Mahisagar News: મહીસાગર જિલ્લાના સંતરામપુરથી એક અત્યંત ચોંકાવનારા અને કળિયુગી પિતાની ક્રૂરતાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં એક પિતાએ જ પોતાના સગા વ્હાલસોયા પુત્રની કુહાડીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખી છે. માત્ર ખેતર ખેડવાના નજીવા પૈસાની તકરારમાં પિતા લોહી તરસ્યા બન્યા અને ક્ષણિક ગુસ્સાએ એક હસતા-રમતા પરિવારનો માળો વિખી નાખ્યો. શું છે સમગ્ર ઘટના..
ટ્રેક્ટરનું ભાડું ચૂકવવાની બાબતે પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી
સંતરામપુરના આંબા ગામે લોહીના સંબંધોને કલંકિત કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. આંબા ગામે રહેતા રમેશભાઈ ભાવાભાઈ માલીવાડે પોતાના જ ૩૩ વર્ષના દીકરા અરવિંદ માલીવાડની નિર્મમ હત્યા કરી નાખી છે. ઘટનાની વિગત એવી છે કે, મરણ જનાર અરવિંદભાઈએ પોતાના ખેતરમાં ટ્રેક્ટરથી ખેડાણ કરાવ્યું હતું. આ ટ્રેક્ટરનું ભાડું ચૂકવવાની બાબતે પિતા-પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી.
કુહાડીના જીવલેણ ઘા ઝીંકીને પુત્રને ઘટના સ્થળે જ મોતને ઘાટ
તકરાર એટલી વધી ગઈ કે ગુસ્સામાં આવીને પુત્ર અરવિંદે પિતાને ડાબા પગના થાપાના ભાગે લાકડી મારી દીધી હતી અને ત્યારબાદ તે ઘરમાં જઈને ખાટલા પર સૂઈ ગયો હતો. પરંતુ લાકડી વાગવાથી લાલચોળ થયેલા પિતાનો ગુસ્સો શાંત થયો ન હતો. પુત્ર જ્યારે નિદ્રાધીન હતો, ત્યારે જ કળિયુગી પિતા રમેશ માલીવાડે ઘરની આગળ પડેલી તીક્ષ્ણ કુહાડી ઉઠાવી લીધી. પિતાએ સૂતેલા પુત્ર પર કુહાડી વડે એકપછી એક ઘાતકી વાર કર્યા. માથા, મોઢા અને છાતીના ભાગે કુહાડીના જીવલેણ ઘા ઝીંકીને પુત્રને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી દીધો.
પૈસાની લ્હાયમાં પિતા હત્યારો બનતા સમગ્ર પંથકમાં અરેરાટી
આ ચકચારી ઘટના અંગે મૃતકની બહેન સુમિત્રાબેન ભુરીયાએ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી . પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપી પિતા રમેશભાઈ માલીવાડ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૦૩(૧) એટલે કે હત્યાનો ગુનો અને જી.પી.એક્ટની કલમ ૧૩૫ (હથિયારબંધી જાહેરનામાનો ભંગ) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર ક્ષણિક ગુસ્સા અને નજીવા પૈસાની લ્હાયમાં પિતા હત્યારો બનતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ક્ષણિક આવેશમાં આવીને લેવાયેલું પગલું કેવું ભયાનક પરિણામ લાવી શકે છે, આ ઘટના તેનો જીવતો જાગતો પુરાવો છે. હાલ તો પોલીસે ગુનો નોંધી હત્યારા પિતાને જેલના સળિયા પાછળ ધકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.






