Vadodara News: વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શિવમ રેસીડેન્સીમાં ચાર મહિના પહેલાં લગ્ન કરનાર એક યુવતીએ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં કપૂરાઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, મૃતક નેહા શર્માના ચાર મહિના અગાઉ કાર્તિક જોશી સાથે લગ્ન થયા હતા. બુધવારે સવારે આશરે 9 વાગ્યે નેહાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે.
પોસ્ટમોર્ટમ દરમિયાન ઘર્ષણ, બંને પક્ષના અલગ-અલગ દાવા
સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ બહાર મૃતકના પરિવારજનો અને પતિના પરિવાર વચ્ચે ઘર્ષણ સર્જાતા રાવપુરા પોલીસને સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લેવી પડી હતી.
મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે નેહાને તેના પતિ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. બીજી તરફ, પતિ કાર્તિક જોશીના પડોશીઓ અને મિત્રએ આ આક્ષેપોને નકારી કાઢતા પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.





