LPG Crisis: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને તણાવપૂર્ણ સ્થિતિને કારણે ભારત સહિત ગુજરાતમાં પણ એલપીજી (LPG) ગેસના પુરવઠા પર માઠી અસર પડી છે. ગેસની આ અછતને પહોંચી વળવા અને ખાસ કરીને શ્રમિક વર્ગને રાહત આપવા માટે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે. રવિવારે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, શ્રમ અને રોજગાર વિભાગ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત કેન્ટીનોમાં ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, જે શ્રમિકો ગેસની અછતને કારણે મુશ્કેલી ભોગવી રહ્યા છે, તેમના માટે ખાસ 5 કિલોના નાના સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવી છે.
સરકારી આંકડાઓ મુજબ, અત્યાર સુધીમાં રાજ્યમાં શ્રમિકોને 54,000 થી વધુ 5 કિલોના સિલિન્ડરનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ એ છે કે ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોને રાંધણ ગેસના અભાવે સ્થળાંતર ન કરવું પડે. સરકારનો દાવો છે કે વલસાડ અને નવસારી સહિતના સુરત ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં શ્રમિકોનું સ્થળાંતર ખૂબ જ ઓછું જોવા મળ્યું છે, જે સરકારી વ્યવસ્થાઓની સફળતા દર્શાવે છે.
ગ્રામીણ વિસ્તારો માટે કેરોસીન વિતરણની નવી વ્યવસ્થા
ગેસની તંગી વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં રાંધણ બળતણની સમસ્યા ન સર્જાય તે માટે સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને કેરોસીન ડીલર્સ એસોસિએશન સાથે સંકલન સાધીને કેરોસીન વિતરણની સિસ્ટમ ઉભી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 1,452 કિલોલિટર (KL) કેરોસીન ફાળવવામાં આવ્યું છે, જેમાંથી રાજ્ય સરકારે તમામ જિલ્લાઓને 36 KL કેરોસીનનો જથ્થો ફાળવી દીધો છે. આ નવી વ્યવસ્થા હેઠળ દરેક પરિવારને 5 લિટર અને સંસ્થાઓને 25 લિટર કેરોસીન મળવાપાત્ર રહેશે.





