CSK : IPL 2026 ની સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખૂબ જ નબળી રહી છે. ટીમે તેની શરૂઆતની બંને મેચો ગુમાવી દીધી છે. રાજસ્થાન રોયલ્સ બાદ હવે પંજાબ કિંગ્સ સામે પણ હારનો સામનો કરવો પડ્યો છે. સૌથી ચિંતાની વાત એ છે કે, મહેન્દ્ર સિંહ ધોની ઈજાના કારણે ટીમની સાથે નથી અને તેની ગેરહાજરીમાં ટીમ મેદાન પર રણનીતિ બનાવવામાં નિષ્ફળ રહી હોય તેવું લાગે છે. ચેન્નાઈએ તેના હોમ ગ્રાઉન્ડ પર સતત છઠ્ઠી હારનો સામનો કર્યો છે.
19 વર્ષમાં પહેલીવાર બન્યું આવું
પંજાબ સામેની મેચમાં CSK એ એક અનોખો નિર્ણય લીધો હતો. IPL ના 19 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ચેન્નાઈએ તેની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર બે જ વિદેશી ખેલાડીઓનો સમાવેશ કર્યો હતો. સામાન્ય રીતે દરેક ટીમ ચાર વિદેશી ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરે છે, પરંતુ CSK એ આ વખતે નવ ભારતીય ખેલાડીઓ પર ભરોસો મૂક્યો હતો. આખા IPL ઈતિહાસની 1,154 મેચોમાં આવું માત્ર સાતમી વાર બન્યું છે જ્યારે કોઈ ટીમે બે કે તેથી ઓછા વિદેશી ખેલાડી રમાડ્યા હોય.
ટીમમાં કરાયેલા ફેરફાર
રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળની આ મેચમાં રાહુલ ચહરને ચેન્નાઈ માટે ડેબ્યૂ કરવાની તક મળી હતી. રાજસ્થાન સામેની હાર બાદ ચેન્નાઈની ટીમે બે મહત્વના ફેરફાર કર્યા હતા. મેથ્યુ શોર્ટની જગ્યાએ પ્રશાંત વીરને લેવામાં આવ્યો અને રાહુલ ચહરને ઈમ્પેક્ટ સબ તરીકે ટીમમાં સામેલ કરાયો. આ ફેરફારોને કારણે જેમી ઓવરટન જેવા ખેલાડીએ પોતાની જગ્યા ગુમાવવી પડી હતી.
યુવા ખેલાડીઓનો દબદબો
CSK એ આ મેચમાં યુવા ખેલાડીઓ પર વધુ ભાર મૂક્યો હતો. પ્લેઈંગ ઈલેવનમાં 21 વર્ષથી ઓછી ઉંમરના ચાર ખેલાડીઓને લત આપી હતી. જેમાં આયુષ મ્હાત્રે, પ્રશાંત વીર, કાર્તિક શર્મા અને નૂર અહેમદ જેવા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, IPL ના ઈતિહાસમાં આ બીજી એવી મેચ હતી જેમાં MS ધોની અને સુરેશ રૈના બંને ટીમનો ભાગ ન હતા.
આ પણ ખાસ વાંચો : MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે? : સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ
ઈજા બની મોટું કારણ
ટીમમાં આટલા મોટા ફેરફારો પાછળનું મુખ્ય કારણ ખેલાડીઓની ઈજા છે. ધોની સિવાય ડેવાલ્ડ બ્રેવિસ પણ સાઈડ સ્ટ્રેનને કારણે બહાર છે. આ સિવાય નાથન એલિસ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, જેના રિપ્લેસમેન્ટ તરીકે આવેલ સ્પેન્સર જોહ્ન્સન પણ ઈજાગ્રસ્ત છે. જેક ફોક્સ અને એકીલ હોસીન જેવા વિદેશી ખેલાડીઓ બેન્ચ પર હોવા છતાં ટીમે ભારતીય ખેલાડીઓ સાથે રમવાનું પસંદ કર્યું હતું.





