અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા જોધપુર પ્રેરણા તીર્થ રોડ પર સ્થિત રત્નાકર-3 બિલ્ડિંગમાં શનિવારે બપોરે આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગની બી વિંગના ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ-બુઝાવ કામગીરી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, આગ ત્રીજા માળે આવેલા ફ્લેટમાં લાગી હતી. ધુમાડો અને આગની જ્વાળાઓ દેખાતા જ બિલ્ડિંગમાં રહેતા લોકો ગભરાઈ નીચે દોડી આવ્યા હતા. ફાયર વિભાગે ઝડપી પ્રતિસાદ આપતાં ચારથી છ ફાયર ટેન્ડર સ્થળ પર મોકલ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદનાં SG હાઈવે પર લાગેલી આગ કલાકોની જહેમત બાદ આવી કાબૂમાં : 50 લોકોનું કરાયું રેસ્ક્યુ
થોડા સમયની જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક તબક્કે કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી, જોકે આગના કારણે ફ્લેટમાં નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
રહેવાસીઓમાં ભયનો માહોલ
આગ લાગતાં જ બિલ્ડિંગના રહેવાસીઓમાં ભય ફેલાયો હતો. કેટલાક લોકોએ તાત્કાલિક પરિવારજનો સાથે બિલ્ડિંગ ખાલી કરી દીધું હતું. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોની ચકાસણી પણ કરી હતી જેથી કોઈ વ્યક્તિ અંદર ફસાઈ ન રહી જાય.
આ પણ વાંચો: CNG Price: પેટ્રોલ-ડીઝલ પછી CNGના ભાવમાં પણ ભડકો : વહેલી સવારે આટલા રૂપિયા વધી ગયો રેટ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આગ લાગ્યા બાદ થોડા સમય સુધી બિલ્ડિંગમાંથી ઘાટો ધુમાડો નીકળતો રહ્યો હતો. ફાયરકર્મીઓએ સુરક્ષા સાધનો સાથે અંદર પ્રવેશ કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી.





