El Nino News: ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે આ વર્ષે ચોમાસા પર એલ નીનોની અસર પડી શકે છે. IMD ના વડાના જણાવ્યા અનુસાર, આ પરિસ્થિતિ સપ્ટેમ્બર સુધી યથાવત રહી શકે છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ઓછો વરસાદ, ભારે ગરમી અને ખેતી પર માઠી અસર જોવા મળી શકે છે.
શું છે આ એલ નીનો?
એલ નીનો એ એક હવામાન સંબંધિત ઘટના છે, જેમાં પ્રશાંત મહાસાગર (Pacific Ocean) નું તાપમાન સામાન્ય કરતાં વધી જાય છે. આની અસર વિશ્વભરના હવામાન પર પડે છે. ભારતમાં સામાન્ય રીતે આના કારણે નબળું ચોમાસું, દુષ્કાળ અને અતિશય ગરમી જેવી સ્થિતિ સર્જાય છે.
ઈરાન યુદ્ધથી ખાતર સપ્લાય પર સંકટ : 17 જહાજ ખાડીમાં ફસાયા, સરકારે શરૂ કર્યો વૈકલ્પિક પ્લાન
સપ્ટેમ્બર સુધી રહી શકે છે અસર
IMD ના જણાવ્યા મુજબ, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચાલનારા દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન એલ નીનો સક્રિય રહી શકે છે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં આની અસર સૌથી વધુ જોવા મળી શકે છે. IMD એ પહેલાથી જ 2026 ના ચોમાસાને સામાન્ય કરતાં નબળું ગણાવ્યું છે. વિભાગના મતે, આ વખતે દેશભરમાં વરસાદ સરેરાશના લગભગ 90 થી 92 ટકા જેટલો જ રહી શકે છે.
ખેડૂતોની ચિંતા વધી શકે છે
ઓછા વરસાદની સૌથી મોટી અસર ખેતી પર પડી શકે છે. ડાંગર (ચોખા), કઠોળ, કપાસ અને મકાઈ જેવા પાકોને નુકસાન થવાની આશંકા છે. દેશના ઘણા ભાગોમાં સિંચાઈની સુવિધા મર્યાદિત હોવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
મે મહિનાની ગરમી તો ટ્રેલર હતી! : જૂનમાં થશે અગ્નિપરીક્ષા, IMD એ આપી મોટી ચેતવણી
હીટવેવ અને જળ સંકટનો ખતરો
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એલ નીનોના કારણે આ વર્ષે અસહ્ય ગરમી પડી શકે છે. ઘણા રાજ્યોમાં હીટવેવ (લૂ) ની સ્થિતિ અને જળ સંકટ ઘેરૂ બની શકે છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યો પર આની ખાસ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી થઈ શકે છે
ઓછો વરસાદ અને ખેતી પર પડેલા ફટકાની અસર બજાર પર પણ જોવા મળી શકે છે. ખાદ્ય પદાર્થોની કિંમતોમાં વધારો અને મોંઘવારી વધવાની આશંકા સેવાઈ રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી શકે છે.
સરકાર અને એજન્સીઓ એલર્ટ મોડ પર
IMD સતત સમુદ્રના તાપમાન અને ચોમાસાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. નુકસાનને ઓછું કરી શકાય તે માટે સરકાર અને હવામાન એજન્સીઓ રાજ્યોને સમયસમય પર ચેતવણી અને સલાહ (એડવાઈઝરી) જાહેર કરી રહી છે.





