Manipur Violence Update: પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં અશાંતિનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. શુક્રવારે સાંજે ઉખરુલ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના એક જવાન પર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં જવાન શહીદ થયા છે. પશ્ચિમ બંગાળના વતની એવા કોન્સ્ટેબલ મિથુન મંડલ પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે સાંજે આશરે 4:30 વાગ્યે તેમને ગોળી વાગી હતી. આ ઘટના બાદ તાત્કાલિક તેમને ઇમ્ફાલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
મણિપુરમાં ફેબ્રુઆરી મહિનાથી શરૂ થયેલી જાતીય હિંસા અને અવારનવાર થતા ગોળીબારની ઘટનાઓએ સુરક્ષા દળોની ચિંતામાં વધારો કર્યો છે. ઉખરુલના કુકી અને નાગા વિસ્તારોના સરહદી ગામોમાં છેલ્લા કેટલાક સમયથી તણાવપૂર્ણ સ્થિતિ છે. આ હુમલા બાદ મણિપુર પોલીસ અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મુખ્યમંત્રી વાય ખેમચંદ સિંહે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીને શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
શહીદ મિથુન મંડલ: બંગાળના પુત્રએ મણિપુરમાં આપ્યું સર્વોચ્ચ બલિદાન
અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહીદ કોન્સ્ટેબલ મિથુન મંડલ પશ્ચિમ બંગાળના ભગજન ટોલા ગામના રહેવાસી હતા. તેઓ BSFની 170 બટાલિયનમાં કાર્યરત હતા. દેશની સીમાઓની સુરક્ષા માટે તહેનાત આ બહાદુર જવાનના નિધનથી તેમના વતન અને સમગ્ર ફોર્સમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, પશ્ચિમ બંગાળના આ સપૂતનું બલિદાન એળે નહીં જાય અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવશે.

દારૂના નશામાં થયેલો ઝઘડો હિંસામાં ફેરવાયો
ઉખરુલ જિલ્લામાં હિંસાની જ્વાળા 7 ફેબ્રુઆરીની સાંજે લિતાન સરેઇખોંગ વિસ્તારમાં ભભૂકી હતી. શરૂઆતમાં બે વ્યક્તિઓ વચ્ચે દારૂના નશામાં થયેલો સામાન્ય ઝઘડો જોતજોતામાં બે સમુદાયો વચ્ચેની લોહિયાળ હિંસામાં ફેરવાઈ ગયો હતો. તોફાની તત્વોએ 25થી વધુ ઘરો અને સરકારી ક્વાર્ટર્સને આગ ચાંપી દીધી હતી, જેના કારણે પાંચ દિવસ સુધી ઇન્ટરનેટ બંધ કરી દેવું પડ્યું હતું અને કરફ્યુ લાદવામાં આવ્યો હતો. ત્યારથી આ વિસ્તારમાં સેના અને અર્ધલશ્કરી દળો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.

મણિપુર હિંસા પાછળના 3 મુખ્ય કારણો
મણિપુરમાં કુકી, મૈતેઈ અને નાગા સમુદાયો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના મૂળમાં કેટલાક મુખ્ય મુદ્દાઓ છે:
ST દરજ્જાનો વિવાદ: મૈતેઈ સમુદાય દ્વારા અનુસૂચિત જનજાતિ (ST) ના દરજ્જાની માંગનો કુકી સમુદાય વિરોધ કરી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં જમીન ખરીદવાના અધિકારો ગુમાવવાના ડરે આ વિવાદને વધુ વકર્યો છે.
અલગ પ્રશાસનની માંગ: કુકી સમુદાય પોતાના માટે અલગ વહીવટી સ્વાયત્તતાની માંગ કરી રહ્યો છે, જેને સરકાર અખંડિતતા માટે જોખમ ગણે છે.
ડ્રગ્સ તસ્કરીના આક્ષેપો: મ્યાનમાર સરહદેથી થતી નશીલા પદાર્થોની તસ્કરી અને અફીણની ખેતીના મુદ્દે પણ સમુદાયો વચ્ચે અવિશ્વાસની ખાઈ ઉંડી થઈ છે.





