વિજય માલ્યાએ રાજ શમાનીના પોડકાસ્ટ 'Figuring Out'માં કરેલા નિવેદનોએ રાજકીય ગરમાવો ઊભો કર્યો છે. તેમણે જણાવ્યું કે તેઓએ ભારત છોડતાં પહેલાં તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીને મળીને સ્પષ્ટ રીતે જણાવી દીધું હતું કે તેઓ લંડન જઈ રહ્યા છે.
"હું અરુણ જેટલીને સંસદમાં મળ્યો હતો અને જણાવ્યું હતું કે હું લંડન જઈ રહ્યો છું. મેં એમને પુછ્યું કે શું બેંકો સાથે સેટલમેન્ટ શક્ય છે?"
માલ્યાના આ નિવેદનથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમણે દાવો કર્યો કે એક કોંગ્રેસ સાંસદે તેમને અને જેટલીને સાથે મળેલા જોયા હતા અને આ અંગે મીડિયા સાથે વાત કરી હતી, જેના કારણે જેટલીને પોતાનું નિવેદન પાછું ખેંચવું પડ્યું હતું. માલ્યાએ સ્પષ્ટતા કરી કે તેમણે ક્યારેય જેટલીના ઓફિસમાં ઔપચારિક મુલાકાત લીધી નહોતી, પરંતુ સંસદમાં તેમને મળીને જણાવ્યું હતું કે તેઓ લંડન જઈ રહ્યા છે અને બેંકો સાથે સેટલમેન્ટ કરવા માંગે છે.
અરુણ જેટલીએ માલ્યાના આ દાવાને અસત્ય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે 2014 પછી તેમણે માલ્યાને કોઈ નિમણૂક આપી નહોતી અને માલ્યાએ સંસદના સભ્ય તરીકેના પોતાના અધિકારનો દુરુપયોગ કરીને તેમને સંસદના કોરિડોરમાં મળ્યા હતા. જેટલીએ જણાવ્યું કે માલ્યાએ બેંકો સાથે સેટલમેન્ટની ઓફરનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેમણે માલ્યાને જણાવ્યું કે તેઓએ બેંકો સાથે સંપર્ક કરવો જોઈએ.
આ મુદ્દે વિપક્ષે પણ સરકાર પર આક્ષેપ કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે વિદેશ મંત્રી પાકિસ્તાનને જણાવીને હુમલો કરે છે અને બેંકોના ભાગેડુઓ નાણામંત્રીને જણાવીને દેશ છોડે છે. વિજય માલ્યાના આ નિવેદનોએ ફરી એકવાર સરકારની ભૂમિકા પર સવાલ ઊભા કર્યા છે અને લોકોમાં ચર્ચા જગાવી છે કે શું માલ્યાને વાસ્તવમાં રાજકીય પ્રોટેક્શન મળ્યું હતું?





















