Veteran journalist RK Misra has passed away: ગુજરાતના પીઢ પત્રકાર આર.કે. મિશ્રાનું ૨૩ ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર શીલજ સ્મશાનગૃહમાં દિવસના અંતમાં કરવામાં આવશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાથી આર.કે.મિશ્રાની પત્રકાત્વની યાત્રાની શરૂઆત થઈ. સ્થાનિક કક્ષાથી શરૂ કરીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી રહ્યો છે તેમનો સફર.
ભારતના ટોચના ઘણાં મીડિયા સંસ્થાનો સાથે તેમણે કામ કર્યું છે. 6 દાયકા કરતા લાંબી પત્રકારત્વની તેમની સફરમાં અનેક વિષયો પર તેમણે પોતાનું લેખન કર્યું. માથે કેપ અને ઉંચી મુછો આર્મીમેન જેવી પર્સનાલિટી વધારતા આ પત્રકારનો અંદાજ અને કામ અનેકને પ્રેરણા આપે તેવું રહ્યું. અમદાવાદમાં તેમનું નિવાસસ્થાન આવેલું છે.
આર.કે.મિશ્રાએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુકે, આખી દુનિયા જ્યારે ઘરે જતી હોય ત્યારે પત્રકાર કામે જતો હોય, રાત્રે પત્રકાર જ્યારે ઘરે પરત આવે ત્યારે તેની હાલત શેરડીના સાઠાંની માફક સાવ નિચોવાઈ ગઈ હોય તેવી થઈ જાય છે. વધુમાં તેમણે એમ પણ કહ્યું હતુકે, એક સમયે અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રહીને જેને દિવસો કાઢ્યા હતા. અનેક દિવસો પેટે પાટા બાંધીને ભૂખ્યા રહીને જેણે જીવનની યાત્રામાં સંઘર્ષ કર્યો.
2000-2010માં ગુજરાતના રાજકીય કવરેજમાં R. K. Misraની નોંધપાત્ર હાજરી રહીઃ દિનેશ અનાજવાલા
જાણીતા પત્રકાર દિનેશ અનાજવાલા જણાવે છેકે, R. K. Misra ને હું 1980-81 નાં સમયથી ઓળખું છું. એ સમયે મિશ્રા જી અને બશીર પઠાણ સુરતમાં રહેતા હતા. મિશ્રા જી સુરત સર્કિટ હાઉસમાં રૂમ નં. 25 માં સુરતમાં નોકરી કરી ત્યાં સુધી રહેતા હતા. બશીરભાઈ રાંદેર માં રહેતા હતા. મિશ્રા જી એ લગભગ સાડાચાર ચાર દાયકાથી વધુ સમય ગુજરાતમાં અંગ્રેજી પત્રકારિતામાં સક્રિય રહ્યા હતા.
ખાસ કરીને 2000ના દાયકાથી લઈને 2010ના દાયકામાં રાજ્યની રાજકીય અને વહીવટી કવરેજમાં તેમની નોંધપાત્ર હાજરી રહી.તેઓ લાંબા સમય સુધી The Times of India સાથે જોડાયેલા રહ્યા હતા. નિવૃત્તિ પછી પણ વર્ષો સુધી દેશ વિદેશના નાં અન્ય અખબારો અને ન્યૂઝ પોર્ટલ માં કામ કરતાં રહ્યાં હતા.ગુજરાત વિધાનસભા ચૂંટણી અને રાજકીય ઉથલપાથલ, બ્યુરોક્રસી જેવી બાબતોમાં તેમની શૈલી “પોલિટિકલ ઇનસાઇડર” પ્રકારની ગણાતી. સત્તાના કોરિડોરમાંથી મળતી માહિતી સાથે તથ્ય આધારિત વિશ્લેષણમાં માહિર હતા. બ્યુરોક્રેટ્સ સાથે મિશ્રા જી ને મિત્રતા ભર્યા અંગત સંબંધો હતા.
સમગ્ર ગુજરાત અને ખાસ તો ગાંધીનગરની રાજકીય ઘટનાઓ, બ્યુરોક્રસી અને સમાચારો ઉપર તેમની મજબૂત પકડ હતી. તેમની રિપોર્ટિંગ શૈલી તથ્યાધારિત, સંતુલિત અને અંદરની એટલે કે સુત્રો પાસેથી મેળવેલી માહિતી પર આધારિત હતી. 1995 ની આસપાસ ના સમયમાં અન્ય વરિષ્ઠ પત્રકારો સાથે પત્રકારોના સંગઠન અંગે મિશ્રા જી એ મુહિમ ઉપાડી હતી. જેનું કાર્યાલય સેકટર 9મા હતું, જેમાં મિશ્રા જી અત્યાર સુધી રહેતા આવ્યા હતા.
આર.કે.મિશ્રાના પત્રકારત્વની સફરઃ
પત્રકાર અને તંત્રી તરીકેનો છ દાયકાનો સતત-સખત અનુભવ ધરાવતા વરિષ્ઠ પત્રકાર અને તંત્રી આર.કે. મિશ્રાના ભાથા અથવા થેલામાં હજી ઘણી અણીદાર સ્ટોરીઝ છે. ગુજરાતમય બની ગયેલા મિશ્રાસાહેબે એવો એકેય વિષય નહીં હોય જેના વિશે લખ્યું ના હોય. પત્રકારત્વ ક્ષેત્રે તેઓ સવાઈ ગુજરાતી છે. કાઠિયાવાડી બોલે તો લાગે કે ખરેખર તેઓ સૌરાષ્ટ્રના કોઈ ગામના જ હશે! ગુજરાતને તેમણે આત્મસાત કર્યું છે. ભારત અને વિદેશમાં કેટલાંક ટોચનાં સમાચાર પ્રકાશનો માટે તેમણે કામ કર્યું. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, ધ પાયોનિયર અને બીજાં ઘણાં.
મુંબઈનું ફ્રી પ્રેસ જર્નલ.. ન્યૂ યોર્કસ્થિત આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી), નાગપુરનાં સમાચાર દૈનિકો હિતાવહ, ચંદીગઢનું ડેઇલી પોસ્ટ અને દિલ્હીનું આઉટલુક મેગેઝિન, દિલ્હીમાં પ્રોબ ઇન્ડિયા અને તેના સિસ્ટર હિન્દી પ્રકાશન 'માયા' સાથે સિનિયર આસિસ્ટન્ટ એડિટર તરીકે અને ધ પાયોનિયર અને ઇન્ડો-એશિયન ન્યૂઝ સર્વિસ (IANS) ના સ્પેશિયલ કોરસપોન્ડન્ટ અને પછી રોવિંગ એડિટર તરીકે પણ તેમણે કામ કર્યું. આતંકવાદની ચરમસીમાએ પંજાબ અને કાશ્મીર જેવા સંઘર્ષગ્રસ્ત વિસ્તારોના ક્રોસ-કન્ટ્રી કવરેજમાં નિષ્ણાત પત્રકાર. તેમણે દુબઈના ગલ્ફ ન્યૂઝ અને સાઉદી અરેબિયાના અરબ ન્યૂઝ ઉપરાંત ચંદીગઢના ટ્રિબ્યુન અને બૅંગ્લૉરના વિજય ટાઇમ્સ માટે પણ કામ કર્યું.





















