રાજ્યમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે મતદાન કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગે મહત્વનો નિર્ણય લઈને સ્પષ્ટતા કરી છે કે ફરજ બાદના દિવસોમાં હાજરીને લઈને કર્મચારીઓ પર દબાણ ન આવે તે માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં હાલ વ્યાપક સ્તરે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં
15 મહાનગરપાલિકા
84 નગરપાલિકા
34 જિલ્લા પંચાયત
250 તાલુકા પંચાયત
આટલી મોટી સંખ્યામાં ચૂંટણી યોજાતા, હજારો સરકારી કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાં જોડાયા છે.
મતદાનના દિવસે કર્મચારીઓ માત્ર મતદાન પૂરતું કામ જ નથી કરતા પરંતુ ત્યારબાદ મતપેટી અને સામગ્રી રિસીવિંગ સેન્ટર સુધી પહોંચાડવી જેવી પ્રક્રિયામાં કલાકો સુધી વ્યસ્ત રહે છે. રાજ્ય ચૂંટણી આયોગે નોંધ્યું છે કે મતદાનના દિવસે કર્મચારીઓ ઘણી વખત મોડીરાત સુધી રિસીવિંગ સેન્ટર પર ફરજ બજાવતા હોય છે.
કેટલાક કિસ્સાઓમાં મતદાન મથકથી રિસીવિંગ સેન્ટર સુધી લાંબી મુસાફરી, ટ્રાન્સપોર્ટની અછત, પ્રોસેસિંગમાં સમયમાં વિલંબ, આ કારણોસર કર્મચારીઓ ઘણી વખત બીજા દિવસે જ ચૂંટણી સામગ્રી સોંપી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી આયોગે મહત્વનો નિર્ણય લીધો.
મહત્વનો નિર્ણય
જો કર્મચારી બીજા દિવસે સામગ્રી સોંપે તો તેને ફરજ પર હાજર ગણવામાં આવશે તેમની મૂળ કચેરીમાં ગેરહાજરી ગણાશે નહીં
કર્મચારીઓને મોટી રાહત
આ નિર્ણયથી ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીને મોટી રાહત મળી છે. અગાઉ કેટલીક વખત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમકે લાંબી ફરજ બાદ તરત જ બીજા દિવસે ઓફિસમાં હાજર રહેવાનું દબાણ, ગેરહાજરી નોંધાવાની ભીતિ, શારીરિક અને માનસિક થાક. હવે આ નવા નિયમથી કર્મચારીઓને આરામ અને વ્યવસ્થિત સમય મળશે જે તેમની કાર્યક્ષમતા માટે પણ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ભાજપનું જનસમર્થન સંમેલન : વિકાસ એજન્ડા સાથે મતદાન માટે અપીલ
પુનઃમતદાનમાં પણ લાગુ પડશે નિયમ
રાજ્ય ચૂંટણી આયોગે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં પણ પુનઃમતદાન (Re-polling) યોજાશે ત્યાં પણ આ જ નિયમ લાગુ પડશે. પુનઃમતદાનની ફરજ બજાવતા કર્મચારીઓને પણ આ જ પ્રકારની રાહત મળશે.
ભથ્થા અંગે સ્પષ્ટતા
આ નિર્ણય સાથે આયોગે એક મહત્વની સ્પષ્ટતા કરી છે કે આ વધારાના દિવસ માટે કોઈ વધારાનું ભથ્થું આપવામાં આવશે નહીં. આ નિર્ણયથી કર્મચારીઓને હાજરીમાં રાહત મળશે કોઈ વધારાની નાણાકીય સુવિધા આપવામાં નહીં આવે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રાજ્ય માટે મહત્વપૂર્ણ છે અને આવનારા દિવસોમાં મત ગણતરી અને પરિણામોની પ્રક્રિયા પણ શરૂ થશે. આ વચ્ચે, રાજ્ય ચૂંટણી આયોગનો આ નિર્ણય કર્મચારીઓ માટે સહાયક સાબિત થશે અને ચૂંટણી વ્યવસ્થાને વધુ માનવકેન્દ્રિત બનાવશે.






