ભાવનગરમાં રાજકીય રંગ બદલાવની અનોખી ઘટના સામે આવી છે, જ્યાં પૂર્વ મહિલા નગરસેવીકા સેજલ ગોહિલએ માત્ર થોડા કલાકોમાં જ પક્ષપલટો કરીને ચર્ચાનો વિષય બનાવી દીધો છે. ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલી સેજલ ગોહિલે લગભગ 2 થી 3 કલાકમાં જ ફરી ભાજપમાં વાપસી કરી છે.
"કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાવી દીધી હતી" : સેજલ ગોહિલ
ભાજપમાં પાછા જોડાવવાના નિર્ણય પર પત્રકારના સવાલના જવાબમાં સેજલ ગોહિલે કહ્યું કે, "હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી, કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાવી દીધી હતી. મને અલગ અલગ રીતે ‘તમે સુરક્ષિત નથી’ અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે અને પછી મને મારી ભૂલ સમજાણી એટલે હું પાછી અહીં (ભાજપમાં) આવી ગઈ."
"કોંગ્રેસના આગેવાનોએ કહ્યું તમે આવી રીતે બોલજો" : સેજલ ગોહિલ
પત્રકારે તેમના નિવેદન મામલે તેમણે ઘેરતા પૂછ્યું, "તમે એવું કહી રહ્યા હતા કે ‘હું પોતે સુરક્ષિત નથી, માઈનોરિટી વિસ્તાર કે ઓબીસી લોકો પણ ભાજપમાં સુરક્ષિત નથી’." ત્યારે સેજલ ગોહિલે કહ્યું કે, "મને કોંગ્રેસના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘તમે આવી રીતે બોલજો’. કોંગ્રેસના આગેવાનો છે ઘણા, પણ નામ તો નથી."
"જીવિત રહીશ ત્યાં સુધી ભાજપમાં જ રહીશ." : સેજલ ગોહિલ
આ મામલે સેજલ ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે, "હા, સુરક્ષિત જ છું, પણ મને ભરમાવી હતી અને મારી ભૂલ થઈ ગઈ હતી. એ ભૂલની હું માફી માંગુ છું અને સ્વીકાર કરું છું. ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને જીવિત રહીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં જ રહીશ."
પત્રકારે સેજલ ગોહિલને ટિકિટના ફોન વિશે પૂછ્યું કે, "કોંગ્રેસમાં જોડાયા ત્યારે તમને ભાજપના એક નેતાનો ફોન આવ્યો હતો, કોનો ફોન હતો? કે ‘હું તમને ટિકિટ આપીશ આવી જાઓ પાછા’." ત્યારે તેમના જવાબમાં પૂર્વ મહિલા નગરસેવીકાએ કહ્યું, "ના, એવો કોઈ ફોન નહોતો આવ્યો. મને ત્યાંથી કહેવામાં આવ્યું હતું કે ‘તમે આવી રીતે બોલજો’.
પત્રકારે ભાજપમાં ફોન વિશે પૂછ્યું, "અત્યારે ભાજપમાં જોડાયા, તો ભાજપમાંથી એવું કહેવામાં આવ્યું કે ‘તમને ફરી ટિકિટ આપવામાં આવશે તમે ભાજપમાં જોડાઈ જાઓ’?" તો સેજલ ગોહિલે જવાબમાં કહ્યું કે, "ના, એવું કશું જ નથી કીધું. હું મારી જાતે જ આવી છું અને મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું પાછી આવી છું."





