સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતે CJP વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીને લઈને પ્રસારિત થયેલા મીડિયા અહેવાલો પર કડક નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં કોઈ સત્તાવાર અરજી જ દાખલ કરવામાં આવી નહોતી, છતાં કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો કે તેમણે કેસને લિસ્ટ કરવા અથવા તેની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. CJIએ આવી રિપોર્ટિંગને "ગેરજવાબદાર" અને "બેદરકારીભરી" ગણાવી હતી.
સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે જણાવ્યું કે એક વકીલે માત્ર એક પ્રતિનિધિત્વ (Representation/Letter)નો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેને સત્તાવાર રિટ અરજી તરીકે રજૂ કરવામાં આવી હોય તેવી રીતે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે કોઈપણ ન્યાયિક પ્રક્રિયા માટે યોગ્ય રીતે અરજી દાખલ થવી જરૂરી છે અને તેના વગર કેસને લિસ્ટ કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
આ પણ વાંચો: 'ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગનું શું થયું' : અનશન સમાપ્ત કર્યા બાદ સોનમ વાંગચૂકએ આપ્યું મોટું નિવેદન
'રજિસ્ટ્રીમાં એક પણ દસ્તાવેજ દાખલ થયો નહોતો'
CJIએ જણાવ્યું કે સમગ્ર મામલાની તપાસ માટે તેમણે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી પાસેથી માહિતી મંગાવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે સુનાવણીના દિવસે સવારે 10 વાગ્યા સુધી આ મામલે એક પણ પાનું કે કોઈ સત્તાવાર અરજી દાખલ કરવામાં આવી નહોતી.
તેમણે કહ્યું કે જ્યારે કોઈ અરજી જ દાખલ ન થઈ હોય ત્યારે તેને લિસ્ટ કરવાનો અથવા તેના પર સુનાવણી કરવાનો પ્રશ્ન જ નથી. "આનો અર્થ એવો નથી કે યોગ્ય રીતે દાખલ કરવામાં આવેલી અરજી પર અમે સુનાવણી નહીં કરીએ. પરંતુ માત્ર એક પ્રતિનિધિત્વને રિટ અરજી તરીકે સ્વીકારી શકાય નહીં," એમ CJIએ સ્પષ્ટ કર્યું.
'મેં કેસ લિસ્ટ કરવાનો ઇનકાર કર્યો નહોતો'
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે છેલ્લા બે દિવસથી મીડિયામાં સંપૂર્ણપણે ભ્રામક માહિતી પ્રસારિત થઈ રહી હતી. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે કેસ લિસ્ટ કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે હકીકતમાં આવી કોઈ અરજી જ દાખલ થઈ નહોતી.
તેમણે જણાવ્યું કે "કોઈ મિશ્રા અથવા અન્ય વ્યક્તિએ માત્ર એક પ્રતિનિધિત્વ મોકલ્યું હતું. હું તેને રિટ અરજી કેવી રીતે માની શકું? લોકો તથ્યોની ચકાસણી કર્યા વગર સમાચાર પ્રસારિત કરવા લાગે છે."
આ પણ વાંચો: 10 વર્ષની જેલ, રૂ 10000000 સુધીનો દંડ… : પેપર લીક કાયદામાં મોટા ફેરફારની તૈયારી, મોદી સરકાર લાવશે નવું વિધેયક
22 જુલાઈએ શું બન્યું હતું?
22 જુલાઈએ વકીલ નરેન્દ્ર મિશ્રાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર કથિત બળપ્રયોગનો મુદ્દો મૌખિક રીતે ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેની વીડિયો ક્લિપ્સ પણ ઉપલબ્ધ છે.
તે સમયે CJIએ તાત્કાલિક સુનાવણી માટેની માંગ સ્વીકારી નહોતી અને કહ્યું હતું કે કોર્ટ પાસે વીડિયો જોવા માટે સમય નથી. ત્યારબાદ કેટલાક મીડિયા અહેવાલોમાં એવો અર્થ કાઢવામાં આવ્યો કે સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલો સાંભળવાનો જ ઇનકાર કર્યો છે. હવે CJIએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે માત્ર તાત્કાલિક લિસ્ટિંગ કરી નહોતી કારણ કે કોર્ટ સમક્ષ કોઈ સત્તાવાર અરજી જ ઉપલબ્ધ નહોતી.
આ પણ વાંચો: 'પેપર લીક પર આજે વધુ કડક કાર્યવાહી થશે' : મોડી રાત્રે PM મોદીનો વિદ્યાર્થીઓ માટે Video સંદેશ
મીડિયા માટે જવાબદારીનો સંદેશ
CJI સૂર્યકાંતે મીડિયા સંસ્થાઓને અપીલ કરી કે ન્યાયિક પ્રક્રિયા સંબંધિત સમાચાર પ્રસિદ્ધ કરતાં પહેલાં તથ્યોની સંપૂર્ણ ચકાસણી કરવી જરૂરી છે. તેમણે કહ્યું કે અદાલત અંગે ખોટી માહિતી પ્રસારિત કરવાથી લોકોમાં ગેરસમજ ફેલાય છે અને ન્યાયતંત્ર અંગે અનાવશ્યક વિવાદ ઊભો થાય છે.





