નેપાળ આજે વિશેષ સમારોહ સાથે પોતાનો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે, પરંતુ આ વર્ષની ઉજવણી એક મહત્વપૂર્ણ ઐતિહાસિક બદલાવને કારણે ખાસ ચર્ચામાં રહી છે. દેશના ગણતંત્ર ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ગણતંત્ર દિવસના મુખ્ય સમારોહમાં PMના બદલે રાષ્ટ્રપતિએ દેશને સંબોધન કર્યું છે. આ બદલાવને નેપાળની રાજકીય અને સાંવિધાનિક પરંપરાઓમાં એક નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યો છે.
રાજધાની કાઠમંડુના સૈનિક મંચ ટુંડીખેલ ખાતે આયોજિત વિશેષ સમારોહમાં રાષ્ટ્રપતિ રામચન્દ્ર પૌડેલે દેશને સંબોધિત કર્યું હતું. અગાઉના તમામ વર્ષોમાં ગણતંત્ર દિવસના પ્રસંગે વડાપ્રધાન મુખ્ય ભાષણ આપતા આવ્યા હતા, પરંતુ આ વખતે પરંપરામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો.
PMનાં નિર્ણયથી બદલાઈ પરંપરા
નેપાળના PM બાલેન્દ્ર શાહે મંત્રીમંડળની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય પસાર કરાવ્યો હતો, જેમાં ગણતંત્ર દિવસના સત્તાવાર સમારોહમાં હવે રાષ્ટ્રપતિ દેશને સંબોધિત કરશે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ રાષ્ટ્રપતિ કાર્યાલયને સત્તાવાર પત્ર પણ મોકલવામાં આવ્યો હતો.
સરકારી નિર્ણય અનુસાર હવે ગણતંત્ર દિવસનો મુખ્ય સંદેશ દેશના રાજ્યપ્રમુખ તરીકે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવશે. આ નવી વ્યવસ્થાનો અમલ આ વર્ષે પ્રથમ વખત કરવામાં આવ્યો હતો અને તેના ભાગરૂપે રાષ્ટ્રપતિ રામચન્દ્ર પૌડેલે રાષ્ટ્રીય સમારોહમાં હાજરી આપી દેશને સંબોધિત કર્યું હતું. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આ પગલું માત્ર પ્રોટોકોલનો ફેરફાર નથી પરંતુ રાજ્યની સાંવિધાનિક રચનામાં રાષ્ટ્રપતિની ભૂમિકાને વધુ મહત્વ આપવાનો પ્રયાસ પણ છે.
આ પણ વાંચો: મધ્ય પૂર્વમાં ટ્રમ્પની 'રેડ લાઈન' : ઈરાન સાથેની ડીલ માટે અમેરિકાની 3 કડક શરતો, શું યુદ્ધ ટળશે?
ટુંડીખેલમાં ભવ્ય સમારોહ
કાઠમંડુના ટુંડીખેલ મેદાનમાં યોજાયેલા ગણતંત્ર દિવસ સમારોહમાં દેશના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં રાષ્ટ્રપતિ ઉપરાંત વડાપ્રધાન, મંત્રીમંડળના સભ્યો, સુરક્ષા એજન્સીઓના વડાઓ, વિદેશી રાજદૂત અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે નેપાળી સેના, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળ દ્વારા વિશેષ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે દેશની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિનિધિત્વ કરતી સાંસ્કૃતિક રજૂઆતો પણ કરવામાં આવી હતી. સમગ્ર સમારોહમાં રાષ્ટ્રીય એકતા અને લોકશાહી મૂલ્યો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સમારોહ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી હતી. રાજધાનીના મુખ્ય વિસ્તારોમાં સુરક્ષા દળોની વધારાની તહેનાત કરવામાં આવી હતી જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.
રાજતંત્રથી ગણતંત્ર સુધીનો સફર
નેપાળે વર્ષ 2006માં લાંબા રાજકીય સંઘર્ષ અને લોકઆંદોલન બાદ રાજતંત્રનો અંત લાવી દેશને સંઘીય લોકતંત્રાત્મક ગણરાજ્ય જાહેર કર્યું હતું. રાજાશાહી સમાપ્ત થયા બાદ દેશના રાજકીય માળખામાં અનેક મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. તે પછીથી દર વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન મુખ્ય ભાષણ આપતા આવ્યા હતા. આ પરંપરા હવે તૂટી છે અને રાષ્ટ્રપતિ દ્વારા સંબોધન કરાવવાનો નિર્ણય ઐતિહાસિક ગણાઈ રહ્યો છે. આ બદલાવથી નેપાળમાં રાજ્યપ્રમુખ અને સરકારપ્રમુખની ભૂમિકાઓ વચ્ચેના પ્રોટોકોલમાં સ્પષ્ટતા લાવવાનો પ્રયાસ થઈ શકે છે. કેટલાક નિષ્ણાતો તેને સાંવિધાનિક સંસ્થાઓને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે પણ જોઈ રહ્યાં છે.
આ પણ વાંચો: વિશ્વમાં સૌથી વધુ વીજળીનો વપરાશ કરતા 5 દેશો : જાણો ભારત આ યાદીમાં છે કે નહીં?
રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ
આ નવા નિર્ણય બાદ નેપાળના રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે. કેટલાક રાજકીય પક્ષો અને નિષ્ણાતો આ પગલાનું સ્વાગત કરી રહ્યા છે અને તેને આંતરરાષ્ટ્રીય પરંપરાઓ સાથે સુસંગત ગણાવી રહ્યા છે. વિશ્વના ઘણા દેશોમાં રાષ્ટ્રીય દિવસો પર રાજ્યપ્રમુખ જ દેશને સંબોધિત કરતા હોય છે. જોકે આ બદલાવ પાછળ રાજકીય સંતુલન અને સત્તાના કેન્દ્રોને લઈને પણ સંકેતો હોઈ શકે છે. તેમ છતાં સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિર્ણય સંપૂર્ણપણે સાંવિધાનિક અને ઔપચારિક વ્યવસ્થાના ભાગરૂપે લેવામાં આવ્યો છે.
નેપાળની રાજકીય દિશામાં નવા સંકેત
ગણતંત્ર દિવસના આ ઐતિહાસિક બદલાવને નેપાળની રાજકીય વ્યવસ્થામાં નવા સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. દેશમાં લોકશાહી સંસ્થાઓને વધુ પ્રબળ બનાવવાની પ્રક્રિયા વચ્ચે રાષ્ટ્રપતિની ભૂમિકાને વધુ સક્રિય બનાવવાનો પ્રયાસ ભવિષ્યમાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આવતા સમયમાં નેપાળની રાજકીય અને સાંવિધાનિક વ્યવસ્થામાં આવા વધુ ફેરફારો જોવા મળે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ માટે ગણતંત્ર દિવસના આ નવા પ્રોટોકોલે દેશભરમાં ચર્ચા જગાવી છે.





