Home International Zelenskyy Accuses Russia Of Exporting Stolen Grain Via Israeli Port Gujarati News

યુક્રેન-રશિયા યુદ્ધમાં હવે 'ગ્રેન વોર' : ઇઝરાયલના પોર્ટ પર ચોરીનું અનાજ ઉતારવા બદલ ઝેલેન્સ્કી લાલઘૂમ, ઇઝરાયલ પર પ્રતિબંધોની ધમકી

Zelenskyy vs Israel Stolen Grain
Published by: Nirali Gohil
Last Updated: Apr 28, 2026, 01:22 PM IST

Zelenskyy Accuses Russia: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા લાંબા યુદ્ધમાં હવે 'ગ્રેન વોર' એટલે કે અનાજની લડાઈ તેજ બની છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયા પર અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે કે રશિયા યુક્રેન પાસેથી ચોરી કરેલું અનાજ આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચી રહ્યું છે. આ વખતે ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે રશિયા આ ચોરીના અનાજને નિકાસ કરવા માટે ઇઝરાયેલના બંદરોનો (Israeli Ports) ઉપયોગ કરી રહ્યું છે.

ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, રશિયન દળોએ યુક્રેનના કબજા હેઠળના વિસ્તારોમાંથી લાખો ટન અનાજ જપ્ત કર્યું છે અને તેને જહાજો મારફતે ઇઝરાયેલના હૈફા અથવા અન્ય બંદરો પર મોકલી રહ્યું છે, જ્યાંથી તેને વિશ્વના અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવે છે. આ આરોપોને કારણે વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે ઇઝરાયેલના રશિયા અને યુક્રેન બંને સાથે સંબંધો જટિલ રહ્યા છે.

ગ્લોબલ ફૂડ ક્રાઈસિસ વચ્ચે રશિયાની નવી ચાલ?

યુક્રેન વિશ્વના સૌથી મોટા અનાજ ઉત્પાદકોમાંનું એક છે. યુદ્ધને કારણે અનાજનો પુરવઠો પહેલેથી જ ખોરવાઈ ગયો છે, જેના કારણે દુનિયાના અનેક દેશોમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, રશિયા માત્ર યુક્રેનની અર્થવ્યવસ્થાને જ નુકસાન નથી પહોંચાડી રહ્યું, પરંતુ ચોરીના માલ દ્વારા પોતાનો ખજાનો ભરી રહ્યું છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી છે કે રશિયન જહાજોના માર્ગ અને તેમાં રહેલા અનાજના સ્ત્રોતની કડક તપાસ કરવામાં આવે.

આ પણ વાંચો: ઈરાન યુદ્ધ વચ્ચે ભારત માટે સૌથી મોટા સમાચાર : 1 મહિનાથી ગાયબ LNG ટેન્કર હોર્મુઝની 'કસોટી' પાર કરી ભારત પહોંચ્યું

ઇઝરાયેલના બંદરનો ઉપયોગ: રાજદ્વારી તણાવ વધવાની શક્યતા

ઝેલેન્સ્કીના આ દાવાએ ઇઝરાયેલને પણ મુશ્કેલીમાં મૂકી દીધું છે. યુક્રેન સતત ઇઝરાયેલ પાસે સૈન્ય મદદની માંગ કરી રહ્યું છે, પરંતુ ઇઝરાયેલે અત્યાર સુધી રશિયા સાથેના સંબંધો જાળવી રાખવા માટે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. જો રશિયા ખરેખર ઇઝરાયેલના પોર્ટનો ઉપયોગ યુક્રેનિયન અનાજ વેચવા માટે કરતું હોય, તો ઇઝરાયેલ પર પણ આંતરરાષ્ટ્રીય દબાણ વધી શકે છે.

સેટેલાઇટ ઈમેજ અને ટ્રેકિંગ ડેટાનો દાવો

યુક્રેનિયન સત્તાવાળાઓએ દાવો કર્યો છે કે તેમની પાસે એવા પુરાવા છે કે રશિયન જહાજો ક્રિમીઆ અને અન્ય બંદરો પરથી અનાજ ભરે છે અને ત્યારબાદ તેમનું લોકેશન ટ્રેકર બંધ કરી દે છે (AIS switching off). આ જહાજો બાદમાં મધ્ય પૂર્વના દેશોમાં દેખાય છે. ઝેલેન્સ્કીએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ 'પાયરસી' એટલે કે લૂંટ છે અને દુનિયાએ રશિયાને આ કૃત્ય માટે જવાબદાર ઠેરવવું જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now