Home National Kharge Statement Controversy Gujarat Bjp Congress Reaction

ગુજરાતીઓ ‘અભણ’ કહેવા પર Mallikarjun Kharge નો યુ-ટર્ન! : સોશિયલ મીડિયા પોસ્ટ કરી માંગી માફી

mallikarjun kharge
Published by: Chintan Chavda
Last Updated: Apr 08, 2026, 08:58 AM IST

ચૂંટણીનો માહોલ હોય ત્યારે નેતાઓની જીભ લપસે અને પછી આખી પાર્ટીએ તેનો પસ્તાવો કરવો પડે તેવી ઘટનાઓ ભારતીય રાજકારણમાં નવી નથી. અત્યારે કંઈક આવું જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ Mallikarjun Kharge સાથે થયું છે. ગુજરાત અને ગુજરાતીઓ વિશે કરેલી એક ટિપ્પણીએ અત્યારે એવો વિવાદ છેડ્યો છે કે ખડગેએ પોતે મેદાનમાં આવીને સફાઈ આપવી પડી છે. 8 એપ્રિલ 2026 ના રોજ, ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની પોસ્ટ દ્વારા આ વિવાદ મામલે "હૃદયપૂર્વકનો ખેદ" વ્યક્ત કર્યો. તેમણે સ્પષ્ટતા કરી કે તેમના શબ્દોનું ઇરાદાપૂર્વક ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે અને ગુજરાતીઓની લાગણી દુભાવવાનો તેમનો કોઈ ઇરાદો હતો જ નહીં. તેમણે એમ પણ ઉમેર્યું કે તેઓ ગુજરાત અને અહીંની પ્રજા પ્રત્યે અત્યંત ઉચ્ચ સન્માન ધરાવે છે.

પરંતુ પ્રશ્ન એ થાય કે આ આખો વિવાદ શરૂ ક્યાંથી થયો? વાત જાણે એમ છે કે, 5 એપ્રિલ 2026 ના રોજ કેરળના ઇડુક્કી જિલ્લામાં એક ચૂંટણી રેલી યોજાઈ હતી. કેરળ વિધાનસભાની ચૂંટણી માટે યુડીએફ (UDF) ગઠબંધનનો પ્રચાર કરતા ખડગે કેરળના લોકોના સાક્ષરતા દરના વખાણ કરી રહ્યા હતા.

આ ઉત્સાહમાં તેઓ ભાન ભૂલ્યા અને ગુજરાત વિશે એક તીખી ટિપ્પણી કરી દીધી. તેમણે સ્ટેજ પરથી કહ્યું કે, "કેરળના લોકોને મૂર્ખ ન બનાવો, તેઓ ખૂબ શિક્ષિત છે. મોદીજી અને વિજયન (કેરળના મુખ્યમંત્રી), તમે બંને ગુજરાત કે અન્ય જગ્યાએ રહેતા અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પણ કેરળમાં તમારી આ દાળ નહીં ગળે." બસ, ખડગેના આ ‘અભણ’ શબ્દે આખા દેશમાં રાજકીય દાવાનળ સળગાવી દીધો.

ભાજપનો આક્રમક મૂડ: ‘આ તો 6 કરોડ ગુજરાતીઓનું અપમાન’

ખડગેનું નિવેદન બહાર આવતા જ ભાજપે આને આડેહાથ લીધું અને તેને સમગ્ર ગુજરાતની અસ્મિતા પરનો હુમલો ગણાવ્યો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે આકરા પ્રહારો કરતા કહ્યું કે, આ નિવેદન અત્યંત વાંધાજનક છે. આ કોઈ પક્ષનો વિરોધ નથી, પણ 6 કરોડ ગુજરાતીઓનું સીધું અપમાન છે.

રાજ્યે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તો ત્યાં સુધી કહી દીધું કે આ કોંગ્રેસની "બીમાર માનસિકતા" દર્શાવે છે. તેમણે સવાલ કર્યો કે કોંગ્રેસને ગુજરાતીઓ પ્રત્યે આટલી નફરત કેમ છે? વિશ્લેષણ કરીએ તો સમજાય છે કે આ વિવાદ માત્ર ગુજરાત પૂરતો સીમિત રહ્યો નથી. રાષ્ટ્રીય સ્તરે પણ ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતરી આવ્યા છે.

આ પણ વાંચો: "ગુજરાતીઓ અભણ..." કોંગ્રેસના નેતા ખડગેનું નિવેદન : ગુજરાતીઓમાં ભભૂક્યો રોષ, "જો માફી નહીં માંગે તો...!"

પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આને ‘બેશરમીની હદ’ ગણાવી, તો પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ ધારદાર સવાલ ઉઠાવ્યો કે ગાંધી અને સરદારની આ પવિત્ર ભૂમિના લોકોને કોઈ ‘અભણ’ કહેવાની હિંમત કેવી રીતે કરી શકે? ભાજપના નેતાઓ અત્યારે આ મુદ્દાને દરેક ગલી અને મહોલ્લા સુધી પહોંચાડી રહ્યા છે.

પરંતુ વાત અહીં અટકતી નથી... શું આ કોંગ્રેસની જૂની આદત છે?

ભાજપે અત્યારે માત્ર આ એક નિવેદન પૂરતો વિરોધ સીમિત રાખ્યો નથી. તેમણે કોંગ્રેસના નેતાઓ દ્વારા ભૂતકાળમાં ગુજરાતીઓ અને વડાપ્રધાન મોદી માટે વપરાયેલા અપશબ્દોની લિસ્ટ જ ખોલી નાખી છે.

2022 ની ચૂંટણીમાં ખડગેએ જ્યારે મોદીની સરખામણી ‘રાવણ’ સાથે કરી હતી અને મધુસૂદન મિસ્ત્રીએ વડાપ્રધાનને તેમની ‘ઔકાત’ બતાવવાની વાત કરી હતી, તે બધું જ અત્યારે ફરીથી તાજું કરવામાં આવી રહ્યું છે.

ઇતિહાસમાં ડોકિયું કરીએ તો 2007 માં સોનિયા ગાંધીએ પણ નરેન્દ્ર મોદી માટે "મોત કા સોદાગર" શબ્દ વાપર્યો હતો. રાજકીય જાણકારો માને છે કે જ્યારે પણ કોંગ્રેસે આવી ભૂલ કરી છે, ત્યારે ત્યારે ભાજપને તેનો સીધો રાજકીય ફાયદો મળ્યો છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે.. આ વિવાદ જે સમયે થયો છે તે ઘણો સંવેદનશીલ છે. આવતીકાલે એટલે કે ૯ એપ્રિલે કેરળમાં મતદાન છે, જ્યાં ખડગે સાક્ષરતાના નામે મત માંગી રહ્યા છે. પરંતુ બીજી તરફ, 26 એપ્રિલે ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ અને 9,000 થી વધુ સ્થાનિક બેઠકો માટે મતદાન થવાનું છે. ગુજરાત હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે, અને હવે ભાજપ પાસે ‘ગુજરાતી અસ્મિતા’નો જ્વલંત મુદ્દો આવી ગયો છે.

ભાજપ પોતાની જાતને ગુજરાતીઓના રક્ષક તરીકે રજૂ કરી રહ્યું છે, જ્યારે કોંગ્રેસને ગુજરાત વિરોધી ચિતરવામાં કોઈ કસર છોડી રહ્યું નથી. અહીં પ્રશ્ન ઊભો થાય છે કે, શું માત્ર ‘ખેદ’ વ્યક્ત કરી દેવાથી થયેલું નુકસાન ભરપાઈ થઈ જશે?

આ પણ વાંચો: ગુજરાતીઓને અભણ કહેનારા ખડગેના અમિત શાહે કાઢ્યા છોતરાં : "રાહુલ ગાંધી નેતા બન્યા ત્યારથી કોંગ્રેસીઓનું જાહેરજીવનનું સ્તર નીચે આવી ગયું છે"

ચૂંટણીમાં શબ્દો જ શસ્ત્રો હોય છે અને ખડગેનું આ એક નિવેદન ગુજરાતમાં કોંગ્રેસ માટે મોટી મુસીબત બની શકે છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યારે લોકો પોતાની ઓળખ અને ગૌરવ સાથે જોડાયેલા હોય, ત્યારે આવા નિવેદનો પરિણામ પલટવાની તાકાત ધરાવે છે.

રાજકીય નિવેદનો માત્ર મતો પૂરતા મર્યાદિત નથી હોતા, તે પ્રાદેશિક ગૌરવ અને અસ્મિતા સાથે જોડાયેલા હોય છે. ખડગેની ટિપ્પણીથી સર્જાયેલ આ વિવાદ આગામી સ્થાનિક ચૂંટણીઓમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે અને ભાજપ માટે એક મજબૂત ચૂંટણી મુદ્દો પૂરો પાડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now