Medical Store : જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય ડાયાબિટીસ, BP કે અન્ય કોઈ ગંભીર બીમારી માટે નિયમિત દવાઓ લેતા હોવ, તો તમારે વહેલી તકે સ્ટોક કરી લેવો જોઈએ. આગામી 20 મે, 2026 ના રોજ દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓ પર મોટી અસર પડી શકે છે. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) એ જાહેરાત કરી છે કે, દેશભરના આશરે 1.24 મિલિયન (12.4 લાખ) કેમિસ્ટો હડતાળ પર ઉતરશે. આ હડતાળ માત્ર મોટા શહેરો પૂરતી મર્યાદિત નથી, પરંતુ નાના ગામડાઓ અને નગરોમાં પણ ફાર્મસીઓ સંપૂર્ણપણે બંધ રહેશે, જેના કારણે દવાઓની ગંભીર અછત સર્જાઈ શકે છે.
શા માટે કેમિસ્ટો રસ્તા પર ઉતરવા મજબૂર થયા?
કેમિસ્ટોના આ આક્રોશનું મુખ્ય કેન્દ્રબિંદુ ઓનલાઇન દવાઓનું વેચાણ અને મોટી કોર્પોરેટ કંપનીઓની વેપાર પદ્ધતિ છે. કેમિસ્ટ એસોસિએશનનું કહેવું છે કે "ઈ-ફાર્મસી" ના નામે દેશમાં દવાઓનો વેપાર કોઈ પણ કડક નિયમો વગર ચાલી રહ્યો છે. જે ફાર્માસિસ્ટ વર્ષોથી લાયસન્સ લઈને, કાયદાનું પાલન કરીને દુકાનો ચલાવે છે, તેમના અસ્તિત્વ સામે હવે જોખમ ઊભું થયું છે. કોર્પોરેટ ગૃહો દ્વારા અપાતું આડેધડ ડિસ્કાઉન્ટ નાના વેપારીઓને બજારમાંથી બહાર ફેંકી રહ્યું છે.
યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓના વેચાણથી સ્વાસ્થ્ય જોખમમાં
કેમિસ્ટોનો સૌથી ગંભીર આરોપ એ છે કે ઓનલાઇન પ્લેટફોર્મ પર સુરક્ષાના ધોરણો બાજુ પર મૂકવામાં આવ્યા છે. ઘણી વેબસાઇટ્સ અને એપ્સ માન્ય ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચી રહી છે. લોકો એક જ પ્રિસ્ક્રિપ્શનને વારંવાર અપલોડ કરીને અથવા નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવીને એવી દવાઓ મંગાવી રહ્યા છે જેનો દુરુપયોગ થઈ શકે છે. ખાસ કરીને હેવી એન્ટિબાયોટિક્સ અને માદક દ્રવ્યો ધરાવતી દવાઓ સરળતાથી ઘરે પહોંચાડવામાં આવે છે, જે લાંબે ગાળે જનસ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકે છે.
અનિયંત્રિત ડિસ્કાઉન્ટ અને નાના વેપારીઓની પાયમાલી
મોટા કોર્પોરેટ ગૃહો પાસે અઢળક ફંડ હોવાથી તેઓ ઓનલાઇન દવાઓ પર 20% થી 30% જેવું ભારે ડિસ્કાઉન્ટ આપે છે. સામાન્ય કેમિસ્ટ જે દુકાનનું ભાડું, સ્ટાફનો પગાર અને વીજળીનું બિલ ભરે છે, તેના માટે આટલું ડિસ્કાઉન્ટ આપવું અશક્ય છે. આ "ડીપ ડિસ્કાઉન્ટિંગ" મોડલને કારણે ગામડાઓ અને નાના શહેરોના કેમિસ્ટો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. જો પડોશની દવાની દુકાન બંધ થઈ જશે, તો કટોકટીના સમયે રાત્રે કે તાત્કાલિક જરૂરિયાતના સમયે ઓનલાઇન ડિલિવરી કામ નહીં આવે, તેવું સંગઠનનું માનવું છે.
કોરોનાકાળના અસ્થાયી નિયમોનો ગેરફાયદો
COVID-19 મહામારી દરમિયાન જ્યારે લોકો ઘરની બહાર નીકળી શકતા નહોતા, ત્યારે સરકારે માનવતાના ધોરણે દવાઓના હોમ ડિલિવરી માટે નિયમોમાં છૂટછાટ આપી હતી (G.S.R. 220(E)). કેમિસ્ટોનું કહેવું છે કે હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ હોવા છતાં, ઈ-ફાર્મસી કંપનીઓ આ હંગામી નિયમોનો ગેરકાયદેસર ફાયદો ઉઠાવી રહી છે. આ કંપનીઓ પાસે ભૌતિક સ્ટોર કે પૂરતી ચકાસણીની વ્યવસ્થા નથી, છતાં તેઓ આ છૂટછાટના જોરે આખા દેશમાં વેપાર ફેલાવી રહી છે.
સંગઠનની કડક માંગણીઓ અને ભવિષ્યની ચેતવણી
AIOCD ના પ્રમુખ જે.એસ. શિંદે અને મહામંત્રી રાજીવ સિંઘલે સ્પષ્ટ કર્યું છે કે આ લડાઈ માત્ર ધંધો બચાવવા માટે નથી, પરંતુ 5 કરોડ લોકોના રોજગાર અને દર્દીઓની સુરક્ષા માટે છે. તેમની મુખ્ય માંગ છે કે ઓનલાઇન ફાર્મસીઓને મંજૂરી આપતી સૂચનાઓ પાછી ખેંચાય અને દવાઓના વેચાણમાં ડિસ્કાઉન્ટની મર્યાદા નક્કી કરવામાં આવે. તેમણે ચેતવણી આપી છે કે જો 20 મે સુધીમાં સરકાર કોઈ નક્કર નિર્ણય નહીં લે, તો આ હડતાળ અનિશ્ચિત મુદ્દતની પણ બની શકે છે, જેનાથી સમગ્ર દેશની આરોગ્ય વ્યવસ્થા ઠપ્પ થઈ શકે છે.





