વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના નવનિર્વાચિત કોર્પોરેટર આશિષ જોષીને કાયદાકીય મોરચે મહત્વપૂર્ણ રાહત મળી છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા દસ દિવસથી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આશિષ જોષીની જામીન અરજી બોડેલી કોર્ટે મંજૂર કરી છે. અદાલતના આ નિર્ણય બાદ આશિષ જોષીની જેલમુક્તિ થતાં તેમના સમર્થકો અને કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જામીનના સમાચાર બહાર આવતા જ વડોદરા શહેરમાં તેમના સમર્થકો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. અનેક કાર્યકરો અને સ્થાનિક સમર્થકોએ આ નિર્ણયને “સત્ય અને કાયદાની જીત” ગણાવ્યો હતો. બીજી તરફ, કોંગ્રેસે ફરી એકવાર આ સમગ્ર કેસને રાજકીય દબાણ અને બદલો લેવાની કાર્યવાહી સાથે જોડ્યો છે.
હરણી બોટકાંડ બાદ રાજકીય સમીકરણો બદલાયા
આશિષ જોષીનું નામ છેલ્લા કેટલાક મહિનાથી વડોદરાના રાજકારણમાં સતત ચર્ચામાં રહ્યું છે. તેઓ અગાઉ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે સંકળાયેલા હતા અને કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જોકે, વડોદરાના ચકચારી હરણી બોટકાંડ બાદ તેમણે પીડિત પરિવારોની તરફેણમાં ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો અને ઘટનામાં જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી.
હરણી બોટકાંડમાં નિર્દોષ બાળકો અને લોકોના મોત બાદ શહેરમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ સમયે આશિષ જોષી પીડિત પરિવારોની પડખે ઊભા રહ્યા હતા, જેના કારણે સત્તાધારી પક્ષ સાથે તેમના સંબંધોમાં તણાવ સર્જાયો હતો. ત્યારબાદ તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રાજકીય પરિસ્થિતિ બદલાતાં આશિષ જોષીએ કોંગ્રેસનો હાથ પકડી લીધો અને વોર્ડ નંબર ૧૫માંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. નોંધપાત્ર વાત એ રહી કે સત્તાધારી પક્ષના ભારે વિરોધ છતાં તેમણે જીત મેળવી હતી. આ જીત બાદ તેઓ વિરોધ પક્ષ માટે વધુ સક્રિય અવાજ તરીકે ઉભરી આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં પરિવર્તનના મંડાણ! : નર્મદામાં 'AAP'ની ઐતિહાસિક જીત બાદ કેજરીવાલનો રાજપીપલામાં ભવ્ય રોડ-શો
ચૂંટણી દરમિયાન જ નોંધાયો દારૂનો કેસ
ચૂંટણીના માહોલ વચ્ચે જ આશિષ જોષી વિરુદ્ધ સંખેડા પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો, જેના કારણે સમગ્ર મામલો વધુ રાજકીય રંગ પકડી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ૨૩ એપ્રિલના રોજ સંખેડા પોલીસે પ્રમોદ પાંડે નામના વ્યક્તિને અંદાજે ₹૩ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. દારૂથી ભરેલી ઇકો કાર જપ્ત કર્યા બાદ પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ દાવો કર્યો હતો કે આ દારૂનો જથ્થો કવાંટ ખાતેથી લાવવામાં આવ્યો હતો અને વડોદરામાં આશિષ જોષીને પહોંચાડવાનો હતો.
આ નિવેદનના આધારે પોલીસે આશિષ જોષીને આરોપી તરીકે દર્શાવી તેમની અટકાયત કરી હતી. કોંગ્રેસે શરૂઆતથી જ આ કાર્યવાહી પર સવાલો ઊભા કર્યા હતા અને દાવો કર્યો હતો કે ચૂંટણી પહેલા રાજકીય રીતે દબાણ ઊભું કરવા માટે આ કેસ ગોઠવવામાં આવ્યો હતો.
10 દિવસ બાદ મળી કાયદાકીય રાહત
પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ આશિષ જોષીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. છેલ્લા દસ દિવસથી તેઓ જેલમાં હતા. આજે બોડેલી કોર્ટે જામીન અરજી પર સુનાવણી હાથ ધરી હતી, જેમાં બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી હતી. બચાવ પક્ષે દલીલ કરી હતી કે આશિષ જોષી સામે સીધો કોઈ પુરાવો ઉપલબ્ધ નથી અને માત્ર સહઆરોપીના નિવેદનના આધારે તેમની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ, સરકારી પક્ષે તપાસ ચાલુ હોવાનું જણાવી જામીનનો વિરોધ કર્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે આશિષ જોષીના જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો હતો. આ નિર્ણય બાદ આજે તેઓ જેલમાંથી મુક્ત થયા છે.
રાજકીય ચર્ચાઓ ફરી તેજ
આશિષ જોષીને જામીન મળતાં વડોદરાના રાજકીય માહોલમાં ફરી ચર્ચાઓ તેજ બની ગઈ છે. કોંગ્રેસે આ નિર્ણયને ન્યાયિક પ્રક્રિયાની જીત ગણાવી છે, જ્યારે ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે હરણી બોટકાંડ બાદ ઉભા થયેલા રાજકીય મતભેદો અને ત્યારબાદ થયેલા પક્ષપલટાના કારણે આશિષ જોષીનું નામ સતત ચર્ચામાં રહ્યું છે. હવે જામીન મળ્યા બાદ તેઓ ફરીથી સક્રિય રાજકીય ભૂમિકા ભજવશે કે કેમ તે અંગે પણ અટકળો શરૂ થઈ ગઈ છે.





