Home National Hamirpur Bridge Collapse Accident News Six Labourers Live Lost

હમીરપુરમાં નિર્માણાધીન પુલનો સ્લેબ તૂટતા 6 મજૂરોના મોત : અનેક કાટમાળમાં ફસાયા, બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

Hamirpur Bridge collapse
Image Credit: @Chhotukingoffi1
Published by: Nirali Gohil
Last Updated: May 29, 2026, 03:24 AM IST

હમીરપુર: ઉત્તર પ્રદેશના હમીરપુરમાં બેતવા નદી પર બની રહેલા એક નિર્માણાધીન પુલ પર શુક્રવારે વહેલી સવારે કુદરતી આફત અને માનવીય બેદરકારીનો ભોગ બનતા 6 મજૂરોના કરૂણ મોત નિપજ્યા છે. શુક્રવારે રાત્રિના અંધકારમાં જ્યારે આખો વિસ્તાર ઊંઘમાં હતો, ત્યારે અચાનક વાવાઝોડા અને વરસાદના કારણે પુલનો વિશાળ સ્લેબ ધડાકાભેર તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. નીચે કામ કરી રહેલા મજૂરો કાટમાળના ખડકલા નીચે દબાઈ ગયા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હાલમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, પરંતુ હજુ પણ ઘણા મજૂરો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ છે.

વાવાઝોડા અને ભારે વરસાદ બન્યા દુર્ઘટનાનું કારણ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે વિસ્તારમાં ભયાનક વાતાવરણ હતું. હવામાન વિભાગના અહેવાલ મુજબ, હમીરપુરમાં 70 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ પડ્યો હતો. સંભવતઃ આ તેજ પવન અને વરસાદને સહન ન કરી શકતા નિર્માણાધીન પુલનો સ્લેબ ધરાશાયી થયો હતો. સ્લેબ એટલો વિશાળ હતો કે નીચે કામ કરી રહેલા મજૂરોને સંભાળવાનો મોકો જ ન મળ્યો અને તેઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા.

ASP એ આપી વિગત: હજુ પણ બચાવ કામગીરી ચાલુ

ઘટનાસ્થળે હાજર રહેલા ASP અરવિંદ કુમાર વર્માએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અમને રાત્રે લગભગ 2 વાગ્યે આ દુર્ઘટના અંગે માહિતી મળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને તંત્રની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અત્યાર સુધીમાં 6 મજૂરોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાંથી 5 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યારે પ્રાથમિકતા કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાની છે. SDRF ની ટીમ અને જેસીબી મશીનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી અવિરત ચાલી રહી છે. સ્થાનિક અધિકારીઓ સતત બચાવ કાર્યનું નિરીક્ષણ કરી રહ્યા છે, જેથી ફસાયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી શકાય.

આ પણ વાંચો: ઇટાલીમાં પ્રતિબંધિત થયેલો ‘ફોરએવર કેમિકલ’ પ્લાન્ટ હવે ભારતમાં!: PFAS મુદ્દે દેશભરમાં ઉઠ્યો વિરોધ, પર્યાવરણ સુરક્ષા પર મોટા સવાલ

તંત્રની કામગીરી અને તપાસના આદેશ

ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનોમાં આક્રોશ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. આટલી મોટી દુર્ઘટના બાદ હવે બાંધકામની ગુણવત્તા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. શું વાવાઝોડા સિવાય બાંધકામમાં કોઈ ક્ષતિ હતી? તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે. હાલ તમામનું ધ્યાન માત્ર ફસાયેલા મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા પર કેન્દ્રિત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now