ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ થયેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરકારી નાણાંની ઉચાપત અને ખોટા જોબકાર્ડ બનાવી ગેરરીતિ આચરવાના મામલે તત્કાલીન સરપંચ અને ઉપસરપંચ સામે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
વેરાવળ તાલુકા વિકાસ અધિકારી (TDO) ટીલાવતે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગોવિંદપરા ગામના તત્કાલીન સરપંચ ગની સુમરા અને ઉપસરપંચ ઈસા ચૌહાણ વિરુદ્ધ IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2012થી 2016 દરમિયાન મનરેગા યોજનામાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હતી. આરોપીઓએ મૃત વ્યક્તિઓ તેમજ પાકિસ્તાનમાં વસવાટ કરતા લોકોના નામે ખોટા જોબકાર્ડ તૈયાર કરીને સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે. આ ગેરરીતિઓ દ્વારા સરકારને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન ખુલ્યાં ચોંકાવનારા તથ્યો
મનરેગા યોજના હેઠળ ગ્રામિણ વિસ્તારોમાં રોજગારી પૂરી પાડવાના હેતુસર મજૂરોના નામે જોબકાર્ડ બનાવી કામના આધારે ચૂકવણી કરવામાં આવે છે. પરંતુ ગોવિંદપરા ગામમાં થયેલી તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ એન્ટ્રીઓ સામે આવી હતી. કેટલાક જોબકાર્ડ એવા લોકોના નામે બનાવાયા હતા જે વર્ષો પહેલાં અવસાન પામ્યા હતા, જ્યારે કેટલાક લોકો ગામમાં રહેતા જ ન હોવાનું સામે આવ્યું. તપાસ એજન્સીઓએ દસ્તાવેજોની ચકાસણી કરતાં ગેરરીતિઓની પુષ્ટિ થતાં સમગ્ર મામલો ગંભીર બન્યો હતો. ત્યારબાદ તત્કાલીન સરપંચ અને ઉપસરપંચની સંડોવણી સામે આવતા તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 406 (વિશ્વાસઘાત), 420 (છેતરપિંડી), 409 (સરકારી નાણાંની ઉચાપત), 468 (ખોટા દસ્તાવેજ બનાવવાનો ગુનો), 471 (ખોટા દસ્તાવેજનો ઉપયોગ) અને 114 હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવાની તેમજ આર્થિક લેવડદેવડની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રાજ્યસભાની 24 બેઠકો માટે 18 જૂને મતદાન : ગુજરાતની 4 બેઠકો પર નજર
મનરેગા જેવી યોજનાઓમાં પારદર્શિતાનો પ્રશ્ન ફરી ચર્ચામાં
આ કૌભાંડ બાદ ગ્રામિણ વિકાસ યોજનાઓના અમલીકરણ અને તેની દેખરેખ અંગે ફરી સવાલો ઊભા થયા છે. મનરેગા જેવી મહત્વપૂર્ણ યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રોજગારી પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે, પરંતુ સ્થાનિક સ્તરે થતી ગેરરીતિઓને કારણે યોજનાની વિશ્વસનીયતા પર અસર પડે છે.
સ્થાનિક સ્તરે લોકોમાં પણ આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર તપાસ ન થઈ હોત તો ગેરરીતિઓ વધુ લાંબા સમય સુધી ચાલતી રહેત. હાલ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આગળ વધુ લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.






