતાશા દર્શાવે છે. કેટલાક યુઝરે તેમને રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં યોગદાન આપવાની સલાહ આપી છે. એક યુઝરે આકરા શબ્દોમાં લખ્યું, "તમારે માત્ર ટીકા કરવાને બદલે દેશને આગળ વધારવામાં યોગદાન આપવું જોઈએ. નકામી વાતો કરવા અને સરકારની ટીકા કરવાને બદલે રાષ્ટ્ર નિર્માણમાં મદદ કરો.
દેશ માટે તમે શું કર્યું?’ પ્રશ્નો ઉઠ્યા
બીજા એક યુઝરે પ્રકાશ રાજને સીધો સવાલ પૂછતા લખ્યું કે માત્ર સરકારની ટીકા કરવાને બદલે દેશના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. દેશ અને સમાજ માટે શું કર્યું છે તે પણ લોકો સામે આવવું જોઈએ. ઘણા યુઝર્સે એવું પણ જણાવ્યું કે લોકશાહીમાં ટીકા કરવાનો અધિકાર સૌને છે, પરંતુ જાહેર જીવન સાથે જોડાયેલા વ્યક્તિઓએ શબ્દોની પસંદગીમાં સંયમ રાખવો જોઈએ.
PM મોદીની અપિલ બાદ દર સોમવારે MSUમાં ઉજવાશે આ 'ડે': કર્મચારી અને વિદ્યાર્થીઓને કરી ખાસ અપીલ
અગાઉ પણ સરકાર સામે ખુલ્લેઆમ બોલતા રહ્યા છે પ્રકાશ રાજ
ઉલ્લેખનીય છે કે પ્રકાશ રાજ છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર પોતાના વિચારો ખુલ્લેઆમ વ્યક્ત કરતા રહ્યા છે. કેન્દ્ર સરકારની નીતિઓ, ચૂંટણી, લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મુદ્દાઓ પર તેઓ વારંવાર પોતાના અભિપ્રાય જાહેર કરતા આવ્યા છે. તેમના તાજેતરના નિવેદન બાદ ફરી એકવાર રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને સોશિયલ મીડિયા પર આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.





