Banaskantha News: ગુજરાતના રાજકારણમાં હાલ નિવેદનબાજીનો દોર તેજ બન્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલા તાજેતરના નિવેદન સામે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આક્રમક વલણ અપનાવ્યું છે. ગેનીબેને માત્ર વળતો પ્રહાર જ નથી કર્યો, પરંતુ જગદીશ વિશ્વકર્માને 2027ની વિધાનસભા ચૂંટણી બનાસકાંઠાની ધરતી પરથી લડવા માટે ખુલ્લી ચેલેન્જ પણ આપી દીધી છે.
"સત્તા કોઈના બાપની પેઢી નથી"
ગેનીબેન ઠાકોરે લોકશાહીના મૂલ્યોની યાદ અપાવતા જણાવ્યું હતું કે, સત્તા એ કાયમી નથી અને તે કોઈના બાપની પેઢી પણ નથી. તેમણે કહ્યું કે, "હાર અને જીત એ લોકશાહીનો એક ભાગ છે. બહુમતીનો આનંદ લોકશાહી ઢબે હોવો જોઈએ અને તે માટે અમે તેમને અભિનંદન પણ આપીએ છીએ. પરંતુ સત્તાના નશામાં છકી જઈને પાયાવિહોણી વાતો કરવી યોગ્ય નથી."
બનાસકાંઠાની જનતાનું અપમાન કરવાનો આરોપ
જગદીશ વિશ્વકર્માના નિવેદનને આડેહાથ લેતા ગેનીબેને જણાવ્યું કે, તેમણે બનાસકાંઠાની દીકરીઓ અને જનતાનું અપમાન કર્યું છે. જો તેમણે રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા બનાસકાંઠાની સમસ્યાઓ ઉકેલવાની વાત કરી હોત, તો અમે લોકશાહી ઢબે તેમનો આભાર માનત. તેઓ પોતે ઓબીસી નેતા હોવાનો દાવો કરે છે, છતાં ઓબીસી મહિલાઓના આરક્ષણ વિશે વાત કરવાને બદલે બહેન-દીકરીઓને અપમાનિત કરે છે. આ તેમની કેવી માનસિકતા છે?"
'મામેરું' અને બનાસકાંઠાની સંસ્કૃતિ
૨૦૨૪ની લોકસભા ચૂંટણીને યાદ કરતા ગેનીબેને ભાવુક અંદાજમાં કહ્યું કે, "મેં બનાસકાંઠાની જનતા પાસે એક દીકરી તરીકે 'મામેરું' માંગ્યું હતું અને બનાસની જનતાએ મને ખોબલે ખોબલે મત આપીને ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખી છે. જગદીશભાઈ પોતાને બનાસકાંઠાના પુત્ર ગણાવે છે, પણ વાસ્તવમાં તેમણે અહીંની જનતાનું અપમાન કર્યું છે, જે બદલ તેમણે માફી માંગવી જોઈએ."
આ પણ વાંચો: "બાળકોની હાજરીમાં જ પ્રેમીને બેડરૂમમાં બોલાવતી હતી પત્ની?" : તમને હચમચાવી દેશે પતિનો છેલ્લી 6 મિનિટનો વીડિયો
૨૦૨૭ માટે આરપારની લડાઈની તૈયારી
ગેનીબેન ઠાકોરે જગદીશ વિશ્વકર્માના 'સામ, દામ, દંડ, ભેદ'ની નીતિ સામે સીધો પડકાર ફેંકતા કહ્યું જો તેમનામાં પાવર હોય, તો ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી બનાસકાંઠાથી લડી બતાવે. હું મારા મોવડી મંડળને વિનંતી કરીશ કે જગદીશ વિશ્વકર્મા જ્યાંથી લડે ત્યાંથી મને ટિકિટ આપે. અને જો મને ટિકિટ ન મળે તો પણ કોંગ્રેસનો સામાન્ય કાર્યકર તેમને હરાવવા સક્ષમ છે. ત્યારે ખબર પડશે કે બનાસકાંઠાનું પાણી શું છે અને જનતા કોના પક્ષમાં છે."
કોંગ્રેસની મર્યાદા અને ભાજપ પર પ્રહાર
ગેનીબેને ઉમેર્યું હતું કે કોંગ્રેસે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી વર્ષો સુધી શાસન કર્યું છે, પરંતુ ક્યારેય ભાજપની મહિલાઓ કે નેતાઓ માટે અપમાનજનક શબ્દો વાપર્યા નથી. તેમણે અંતમાં ચેતવણી આપતા કહ્યું કે બનાસકાંઠાની જનતામાં કેટલો દમ છે, તે આવનારો સમય જ નક્કી કરશે.





