WhatsApp-Telegram will be shut down : ભારતમાં ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવા માટે સરકાર સતત નવા પગલાં ભરી રહી છે. આ ક્રમમાં હવે 1 માર્ચથી દેશભરમાં 'સિમ બાઇન્ડિંગ' (Sim Binding) નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આ ફેરફારની સૌથી મોટી અસર WhatsApp, Telegram અને Signal જેવી મેસેજિંગ એપ્સ (OTT Apps) પર પડશે. જો તમે પણ એક જ નંબરથી અલગ-અલગ ડિવાઇસમાં વોટ્સએપ ચલાવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે.
શું છે સિમ બાઇન્ડિંગ નિયમ?
સિમ બાઇન્ડિંગનો સાદો અર્થ એ છે કે, તમારી મેસેજિંગ એપ તે જ ફોનમાં કામ કરશે જેમાં તે નંબરનું એક્ટિવ સિમ કાર્ડ હાજર હોય. ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) ના નવા નિર્દેશો મુજબ, મેસેજિંગ એકાઉન્ટને એક્ટિવ સિમ સાથે લિંક કરવું હવે ફરજિયાત બનશે. સરકાર આ મામલે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવાના મૂડમાં દેખાતી નથી.
વોટ્સએપ યુઝર્સ પર કેવી અસર થશે?
ભારતમાં કરોડો લોકો WhatsApp નો ઉપયોગ કરે છે. નવા નિયમ મુજબ, જો તમારા ફોનમાં તે સિમ કાર્ડ નથી જેના પર વોટ્સએપ રજીસ્ટર છે, તો એપનો ઉપયોગ મર્યાદિત થઈ શકે છે અથવા તો તે સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. ખાસ કરીને જે લોકો એકાઉન્ટ બનાવીને સિમ કાર્ડ કાઢી નાખે છે, તેમને સૌથી વધુ સમસ્યા નડશે.
લિંક્ડ ડિવાઇસ અને વેબ યુઝર્સ માટે મુશ્કેલી
ઘણા લોકો ઓફિસમાં કામ કરતી વખતે 'WhatsApp Web' નો ઉપયોગ કરે છે. નવા નિયમ હેઠળ, વોટ્સએપ વેબ દર 6 કલાકે આપમેળે લોગ-આઉટ થઈ શકે છે. તેને ફરીથી ચાલુ કરવા માટે વારંવાર QR કોડ સ્કેન કરીને વેરિફિકેશન કરવું પડશે. હાલમાં જે 14 દિવસ સુધી લિંક રહેવાની સુવિધા છે, તેમાં મોટા કાપ આવી શકે છે.
સરકારનો હેતુ અને સુરક્ષા
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ સ્પષ્ટ કર્યું છે કે, સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. સરકારનું માનવું છે કે, નકલી નંબર અને ઓનલાઈન ફ્રોડ દ્વારા થતા ગુનાઓને રોકવા માટે સિમ બાઇન્ડિંગ ખૂબ જ જરૂરી છે. આનાથી તપાસ એજન્સીઓ માટે ગુનેગારો સુધી પહોંચવું સરળ બનશે.
કોને સૌથી વધુ અસર થશે?
આ ફેરફારથી એવા યુઝર્સને અસર થશે જેઓ વારંવાર સિમ કાર્ડ બદલે છે અથવા એક જ સિમથી અનેક ટેબલેટ અને ફોન પર વોટ્સએપ ચલાવે છે. એક અંદાજ મુજબ, આનાથી 60-80% નાના વ્યવસાયોની કામગીરીમાં પણ operational disruption આવી શકે છે, કારણ કે તેઓ એક જ નંબરથી અલગ-અલગ જગ્યાએથી ગ્રાહકો સાથે ચેટ કરતા હોય છે.
ટેક કંપનીઓનો વિરોધ
જોકે, કેટલીક આંતરરાષ્ટ્રીય ટેક કંપનીઓએ આ નિયમનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, આ નિયમ યુઝર્સની પ્રાઇવસી પર અસર કરી શકે છે. પરંતુ સરકાર 1 માર્ચની સમયમર્યાદાને લઈને મક્કમ છે. જોકે હજુ સુધી સામાન્ય જનતા માટે કોઈ સત્તાવાર જાહેર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી, તેથી તે જોવું રહ્યું કે, 1 માર્ચથી તેની અમલવારી કેવી રીતે થાય છે.




















