Ahmedabad News: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભરચક ગણાતા નહેરુનગર વોલવો બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, એક જમીન વિવાદ મામલે નિવૃત્ત DySP દ્વારા આડેધડ પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
નિવૃત્ત DySP એ કર્યું પાંચ રાઉન્ડ ફાયરિંગ
મળતી વિગતો મુજબ, નહેરુનગર બસ સ્ટેન્ડ પાછળ આવેલી એક પ્રોપર્ટીના જમીન વિવાદને લઈને મામલો બિચક્યો હતો. આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણે પોતાની બંદૂક કાઢીને હવામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. ધોળા દિવસે અને જાહેર વિસ્તારમાં થયેલા આ ફાયરિંગના અવાજથી સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભારે નાસભાગ અને ફફડાટ વ્યાપી ગયો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિકોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે.
પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક સેટેલાઈટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. મામલાની ગંભીરતાને જોતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે હાલ આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.
અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી : જપ્ત કરાયેલા ₹2.31 કરોડના દારૂનાં જથ્થા પર ફેરવાયું રોડ રોલર
સેટેલાઈટ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આ હાઈપ્રોફાઈલ ફાયરિંગની ઘટનાને પગલે સેટેલાઈટ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારી સામે કાયદાકીય પગલાં ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અત્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે. પૂર્વ પોલીસ અધિકારીએ કયા સંજોગોમાં આટલું આક્રમક પગલું ભર્યું તે અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.





