Gujarat Local Body Election Live Update: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે. લોકો પોતાના સ્થાનિક પ્રશ્નોને વાંચા આપવા માટે સ્થાનિક ઉમેદવારને મત આપીને જીતાડવા મતદાન મથકો પર પહોંચી રહ્યાં છે. સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચુકી છે. સાંજે 6 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 44 ડિગ્રી ગરમીની વચ્ચે પણ લોકો વહેલી સવારથી મતદાન મથક પર ઉત્સાહ પૂર્વક પહોંચી રહ્યાં છે.

ગુજરાતની કુલ 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ છે. ગત વખતે 6 મનપાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ અને પંચાયતો અને નગરપાલિકાઓનું 23 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું. જો કે આ વખતે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું મતદાન એક જ દિવસે છે.
ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં પહેલાં 8 મહાનગરપાલિકાઓ હતી. જેમાં નવા સીમાંકન બાદ 9 નવી મનપા ઉમેરાતા હાલ કુલ 17 મનપા છે. આજે 17માંથી 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત અને 84 નગરપાલિકામાં મતદાન થઈ રહ્યું છે. જો કે ગરમી 44 ડિગ્રી સુધી જવાની સંભાવના હોવાથી મતદારોને મતદાન બૂથ સુધી પહોંચાડવા રાજકીય પક્ષોએ દોડધામ કરવી પડશે. જાણો મતદાન અંગેની પળેપળની ખબર...
Local Body Election Latest Updates:
જામનગર: રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ કર્યું મતદાન, નાગરિકોને લોકશાહી સુદ્રઢ બનાવવા કરી અપીલ
જામનગર:જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી છે. રાજ્યભરમાં લોકશાહીના આ મહાપર્વમાં નાગરિકો ઉત્સાહભેર સહભાગી થઈ રહ્યા છે, ત્યારે જામનગરના રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ પણ આજે પોતાનો કિંમતી મત આપીને નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી.
મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં મંત્રી રિવાબા જાડેજાએ તમામ મતદારોને અપીલ કરી હતી કે, "લોકશાહીને વધુ મજબૂત અને જીવંત બનાવવા માટે દરેક નાગરિકે ઘરની બહાર નીકળીને અવશ્ય મતદાન કરવું જોઈએ." તેમણે મતદાન મથકો પરની વ્યવસ્થા અને લોકોના ઉત્સાહને પણ સકારાત્મક ગણાવ્યો હતો. જામનગરમાં સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે અને અત્યાર સુધી મતદાન પ્રક્રિયા નિર્વિધ્ને અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ રહી છે.
૧૧૭ વર્ષની વયે લોકશાહીના પર્વમાં ઉત્સાહ: જામનગરના ધનુબેન રમાણી બન્યા સૌ માટે પ્રેરણારૂપ
જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લાતીપર ગામમાં લોકશાહીના પર્વને વધુ એક યાદગાર ક્ષણ મળી છે. ૧૧૭ વર્ષની જૈફ વય ધરાવતા ધનુબેન માવજીભાઈ રમાણી આજે મતદાન કરવા પહોંચીને પ્રેરણાનું જીવંત પ્રતીક બન્યા છે. ૧૧૭ વર્ષની ઉંમરે પણ તેમનામાં જોવા મળતો આ ઉત્સાહ અને જિજ્ઞાસા માત્ર ગામના લોકો માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના મતદારો માટે ગૌરવ અને પ્રેરણાનો વિષય બન્યો છે. લાંબા જીવનના અનુભવો અને અદમ્ય આત્મવિશ્વાસ ધરાવતા ધનુબેને મતદાન મથક પર પહોંચીને સાબિત કર્યું છે કે લોકશાહીની ફરજ અદા કરવામાં ઉંમર ક્યારેય બાધક બનતી નથી. તેમના આ સાહસ અને મતદાન પ્રત્યેના સમર્પણને ચૂંટણી સ્ટાફ તેમજ સ્થાનિક નાગરિકો દ્વારા પણ બિરદાવવામાં આવ્યું હતું.
લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને મતદાન કરવા કરી અપીલ

ગાંધીનગર: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ઉત્સાહભેર ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો કિંમતી મત આપ્યા બાદ નાગરિકોને લોકશાહીના આ પવિત્ર ઉત્સવમાં મોટી સંખ્યામાં જોડાવા માટે આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકશાહીનો એક પવિત્ર ઉત્સવ છે. મતદાન એ નાગરિકનો માત્ર અધિકાર જ નથી, પરંતુ એક પવિત્ર ફરજ પણ છે. લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે દરેક મતદારે આ અવસરે પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ."
પ્રવર્તમાન ગરમી અને રવિવારની રજા હોવા છતાં, મતદાનની ટકાવારી વધે તેવી આશા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, "ગરમી અને લગ્નગાળાની વ્યસ્તતા વચ્ચે પણ હું રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરું છું કે લોકશાહીને સુદ્રઢ બનાવવા માટે ઘરની બહાર નીકળો અને મતદાન કરો. વહેલી તકે મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ." આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "રાજ્યની જનતા વિકાસની રાજનીતિ પર વિશ્વાસ રાખે છે. મને ખાતરી છે કે જનતા ભાજપના વિકાસલક્ષી કાર્યોને સમર્થન આપીને અમારા ઉમેદવારોને વિજયી બનાવશે."
સુરતીલાલાઓનો રવિવાર: પહેલા મતદાન, પછી સુરતી લોચો!
સુરત પોતાની ખાણી-પીણી અને ઉત્સાહ માટે જાણીતું છે, અને જ્યારે વાત લોકશાહીના પર્વની હોય ત્યારે સુરતીઓ તેમાં પણ પાછળ રહેતા નથી.આજે સુરત મહાનગરપાલિકાના ચૂંટણીમાં સુરતીઓનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. પરંતુ આ રવિવારે લોકશાહીના પર્વ નિમિત્તે આ ગ્રુપે પોતાના રૂટિનમાં ફેરફાર કર્યો હતો. તેમણે નક્કી કર્યું કે નાસ્તો કરવા જતા પહેલા તેઓ મતદાન કરીને પોતાની નાગરિક તરીકેની ફરજ નિભાવશે.
જામનગરમાં લગ્ન જોડામાં યુવતીનું મતદાન, પહેલાં મતદાન, પછી લગ્ન
જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં યુવતીએ પોતાના લગ્નની વ્યસ્તતા વચ્ચે મતદાન કરી લોકશાહી પ્રત્યેની નિષ્ઠા દર્શાવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એક યુવતીએ પોતાના લગ્નના દિવસે પહેલા મતદાન કરી લોકશાહી પ્રત્યેની નિષ્ઠા દર્શાવી પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુલાબનગર વિસ્તારમાં રહેતી મીરા પરમાર નામની યુવતીએ પોતાના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગ લગ્ન પહેલાં મતદાનને પ્રાથમિકતા આપી લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. યુવતી પોતાના લગ્નના કપડામાં મતદાન મથક પર પહોંચી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમના પરિવારજનો અને સગાસંબંધીઓએ પણ આ પગલાને વધાવી લીધું અને યુવતીના આ નિર્ણયની પ્રશંસા કરી હતી. લગ્ન પહેલા મતદાનને પ્રાથમિકતા આપી યુવતીએ ખાસ કરીને યુવા પેઢીને મતદાન માટે પ્રેરિત કરી છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
મોરબી: વરરાજાનો અનોખો સંદેશ, લગ્નના માંડવે જતાં પહેલાં મતદાન મથકે જઈ કરી મતદાનની ફરજ અદા
મોરબીના અણીયારી ગામમાં આજે લોકશાહીના પર્વને ઉજવતું એક સુંદર અને પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. અણીયારી ગામના વતની પ્રેમજીભાઈ હરજીવનભાઈ અહલગામાના આજે લગ્ન હોવા છતાં, તેમણે પોતાની સામાજિક જવાબદારીની સાથે સાથે રાષ્ટ્રીય ફરજને પણ પ્રાધાન્ય આપ્યું હતું. જાન લઈને નીકળતા પહેલાં, પ્રેમજીભાઈએ અણીયારી ગામની પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચીને ઉત્સાહભેર પોતાનો કિંમતી મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ તેઓ માળિયાના ભારતનગર ખાતે પોતાની જાન લઈને લગ્ન કરવા માટે પ્રસ્થાન થયા હતા. લગ્નના ફેરા પહેલાં મતદાન કરીને આ યુવકે તમામ મતદારોને ચૂંટણીમાં ભાગ લેવા માટે એક અનોખો અને સકારાત્મક સંદેશ આપ્યો છે.
ગાંધીનગર: સરઢવની મતદાન મથક પર મોબાઈલ મુદ્દે હોબાળો, મતદારોમાં રોષ
ગાંધીનગરના સરઢવની છગનભા પ્રાથમિક શાળા ખાતે આજે મતદાન પ્રક્રિયા દરમિયાન તંત્રની બેદરકારી સામે આવી છે. મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં, બહાર મોબાઈલ સાચવવા માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાથી મતદારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ બાબતે મતદાન મથક પર મતદારો અને ચૂંટણી સ્ટાફ વચ્ચે હોબાળો થયો હતો. રોષે ભરાયેલા મતદારોએ સવાલ ઉઠાવ્યો હતો કે, "જો અમે મોબાઈલ બહાર મૂકીએ અને તે ચોરાઈ જાય, તો તેની જવાબદારી કોણ લેશે?" મતદાનના દિવસે આવી વ્યવસ્થાના અભાવે મતદારોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
ગાંધીનગર: ૯૮ વર્ષીય વડીલ હીરાબા કર્યું મતદાન, લોકશાહી પ્રત્યેની અદમ્ય નિષ્ઠા
ગાંધીનગરના સરઢવ બેઠક પર આજે લોકશાહીના પર્વમાં એક અત્યંત પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. ૯૮ વર્ષના વડીલ હીરાબા અદમ્ય ઉત્સાહ સાથે મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ખાસ નોંધપાત્ર વાત એ છે કે, હીરાબેનની તબિયત સારી ન હોવા છતાં, લોકશાહીના મૂલ્યો અને મત આપવાની ફરજ પ્રત્યેની તેમની નિષ્ઠા એટલી દ્રઢ હતી કે તેઓ મતદાન મથક સુધી પહોંચ્યા હતા. ચૂંટણી તંત્ર દ્વારા પણ વડીલો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં તેમને મતદાન મથક સુધી લાવવા અને મૂકવા માટે વિશેષ સહાય પૂરી પાડવામાં આવી હતી. તેમના આ સાહસ અને જાગૃતિએ અન્ય મતદારો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં કર્યું મતદાન, લોકશાહીની ફરજ અદા કરી
અમદાવાદમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમણે નારણપુરા વિસ્તારના મતદાન મથક પર જઈને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે નાગરિકોને પણ લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવા માટે મોટી સંખ્યામાં મતદાન કરવા આહવાન કર્યું હતું.
રાજકોટ: વોર્ડ નં. ૧૫ના કોંગ્રેસ ઉમેદવાર સહિત ૨૦ની અટકાયત, આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર ૧૫ના કોંગ્રેસના ઉમેદવાર મકબુક દાવદાણી સહિત કુલ ૨૦ લોકોની પોલીસે અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, આ તમામ લોકો મતદાન મથકની ૧૦૦ મીટરની મર્યાદામાં પ્રચાર કરી રહ્યા હતા, જે ચૂંટણી આચારસંહિતાનો ભંગ ગણાય છે. આ ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ઉમેદવાર સહિતના કાર્યકરોને અટકાયતમાં લઈને વધુ કાર્યવાહી અર્થે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે.
સુરત: ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાનનો પ્રારંભ, સાંસદ મુકેશ દલાલ ઢોલ-નગારા સાથે પહોંચ્યા મતદાન મથકે
સુરતમાં આજે લોકશાહીના મહાપર્વનું વાતાવરણ છવાયેલું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનની શરૂઆત સાથે જ મતદાન મથકો પર મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અવસરે સુરતના સાંસદ મુકેશ દલાલ ઢોલ-નગારાના તાલે અને ઉત્સાહભર્યા માહોલમાં પોતાના પરિવારજનો તથા કાર્યકરો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. તેમણે મતદાન કર્યા બાદ તમામ સુરતવાસીઓને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર જોડાઈને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. સાંસદની ઉપસ્થિતિ અને લોકભાગીદારીને કારણે સમગ્ર મતદાન કેન્દ્ર પર ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.
ગીર સોમનાથમાં લોકશાહીના પર્વનો પ્રારંભ: 9 લાખથી વધુ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
ગીર સોમનાથ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે. જિલ્લાના કુલ 9.05 લાખ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ ઉત્સવમાં સહભાગી થઈ રહ્યા છે. જિલ્લામાં કુલ 284 બેઠકો માટે 712 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમ (EVM) મશીનોમાં સીલ થશે. વેરાવળ સહિતના 6 તાલુકાઓમાં 1,394 મતદાન મથકો પર સવારથી જ મતદારોની અવરજવર જોવા મળી રહી છે. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવા માટે 6,059થી વધુ પોલિંગ સ્ટાફ અને 2,112 જેટલા કંટ્રોલ તેમજ બેલેટ યુનિટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એસ.પી. જાડેજાની રાહબરી હેઠળ 3 ડીવાયએસપી (DySP) સહિતના 50 જેટલા ઉચ્ચ અધિકારીઓ અને 2,300 જેટલા પોલીસ જવાનોનો કાફલો સમગ્ર જિલ્લામાં ખડેપગે બંદોબસ્ત સંભાળી રહ્યો છે. સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદારો નિર્ભયતાથી મતદાન કરી રહ્યા છે.
સુરત: ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કર્યું મતદાન, નાગરિકોને લોકશાહીના પર્વમાં જોડાવા કરી અપીલ
સુરત ખાતે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા દરમિયાન ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોતાનો કિંમતી મત આપીને નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. મતદાન કર્યા બાદ તેમણે સુરતની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. તેમણે ખાસ કરીને યુવા મતદારો, વરિષ્ઠ નાગરિકો તેમજ મહિલાઓને ઉત્સાહપૂર્વક મતદાન મથક પર આવીને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સુરત: મતદાનની લોકશાહી ઉત્સવમાં સહભાગી બન્યા પૂર્ણેશ મોદી
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે સુરતના મતદાન મથકે પહોંચ્યા હતા. તેઓ પોતાની સોસાયટીના રહીશો સાથે ઉત્સાહભેર મતદાન કરવા આવ્યા હતા. આ પ્રસંગે તેમણે સુરતની જનતાને વહેલી તકે મતદાન કરવા માટે અપીલ કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે, પ્રવર્તમાન ગરમી હોવા છતાં નાગરિકો મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના આ ઉત્સવને સફળ બનાવશે.
ઢોલ-નગારા સાથે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કર્યું મતદાન
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઠક્કરનગર વિસ્તારની સરદાર વલ્લભભાઈ પટેલ શાળામાં ઢોલ-નગારા અને સોસાયટીના 50 જેટલા લોકો સાથે ધામધૂમથી મતદાન કરવા પહોંચ્યા. તેમણે ગરમીને ધ્યાનમાં રાખીને લોકોને વહેલી સવારે મતદાન કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છેકે, અમદાવાદ મહાનગરપાલિકાની 48 વોર્ડની 192 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ થતાં આજે 26 એપ્રિલ 2026ના રોજ બાકીની 190 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. શહેરના 38 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. રાજકીય ઉત્સાહ સાથે કુદરતી ગરમી પણ તેજ છે – આજે તાપમાન 44°C સુધી પહોંચવાની આગાહી છે. તેથી રાજકીય પક્ષોએ મતદારોને સવારે 10 વાગ્યા સુધીમાં મતદાન પૂર્ણ કરવાની અપીલ કરી છે.
ભરૂચમાં ચાલુ મતદાને લાઇટ જતાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી છે. તો જામનગરમાં EVM ખોટકાતા 1 કલાક મોડું મતદાન શરૂ થયું હતું. સુરેન્દ્રનગરમાં 100 વર્ષના દાદી મતદાન કરવા પહોંચ્યા તો ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે કન્યા શાળામાં વરરાજાએ પહેલાં મતદાન કરી પોતાની ફરજ બજાવી ત્યારબાદ જાન પ્રસ્થાન કરી. મતદારોના ઉત્સાહ વચ્ચે અનેક જગ્યાએ EVM ખોટકાવાની ફરિયાદો પણ મળી છે.






