Ahmedabad News: અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ જાણીતા ભારતી આશ્રમ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવ્યો છે. આશ્રમના વ્યવસ્થાપક અને શ્રી હરિહરાનંદ બાપુના શિષ્ય તરીકે ઓળખાતા ઇકા બાપુ સામે એક યુવાને અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. પીડિત યુવકનો દાવો છે કે તેની પાસે આ સમગ્ર ઘટનાના વિડિયો પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
શું છે સમગ્ર મામલો?
ભોગ બનનાર યુવકના જણાવ્યા અનુસાર, ઇકા બાપુએ તેની સાથે અશ્લીલ હરકતો કરી હતી અને હસ્તમૈથુન કરાવ્યું હતું. આ ઘટના આશ્રમ પરિસરમાં જ બની હોવાનો આક્ષેપ છે. યુવકે દાવો કર્યો છે કે આ સમગ્ર કુકર્મનો વિડિયો પુરાવા તરીકે તેની પાસે ઉપલબ્ધ છે અને તે ન્યાયની માંગ કરી રહ્યો છે.
અમદાવાદના VIP વિસ્તારમાં ભીષણ આગ! : ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે
પોલીસની કામગીરી સામે સવાલો
યુવકનો આરોપ છે કે આટલા ગંભીર મામલે અને પુરાવા હોવા છતાં સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા તેની ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
યુવકનો આક્ષેપ
"મેં સરખેજ પોલીસ સ્ટેશનમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પરંતુ ત્યાંના પી.આઈ. (PI) દ્વારા એવું કહીને ફરિયાદ લેવાનો ઇનકાર કરી દેવાયો કે 'આ ઘટનામાં કોઈ ગુનો બનતો નથી'." પોલીસના આ પ્રકારના વલણને કારણે યુવક અને તેના પરિવારમાં ભારે નારાજગી અને આશ્ચર્ય ફેલાયું છે.
અમદાવાદમાં જહીર ડબ્બાના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો : એવું તો શું આવ્યું ડોક્ટર રિપોર્ટમાં?
"મને જીવનું જોખમ છે"- પીડિતની આપવીતી
આક્ષેપો સામે આવ્યા બાદ પીડિત યુવકે પોતાની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. યુવકે જણાવ્યું કે આ મામલો બહાર આવતા અને તેની ઓળખ જાહેર થઈ જવાથી હવે તેને પોતાના જીવનું જોખમ ઉભું થયું છે. જો ભવિષ્યમાં તેને અથવા તેના પરિવારને કોઈપણ પ્રકારની શારીરિક હાનિ પહોંચશે, તો તેની સંપૂર્ણ જવાબદારી ભારતી આશ્રમના વ્યવસ્થાપક ઇકા બાપુ અને મુખ્ય મહંત શ્રી હરિહરાનંદ બાપુની રહેશે.
આગામી સમયમાં મોટા આંદોલનની ચેતવણી
આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક સ્તરે અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. યુવકે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને નિષ્પક્ષ તપાસ કરવામાં નહીં આવે, તો તે આ લડત અટકાવશે નહીં. આ સમગ્ર મુદ્દા અને વિડિયો પુરાવાઓને ગુજરાતભરના લોકો સુધી પહોંચાડીને ન્યાયની માંગ કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર આક્ષેપો બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે હસ્તક્ષેપ કરે છે કે કેમ, અને આશ્રમ વહીવટીતંત્ર તરફથી આ અંગે શું ખુલાસો કરવામાં આવે છે.





