જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા અંદાજે 22 ઇંચ જેટલા ભારે વરસાદે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી દીધું છે. સતત વરસેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા છે. ખાસ કરીને દેલવારા વિસ્તાર અને વોર્ડ નંબર-6માં ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતાં પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળોએ લોકો પોતાના ઘરો છોડીને સુરક્ષિત સ્થળે જવા મજબૂર બન્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ભારે વરસાદ બાદ બંદર વિસ્તારમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે પાણીનો ભરાવો યથાવત રહ્યો છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં લોકો માટે ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. કેટલાક વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે પહોંચવા માટે હોડીનો સહારો લેવો પડ્યો હતો.
આ પણ વાંચો: અમરેલીમાં વરસાદી માહોલ : જાફરાબાદના દરિયાકાંઠા અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર
સ્થાનિકોનો આક્ષેપ: સહાય માટે કોઈ પહોંચ્યું નહીં
દેલવારા વિસ્તારના રહેવાસી ઇસ્માઇલભાઈએ જણાવ્યું હતું કે મંગળવારની રાત્રે પડેલા ભારે વરસાદ બાદ સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. ઘરોમાં પાણી ભરાતા પરિવારોને પોતાની રીતે જ બહાર નીકળવું પડ્યું હતું. તેમનું કહેવું છે કે NDRFની ટીમ શહેરમાં પહોંચી હોવાની જાણકારી છે, પરંતુ તેમના વિસ્તારમાં હજુ સુધી નગરપાલિકા કે સ્થાનિક વહીવટી તંત્રના કોઈ અધિકારી મદદ માટે પહોંચ્યા નથી.
ઇસ્માઇલભાઈના જણાવ્યા મુજબ પૂરના પાણીના કારણે ઘરમાં રાખેલું અનાજ, કરિયાણું અને રોજિંદા ઉપયોગની મોટાભાગની વસ્તુઓ સંપૂર્ણપણે બગડી ગઈ છે. પશુધનને પણ નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું. તેમણે વહીવટી તંત્ર પાસે તાત્કાલિક રાહત અને સહાયની માંગ કરી છે.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે કેટલાક લોકો માત્ર ફોટોગ્રાફ લેવા માટે આવ્યા હતા, પરંતુ વાસ્તવિક રાહત કે મદદ કોઈએ કરી નથી. અસરગ્રસ્ત પરિવારો હાલમાં પીવાના પાણી, ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે.
ત્રણ દિવસથી પાણી ભરાયેલા, નિકાલની રાહ
માંગરોળના અન્ય સ્થાનિક ધનજીભાઈ સુખડિયાએ જણાવ્યું કે તેમના ઘરમાં પણ પાણી ઘૂસી જતાં આખું અનાજ અને ઘરવખરી બરબાદ થઈ ગઈ છે. મંગળવારની રાત્રિથી પાણી ભરાયેલું છે અને હજુ સુધી તેનો યોગ્ય નિકાલ થયો નથી. તેમણે જણાવ્યું કે હાલ સ્થિતિ એવી છે કે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. રસ્તાઓ પર પાણી ભરાયેલા હોવાથી સામાન્ય અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. તેમણે તંત્રને પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવા અને અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી સાચી પડી! : સુરતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી; મુશળધાર વરસાદથી રસ્તાઓ પાણી-પાણી, ગરમીથી લોકોને રાહત
વહીવટી તંત્ર સામે સવાલો
સ્થાનિકોના આક્ષેપો વચ્ચે હવે વહીવટી તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ભારે વરસાદ બાદ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કેટલી ઝડપથી પહોંચે છે તે મહત્વનું બની રહ્યું છે. અસરગ્રસ્ત પરિવારો હાલમાં પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે અને તાત્કાલિક ખાદ્યસામગ્રી, પીવાનું પાણી તેમજ જરૂરી સહાયની માંગ કરી રહ્યા છે.
માંગરોળમાં પડેલા અતિભારે વરસાદે એક તરફ પૂર જેવી સ્થિતિ સર્જી છે તો બીજી તરફ શહેરના ડ્રેનેજ અને પાણી નિકાલની વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ઝડપી રાહત કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.






