Home Gujarat Vadodara Vadodara Jagannath Rath Yatra Police Security 2026

વડોદરામાં ભગવાન જગન્નાથ રથયાત્રા માટે પોલીસનો જડબેસલાક બંદોબસ્ત : 2000થી વધુ જવાનો રહેશે તૈનાત, પૂર્વ સંધ્યાએ રિહર્સલ પૂર્ણ

વડોદરામાં ભગવાન જગન્નાથ રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા યોજાયેલ સુરક્ષા રિહર્સલ.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 15, 2026, 11:20 AM IST

Vadodara News: વડોદરા શહેરમાં ગુરુવારે અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે નીકળશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાય તેવી સંભાવના છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થનારી રથયાત્રાને લઈને ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

શાંતિપૂર્ણ આયોજન માટે પોલીસ તંત્ર સજ્જ

રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર રૂટ પર સતત પેટ્રોલિંગ, ટ્રાફિક નિયંત્રણ અને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ તૈનાત રાખવાની યોજના બનાવવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરેક પાસા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા રિહર્સલ યોજાયું

રથયાત્રાના એક દિવસ પૂર્વે શહેર પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર મેગા રિહર્સલ યોજવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં વિવિધ પોલીસ દળોએ પોતાની ફરજો અને ઇમરજન્સી રિસ્પોન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. રિહર્સલ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

2000થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓ રહેશે તૈનાત

રથયાત્રા દરમિયાન શહેરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત 2000થી વધુ પોલીસ જવાનોને વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવશે. ઉપરાંત SRP, ટ્રાફિક પોલીસ, ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) સહિતના દળો પણ સ્ટેન્ડબાય રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી સતત નજર રાખવામાં આવશે.

ડ્રોનથી થશે હવાઈ નજર, દરેક હલચલ પર રહેશે વોચ

આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રથયાત્રા દરમિયાન ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર રૂટ પર હવાઈ નજર રાખવામાં આવશે. ભીડનું સંચાલન, ટ્રાફિકની સ્થિતિ અને કોઈપણ શંકાસ્પદ હલચલ પર તાત્કાલિક નજર રાખવા માટે કંટ્રોલ રૂમ સાથે ડ્રોન મોનિટરિંગને જોડવામાં આવ્યું છે. જરૂરિયાત મુજબ ત્વરિત કાર્યવાહી માટે ખાસ ટીમોને પણ એલર્ટ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: વડોદરામાં રક્ષિત કાંડ જેવો ભયાનક અકસ્માત : VIP રોડ પર હિટ એન્ડ રન, MS યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીઓને હવામાં ફંગોળ્યા, જુઓ CCTV

ભક્તોને પોલીસની અપીલ, નિયમોનું પાલન કરી સહયોગ આપવા અનુરોધ

પોલીસ તંત્રએ રથયાત્રામાં જોડાનારા ભક્તોને શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા અપીલ કરી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, પોલીસની સૂચનાઓનું અનુસરણ કરવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે નાગરિકોના સહયોગથી જ રથયાત્રા સુરક્ષિત અને સફળતાપૂર્વક સંપન્ન થઈ શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now