સંસદના ચોમાસુ સત્રમાં, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચેનો ખટરાગ ફક્ત સદનની અંદર જ નહીં પરંતુ બહાર પણ દેખાય છે. લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી અને ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સભ્યો માટે ટી મિટિંગનું આયોજન કર્યું હતું. વિપક્ષી પક્ષોએ પીએમ મોદીની ટી મિટિંગનો બૉયકોટ કર્યો હતો.
પીએમની ટી મિટિંગમાં કોઈ પણ વિપક્ષી નેતા ન આવ્યા. પીએમની ચા બેઠકમાં સત્તાધરી રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ના ઘટક દળોના નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ ટી મિટિંગમાં સંસદના ચોમાસુ સત્રને સારું ગણાવ્યું અને કહ્યું કે આ સમયગાળા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યા છે.
તેમણે સત્તાપક્ષની પ્રસંશા કરતાં કહ્યું કે, ઓનલાઈન ગેમ્સ બિલ પસાર થવાની ડુરોગામી અસર પડશે. ખાસ કરીને, તેની જનતા પર અસર પડશે. પીએમ મોદીએ ટી પાર્ટીમાં હાજર સાંસદોને કહ્યું કે આ એવો મુદ્દો છે જેના પર વધુ ચર્ચા થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે વિપક્ષ મુખ્ય બિલો પર ચર્ચામાં ભાગ લઈ શક્યો હોત, પરંતુ તેઓ ફક્ત અડચણો જ ઉભી કરી રહ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષમાં, ખાસ કરીને કોંગ્રેસમાં, ઘણા યુવા નેતાઓ છે જે અત્યંત પ્રતિભાશાળી છે. તેમણે કહ્યું કે પરિવાર (ગાંધી પરિવાર) ની અસુરક્ષાને કારણે, આ યુવા નેતાઓને બોલવાનો મોકો મળતો નથી. પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે શક્ય છે કે આ યુવા નેતાઓ રાહુલ ગાંધીને અસુરક્ષિત અને ગભરાહટમાં નાખી રહ્યા હોય.
નોંધનીય છે કે લોકસભામાં ચોમાસું સત્ર દરમિયાન ચર્ચા માટે 120 કલાકનો સમય બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ સદનમાં માત્ર 37 કલાકની જ ચર્ચા થઈ શકી. લોકસભામાં ચર્ચા માટે ફાળવવામાં આવેલા 83 કલાક મડાગાંઠના કારણે ગુમાવી દેવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન લોકસભામાં કુલ 14 બિલ રજૂ થયા.
જેમાં જનવિશ્વાસ બિલ સિલેકટ કમિટીને મોકલવામાં આવ્યું. ત્યારે PM-CM રિમૂવલ બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું છે. બાકીના 12 બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા હતા. મોટાભાગના બિલો પર મડાગાંઠને કારણે ચર્ચા થઈ શકી ન હતી અને ચર્ચા વિના પસાર થઈ ગયા હતા.