મહેસાણા જિલ્લાનાં વિસનગર તાલુકાના બાજીપુરા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગામના તમામ ગ્રામજનોએ એકજૂથ થઈને મતદાનનો બહિષ્કાર કરતા ગામમાં સવારથી એક પણ મત નોંધાયો નથી. આ બહિષ્કાર પાછળનું મુખ્ય કારણ છેડતીની ઘટના છે. બાજીપુરા ગામની દીકરીની સુરત ખાતે છેડતી કરવામાં આવી હતી. જે મામલે ન્યાની માંગ સાથે રોષ વ્યક્ત કરાયો છે.
લાઠીચાર્જ બાદ વધ્યો તણાવ
આ મામલે રજૂઆત કરવા માટે ગામના લોકો સુરત ગયા હતા, જ્યાં પોલીસે લાઠીચાર્જ કર્યો હોવોના ગામના લોકોએ આક્ષેપ કર્યો છે. આ ઘટનાએ ગ્રામજનોમાં વધુ અસંતોષ અને રોષ વધાર્યો છે. ગ્રામજનોએ માંગ કરી છે કે લાઠીચાર્જ કરનાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે. જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ લોકશાહી પ્રક્રિયામાં ભાગ નહીં લે.
આ પણ વાંચો: જામનગરના પીપરટોડા ગામમાં મતદાનનો કરાયો બહિષ્કાર : રસ્તાની સમસ્યાથી ગ્રામજનોમાં રોષ
568 મતદારોનો બહિષ્કાર
બાજીપુરા ગામમાં કુલ 568 મતદારો નોંધાયેલા છે, પરંતુ આ વખતે એક પણ મતદાર મતદાન મથક સુધી પહોંચ્યો નથી. આ બહિષ્કારથી ચૂંટણી પ્રક્રિયા પર અસર પડી છે અને તંત્ર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. આવો બહિષ્કાર સામાન્ય રીતે ગામના એકજૂથ નિર્ણય અને ગંભીર અસંતોષનું પ્રતિબિંબ માનવામાં આવે છે. લોકશાહી પ્રક્રિયામાં ભાગ ન લેવો એ ગ્રામજનોની અંતિમ પ્રતિક્રિયા તરીકે જોવામાં આવે છે.
આ સમગ્ર મામલે વહીવટી તંત્ર માટે પડકારજનક સ્થિતિ ઊભી થઈ છે. એક તરફ ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ કરવી છે તો બીજી તરફ ગ્રામજનોના રોષને પણ સમજવાની જરૂર છે. હાલ તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ગ્રામજનો સાથે સંવાદ સ્થાપવા પ્રયાસો થઈ શકે છે. નિષ્પક્ષ તપાસ અને યોગ્ય કાર્યવાહીથી જ આ તણાવપૂર્ણ સ્થિતિને શાંત કરી શકાય તેવી શક્યતા છે.





