વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલા વિસ્તારોમાં અવારનવાર મગરો રહેણાંક વિસ્તારોમાં આવી ચઢતા હોય છે. આવી જ એક ઘટના શહેરના રાજમહેલ રોડ પર સામે આવી છે, જ્યાં એક નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ પર 8 ફૂટ લાંબો મગર દેખાતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે સમયસૂચકતા વાપરી મગરનું સલામત રેસ્ક્યુ કર્યું હતું.
તુષાર ઉત્તેકર અને તેમની ટીમ દ્વારા દિલધડક ઓપરેશન
ઘટનાની વિગતો મુજબ, રાજમહેલ રોડ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર મધ્યરાત્રિએ મગર હોવાની જાણકારી મળતા જ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ અંગે તુરંત જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી. સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ તુષાર ઉત્તેકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "અમને રાત્રિના સમયે કોલ મળ્યો હતો કે રાજમહેલ રોડ પર મગર દેખાયો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને હું અને મારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં આશરે 8 ફૂટ લાંબો મગર ખુલ્લામાં ફરી રહ્યો હતો, જેને પકડવો પડકારજનક હતો પરંતુ અમારી ટીમે ટેકનિકલ સાધનોની મદદથી તેને સહી-સલામત રેસ્ક્યુ કરી લીધો છે."

બ્રીડિંગ સીઝનને કારણે મગરોની હલચલ વધી: અરવિંદ પવાર
મગરો વારંવાર રહેણાંક વિસ્તારોમાં કેમ આવી રહ્યા છે તે અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, "હાલમાં મગરોની પ્રજનન (Breeding) સીઝન ચાલી રહી છે, જેના કારણે મગરો નદી કે તળાવમાંથી બહાર નીકળીને જમીન માર્ગે દૂર સુધી નીકળી જતા હોય છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી નજીક હોવાથી આવી ઘટનાઓ બને છે. શહેરીજનોએ આવા સમયે ગભરાવાને બદલે તાત્કાલિક સંસ્થા કે વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ જેથી કોઈ જાનહાની ન થાય."
આ પણ વાંચો: ગુજરાત સ્થાપના દિને સુરતમાં જામશે ઉદ્યોગોનો કુંભ : દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં રોકાણને મળશે નવી દિશા
મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો
કન્સ્ટ્રક્શન સાઇટ પરથી રેસ્ક્યુ કરાયેલા આશરે 8 ફૂટ લાંબા મગરને સુરક્ષિત પાંજરામાં પૂરીને વડોદરા વન વિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓની હાજરીમાં મગરની તપાસ કરવામાં આવી હતી અને તેને કોઈ ઈજા ન હોવાની ખાતરી કર્યા બાદ, તેને તેના કુદરતી આવાસમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મગરના રેસ્ક્યુ બાદ સ્થાનિક રહીશોએ મોટી રાહત અનુભવી હતી અને રેસ્ક્યુ ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી.






