National News: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં જ્યારે પણ આતંકવાદ આડો આવે છે, ત્યારે ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપવા માટે જાણીતી છે. ગત વર્ષે 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો, જેમાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાની પ્રથમ વરસીની પૂર્વ સંધ્યાએ ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક અત્યંત આક્રમક પોસ્ટ મૂકીને પાકિસ્તાનને ચેતવણી આપી છે. સેનાએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે, "જ્યારે માનવતાની હદ પાર થાય છે, ત્યારે જવાબ પણ નિર્ણાયક હોય છે. ન્યાય મળી ગયો છે અને ભારત એકજૂથ છે."
સેનાની આ પોસ્ટ સાથે એક વિશેષ ગ્રાફિક પણ શેર કરવામાં આવ્યું છે, જેમાં 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) નો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને તેની કાયરતાની કિંમત યાદ અપાવવામાં આવી છે. આ સંદેશ દ્વારા ભારતે દુનિયાને બતાવી દીધું છે કે ભારત હવે માત્ર હુમલા સહન કરનાર દેશ નથી, પરંતુ દુશ્મનના ઘરમાં ઘૂસીને મારવાની ક્ષમતા ધરાવતો મજબૂત રાષ્ટ્ર છે. પહલગામમાં વહેવાયેલા નિર્દોષોના લોહીનો બદલો સેનાએ જે રીતે લીધો હતો, તે ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો છે.
શું હતું ઓપરેશન સિંદૂર? પાકિસ્તાની સરહદમાં ઘૂસીને કરાયો ખાતમો
પહલગામ હુમલા બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં છુપાયેલા આતંકીઓ વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું. આ એક અત્યંત ગુપ્ત અને ઘાતક લશ્કરી કાર્યવાહી હતી, જેનો હેતુ આતંકવાદના મૂળિયાં હચમચાવવાનો હતો.
લોન્ચપેડનો સફાયો: ભારતીય સેનાએ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના 9 મોટા આતંકી લોન્ચપેડને પાયમાલ કરી દીધા હતા.
આતંકીઓનો ખાતમો: આ ઓપરેશન દરમિયાન ભારતીય જવાનોએ અપ્રતિમ શૌર્ય દાખવીને 100 થી વધુ ખુંખાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
સરહદ પાર પ્રહાર: આ કાર્યવાહીએ સાબિત કર્યું કે ભારતની સંપ્રભુતા સામે આંખ ઉઠાવનારને ક્યારેય બક્ષવામાં આવશે નહીં.
આ પણ વાંચો: હવે નહીં ખૂટે ઓઇલ કે ગેસ! : ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે ભારતીય સેનાનો 'માસ્ટર પ્લાન' તૈયાર, જાણો શું છે રણનીતિ
પાકિસ્તાનના DGMO એ ભારત સામે સીઝફાયર માટે કરગવવું પડ્યું
ઓપરેશન સિંદૂરની પ્રચંડ સફળતા અને ભારતીય સેનાના તોપખાનાના સતત મારો સહન કરવાની પાકિસ્તાન સૈન્યમાં તાકાત નહોતી. સતત 4 દિવસ સુધી ચાલેલા ભીષણ સંઘર્ષમાં પાકિસ્તાનને એટલું મોટું નુકસાન થયું હતું કે તેમના જવાનો સરહદ છોડીને ભાગવા લાગ્યા હતા. આખરે પોતાની હાર નિશ્ચિત જોઈને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) એ ભારત સામે હાથ જોડીને યુદ્ધવિરામ (Ceasefire) માટે વિનંતી કરવી પડી હતી. લાંબી ચર્ચાઓ બાદ 10 મેના રોજ બંને પક્ષો વચ્ચે શાંતિ જાળવવા સહમતિ સધાઈ હતી. આ મિશનમાં ત્રણેય સેનાઓના અદભૂત તાલમેલ બદલ સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જવાનોને બિરદાવ્યા હતા.
PM મોદીનું 'મિશન સુદર્શન ચક્ર': ભારતની સુરક્ષા હવે વધુ અભેદ્ય
પહલગામ જેવી ઘટનાઓ ફરી ન બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી 'મિશન સુદર્શન ચક્ર' (Mission Sudarshan Chakra) ની જાહેરાત કરી છે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની સરહદો પર અત્યાધુનિક ટેકનોલોજી અને સર્વેલન્સ સિસ્ટમ ગોઠવવાનો છે, જેથી દુશ્મનોની ઘૂસણખોરીને સરહદ પર જ નિષ્ફળ બનાવી શકાય. આ મિશન હેઠળ ભારત પોતાની આક્રમક લશ્કરી ક્ષમતાઓમાં ધરખમ વધારો કરી રહ્યું છે, જેથી કોઈપણ બાહ્ય જોખમ સામે દેશની જનતાને સુરક્ષિત રાખી શકાય. ભારતનો આ નવો અવતાર સ્પષ્ટ કરે છે કે અમે શાંતિના પક્ષધર છીએ, પણ ન્યાય માટે શસ્ત્ર ઉઠાવતા પણ અચકાતા નથી.





