ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગઈકાલે અંબાજીમાં ભવ્ય શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને લઈને સમગ્ર રાજ્યમાં ચર્ચા જોવા મળી રહી છે. અભિજિતસિંહ બારડની આગેવાની હેઠળ ખેરાલુના મલેકપુરથી અંબાજી સુધી ‘શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 108 વાહનોના કાફલા સાથે હજારો યુવાનો તેમજ સમાજના અગ્રણીઓ જોડાયા હતા. જેના કારણે અંબાજીમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. જે કાર્યક્રમ દરમિયાન વિક્રમ ઠાકોર રાજકારણને લઈ મોટું નિવેદન આપ્યું હતું.
'આજે નહીં તો કાલે તેઓ રાજકારણમાં જરૂર જોડાશે'
શક્તિપ્રદર્શન બાદ અંબાજી ખાતે વિક્રમ ઠાકોરે કહ્યું કે તેમના દરેક રાજકીય પાર્ટી સાથે સારા સંબંધ છે અને કઈ પાર્ટીમાં જોડાવું તે અંગેનો નિર્ણય તેઓ બાદમાં લેશે. વિક્રમ ઠાકોરે સ્પષ્ટ કર્યું કે આજે નહીં તો કાલે તેઓ રાજકારણમાં જરૂર જોડાશે. તેમણે ઉમેર્યું કે સમાજના ઘણા સારા આગેવાનો પહેલેથી રાજકારણમાં છે અને ભવિષ્યમાં તેઓ પણ રાજકારણમાં પ્રવેશ કરશે.
'સમાજનો મુખ્યમંત્રી બને તે કોને ન ગમે...'
વિક્રમ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, 'સમાજનો મુખ્યમંત્રી બને તે કોને ન ગમે અને વર્ષ 2027માં તેમના સમાજનો મુખ્યમંત્રી બને તેવી આશા સમગ્ર સમાજ રાખે છે. સાથે જ તેમણે સમાજના વિકાસ અંગે વાત કરતા કહ્યું કે તેમના સમાજમાં શિક્ષણનું સ્તર હજી ઓછું છે અને સમાજના બાળકો ભણીને આગળ વધે તે માટે તેઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે. આ શક્તિપ્રદર્શન અને નિવેદનોથી આગામી સમયમાં ઠાકોર સમાજની રાજકીય ભૂમિકા વધુ સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે





















