Ahmedabad Crime Branch: અમદાવાદના વટવા વિસ્તારમાં વર્ષોથી એક મકાન વિશે અફવાઓ ચાલી રહી હતી. લોકો કહેતા કે ત્યાં કોઈ રહી શકતું નથી, રાત્રે અજીબ ઘટનાઓ બને છે અને દર શુક્રવારે કોઈ અજાણ્યો વ્યક્તિ દીવો-અગરબત્તી કરવા આવે છે. હવે એ જ મકાનમાંથી 20 ફૂટ ઊંડે માનવ કંકાલ મળતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 33 વર્ષ જૂના સંભવિત હત્યા કેસનું રહસ્ય ઉકેલવાની દિશામાં મોટી સફળતા મેળવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચને થોડા સમય પહેલા એક ગુપ્ત માહિતી મળી હતી કે વટવાના કુતુબનગર વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર 10ના મકાનમાં વર્ષો પહેલા એક મહિલાની હત્યા કરીને તેની લાશ દફનાવવામાં આવી હતી. શરૂઆતમાં માહિતી અત્યંત મર્યાદિત હતી, પરંતુ ક્રાઈમ બ્રાંચે ધીરજપૂર્વક અને ગુપ્ત રીતે લાંબી તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન અધિકારીઓએ વિસ્તારના અનેક મકાનો વિશે માહિતી એકત્રિત કરી. ત્યારે જાણવા મળ્યું કે આખા વિસ્તારમાં એક જ એવું મકાન છે જ્યાં છેલ્લા પાંચથી સાત વર્ષથી કોઈ રહેવા આવતું નથી. સ્થાનિક લોકોમાં પણ એ મકાનને લઈને ભય અને અંધશ્રદ્ધા ફેલાયેલી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ મકાન અગાઉ સાલિયા બીબી નામની મહિલાનું હતું. બાદમાં મકાન વેચાઈ ગયું હતું, પરંતુ નવા માલિકો પણ અહીં લાંબા સમય સુધી રહી શક્યા નહોતા. પડોશીઓનું કહેવું હતું કે જે કોઈ અહીં રહેવા આવે તે કોઈને કોઈ રીતે પરેશાન થતો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં મોટી દુર્ઘટના : કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ દરમિયાન ક્રેનનો કેબલ તૂટ્યો, એક શ્રમિકનું મોત; એક ગંભીર
‘ફરજાના’ નામની મહિલાની હત્યાની આશંકા
ક્રાઈમ બ્રાંચે તપાસ આગળ વધારતાં એક મહિલાનું નામ સામે આવ્યું ફરજાના. પ્રાથમિક માહિતી મુજબ ફરજાના મૂળ ધોળકાની રહેવાસી હતી. વર્ષ 1992 આસપાસ તેના લગ્ન સુરતમાં થયા હતા, પરંતુ લગ્નજીવન ટક્યું નહોતું અને થોડા સમયમાં જ તે પિયરમાં પરત આવી ગઈ હતી. પોલીસ તપાસ મુજબ, બાદમાં ફરજાનાનું જીવન પરિવારથી અલગ થઈ ગયું હતું અને તે અમદાવાદ આવી ગઈ હતી. અહીં દરમિયાન તેનો સંપર્ક સમસુદ્દીન નામના યુવક સાથે થયો હતો. બંનેએ લગ્ન કર્યા, પરંતુ વૈવાહિક જીવનમાં સતત વિવાદો ચાલતા હતા. ક્રાઈમ બ્રાંચના જણાવ્યા પ્રમાણે, સમસુદ્દીન ફરજાનાથી છૂટકારો મેળવવા ઈચ્છતો હતો. આ દરમિયાન તેણે પોતાના મિત્ર અબ્દુલ કરીમ, ભાઈ ઇકબાલ અને અન્ય લોકોની મદદથી કાવતરું રચ્યું હોવાની આશંકા છે.
હત્યાનું કથિત કાવતરું કેવી રીતે રચાયું?
તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, અબ્દુલ કરીમના પરિચયમાં સાલિયા બીબી હતી. આ કારણે સમસુદ્દીન અને ફરજાનાને થોડા દિવસ માટે સાલિયા બીબીના મકાનમાં રોકાવા લઈ જવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અગાઉથી જ ઘરમાં એક ખાડો ખોદવામાં આવ્યો હતો. રાત્રે જ્યારે ફરજાના સૂઈ ગઈ ત્યારે આરોપીઓએ મળીને તેનું ગળું દબાવી હત્યા કરી હોવાની આશંકા છે. ત્યારબાદ મૃતદેહને ખાડામાં દફનાવી દેવામાં આવ્યો અને ઉપરથી પ્લાસ્ટર કરીને પુરાવા છુપાવવાનો પ્રયાસ થયો. આ બનાવ પછી ફરજાના અચાનક ગાયબ થઈ ગઈ, પરંતુ તેના પરિવારજનોએ પણ તેની શોધખોળ માટે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવી નહોતી. પોલીસ કહે છે કે પરિવાર સાથે તેના સંબંધો તૂટેલા હોવાથી કોઈએ ખાસ રસ લીધો નહોતો.
આ પણ વાંચો: અમદાવાદીઓ ઘરની બહાર નીકળતા પહેલા વાંચી લો આ સમાચાર : આગામી 7 દિવસ છે ખુબ જ ભારે, નાગરિકો માટે એલર્ટ જાહેર
20 ફૂટ ઊંડે મળ્યા માનવ કંકાલ
ક્રાઈમ બ્રાંચે ગઈકાલે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને ફોરેન્સિક ટીમની હાજરીમાં મકાનમાં ખોદકામ શરૂ કર્યું. લાંબા સમય સુધી ચાલેલા ઓપરેશન બાદ લગભગ 20 ફૂટ ઊંડે માનવ કંકાલ મળી આવ્યા. કંકાલને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં કંકાલ પુરુષના છે કે મહિલાના તે નક્કી કરવામાં આવશે. ત્યારબાદ ડીએનએ સેમ્પલ લઈને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલાશે. પોલીસને માહિતી મળી છે કે ફરજાનાનો ભાઈ હજી જીવિત છે, તેથી ડીએનએ મેચિંગ દ્વારા કંકાલ ફરજાનાના જ છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકશે.
‘ભૂતિયા મકાન’ની ચર્ચા કેમ શરૂ થઈ?
આ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સ્થાનિક લોકો વર્ષોથી આ મકાનને ‘ભૂતિયા’ ગણતા હતા. લોકોનું કહેવું હતું કે અહીં રહેવા આવેલા લોકો માનસિક રીતે પરેશાન થવા લાગતા હતા. કેટલાક લોકો એવો દાવો પણ કરતા હતા કે મૃતકનો આત્મા લોકોને પીડા આપે છે. પોલીસનું કહેવું છે કે આવી વાતો માત્ર સ્થાનિક માન્યતાઓ અને અફવાઓનો ભાગ છે અને તપાસનું કેન્દ્ર હત્યા અને પુરાવા પર જ છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા હતી કે દર શુક્રવારે કોઈ અજાણ્યો વ્યક્તિ મકાનમાં આવી અગરબત્તી અને દીવો કરતો હતો. જોકે, ક્રાઈમ બ્રાંચે સ્પષ્ટ કર્યું છે કે હાલ તેમનું મુખ્ય ધ્યાન હત્યાની પુષ્ટિ, આરોપીઓની ઓળખ અને કાયદેસરની કાર્યવાહી પર કેન્દ્રિત છે.
બે આરોપીઓના મોત, બે જીવિત
તપાસમાં અત્યાર સુધી કુલ પાંચ લોકોની સંડોવણી સામે આવી હોવાનું માનવામાં આવે છે. જેમાં સમસુદ્દીન – ફરજાનાનો પતિ, ઇકબાલ ખેડાવાલા – જેઠ, અબ્દુલ કરીમ – સમસુદ્દીનનો મિત્ર, સાલિયા બીબી – મકાન માલિક, અન્ય એક વ્યક્તિ. પોલીસ મુજબ, સાલિયા બીબી અને અબ્દુલ કરીમના કુદરતી મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓ હજી જીવિત હોવાનું માનવામાં આવે છે. ક્રાઈમ બ્રાંચનું કહેવું છે કે FSL રિપોર્ટ અને ડીએનએ મેચિંગ બાદ સત્તાવાર ગુનો નોંધાશે અને ત્યારબાદ આરોપીઓની ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરાશે.
33 વર્ષ જૂનો કેસ ઉકેલવો કેટલો પડકારજનક?
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ જણાવ્યું કે દાયકાઓ જૂના કેસમાં પુરાવા એકત્રિત કરવું અત્યંત મુશ્કેલ હોય છે. અનેક સાક્ષીઓ ઉપલબ્ધ ન હોય, દસ્તાવેજો ગુમ થઈ ગયેલા હોય અને ઘટનાસ્થળ પણ બદલાઈ ગયેલું હોય છે. તેમ છતાં, ટીમે ધીરજ, ટેકનિકલ તપાસ અને સતત મેદાની કામગીરી દ્વારા આ કેસમાં મહત્વની કડી શોધી કાઢી છે. હાલમાં સમગ્ર તપાસ FSL રિપોર્ટ અને ડીએનએ પરીક્ષણ પર આધારિત છે.
કેમ મહત્વનો છે આ કેસ?
આ કેસ માત્ર એક સંભવિત હત્યા કેસ નથી, પરંતુ વર્ષો સુધી દફનાયેલા રહસ્યને બહાર લાવવાનો પ્રયાસ છે. પોલીસ માટે પણ આ તપાસ એ સાબિત કરે છે કે જૂના કેસો પણ આધુનિક ફોરેન્સિક ટેક્નોલોજી અને સચોટ તપાસથી ઉકેલી શકાય છે. સાથે જ, આ કેસ સમાજમાં એવી મહિલાઓની સ્થિતિ પર પણ પ્રશ્ન ઉભો કરે છે જેઓ પરિવારથી તૂટીને એકલતામાં જીવતી હોય અને ગાયબ થયા પછી પણ તેમની શોધખોળ થતી નથી.





