વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી અધિકારી અનિલ ધામેલીયાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, 21 હજારનો સ્ટાફ અને 7200થી વધુ પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન થશે. મહત્વની વિગતો આપતા જણાવ્યું હતું કે, મતદાન અને મતગણતરી માટેની તમામ તૈયારીઓ આખરી તબક્કામાં છે. શહેરમાં આ વખતે 21 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, જેના માટે તંત્રએ અભેદ્ય કિલ્લેબંધી જેવી વ્યવસ્થા ગોઠવી છે.
બેઠકોની સ્થિતિ અને વ્યવસ્થા
ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, કુલ બેઠકો પૈકી 46 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. બાકી રહેલી બેઠકો માટે શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 2406 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. 25 તારીખે સવારથી જ નિર્ધારિત સ્થળોએ EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ના ડીસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવશે.
મતદારોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા
ઉનાળાની ગરમી અને મતદારોની સગવડને ધ્યાને રાખીને તંત્રએ ખાસ આયોજન કર્યું છે. મૂળભૂત સુવિધા દરેક મતદાન મથક પર પીવાનું શુદ્ધ પાણી, બેસવા માટે છાંયડો અને મેડિકલ ટીમની તૈનાતી રહેશે. વિશેષ ધ્યાન દિવ્યાંગો અને વૃદ્ધ મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે વ્હીલચેર અને સહાયકોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ચુસ્ત સુરક્ષા અને માનવબળ
ચૂંટણી પ્રક્રિયાને ન્યાયી અને પારદર્શી બનાવવા માટે વિશાળ સ્ટાફ મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. 21,000થી વધુનો ચૂંટણી સ્ટાફ મતદાનની કામગીરી સંભાળશે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 7239 પોલીસ જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત, આચારસંહિતાના અમલ માટે તંત્ર સતર્ક છે. અત્યાર સુધી આચારસંહિતા ભંગની 20 ફરિયાદો મળી હતી, જેનો સત્વરે નિકાલ કરી દેવામાં આવ્યો હોવાનું ધામેલીયાએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી : આજે સાંજે પ્રચારના પડઘમ શાંત થશે, રવિવારે 10,000થી વધુ બેઠકો પર મતદાન
મતગણતરીનું કેન્દ્ર
મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ EVM મશીનોને ચુસ્ત સુરક્ષા વચ્ચે સીલ કરીને પોલિટેક્નિક કોલેજ ખાતે લઈ જવામાં આવશે. આ કોલેજને સત્તાવાર મતગણતરી કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં પરિણામોની જાહેરાત થશે. વડોદરાના મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્રની આ સજ્જતા શાંતિપૂર્ણ અને વધુમાં વધુ મતદાન સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.





