વલસાડ જિલ્લામાં માનવતાને ઝંઝોડતી ઘટના સામે આવી છે, જેમાં ‘મોતના કન્ટેનર’ તરીકે ઓળખાય તેવી ક્રૂરતાભરી તસ્કરીનો ભાંડો ફૂટ્યો છે. બગવાડા ટોલ નાકા પાસે પારડી પોલીસ અને ગૌરક્ષકોની સંયુક્ત કાર્યવાહી દરમિયાન 55 પાડાઓને કતલખાને લઈ જવામાં આવતાં બચાવી લેવામાં આવ્યા હતા.
પંજાબથી કેરળ જતું હતું 'મોતનું કન્ટેનર'
મળતી માહિતી મુજબ, પંજાબથી કેરળ લઈ જવાતા આ પાડાઓને બંધ બોડીના કન્ટેનરમાં હવા અને પાણી વગર અત્યંત અમાનવીય રીતે ભરવામાં આવ્યા હતા. કન્ટેનર ખોલતા જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં પશુઓની હાલત અત્યંત ખરાબ જણાઈ હતી.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે કન્ટેનર અટકાવી તપાસ હાથ ધરી હતી. ઘટનામાં 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે 2 આરોપીઓ હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કુલ ₹25.70 લાખથી વધુના મુદ્દામાલ સાથે વાહન કબજે કર્યું છે.
પશુ ક્રૂરતા અને ગેરકાયદેસર પરિવહન હેઠળ ગુનો
બચાવવામાં આવેલા તમામ પશુઓને તાત્કાલિક સારવાર અને સંભાળ માટે નજીકના પાંજરાપોળમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પશુ ક્રૂરતા અને ગેરકાયદેસર પરિવહન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સુરતમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સર્જાઈ : સચિન GIDCમાં અઢી વર્ષની માસૂમ બાળકીનું ધાબા પરથી પટકાતા કરુણ મોત
પ્રાથમિક તપાસમાં એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બીફની માંગને કારણે આ પ્રકારનું તસ્કરી નેટવર્ક સક્રિય થયું હોઈ શકે છે. આ ઘટનાએ ફરી એકવાર ગેરકાયદેસર પશુ પરિવહન સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.
પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપવા માટે તલાશ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.






