Home Gujarat Vadodara Mahisagar River Hathiyo Dharo Man Drowns Body Found After 24 Hours

કાળમુખા 'હાથિયો ધરો' એ વધુ એક જીવ લીધો : 5 વર્ષના પુત્રની નજર સામે પિતા મહીસાગરમાં તણાયા, 24 કલાક બાદ મૃતદેહ મળ્યો

વડોદરા હાથિયો ધરો
Published by: Chintan Chavda
Last Updated: Jun 15, 2026, 01:20 PM IST

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા જાણીતા પિકનિક સ્પોટ લાંછનપુરા નજીક મહીસાગર નદીના 'હાથિયો ધરો' વિસ્તારમાં વધુ એક દુર્ઘટના સામે આવી છે. રવિવારે અસહ્ય ગરમી વચ્ચે પરિવાર સાથે ફરવા આવેલા 40 વર્ષીય વ્યક્તિ નદીના ઊંડા પાણીમાં તણાઈ જતા તેમનું મોત નીપજ્યું હતું. સૌથી કરુણ બાબત એ રહી કે આ સમગ્ર ઘટના તેમના માત્ર 5 વર્ષના પુત્રની નજર સમક્ષ બની હતી.

મૃતકની ઓળખ આણંદના સરદારગંજ વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના વતની મુકેશ જબરારામ સરગરો તરીકે થઈ છે. રવિવારની રજા હોવાથી તેઓ પોતાના પાંચ વર્ષના પુત્ર અને બે સાળા સાથે લાંછનપુરા નજીક આવેલા મહીસાગર નદીના પટમાં ફરવા ગયા હતા. દરમિયાન નદીમાં નાહતી વખતે તેઓ અચાનક ઊંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા અને જોતજોતામાં નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.

વડોદરાવાસીઓ પર ફૂટ્યો મોંઘવારીનો બોમ્બ!: 1 જુલાઈથી રિક્ષાનું મિનિમમ ભાડું વધી જશે

માસૂમ પુત્રની આંખો સામે ડૂબી ગયા પિતા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મુકેશભાઈ નદીમાં નાહી રહ્યા હતા ત્યારે અચાનક તેમનો સંતુલન બગડ્યો હતો અને તેઓ ઊંડા પાણીમાં પહોંચી ગયા હતા. પોતાના પિતાને પાણીમાં ડૂબતા જોઈ પાંચ વર્ષના માસૂમ પુત્રએ ચીસો પાડી મદદ માટે બૂમાબૂમ શરૂ કરી હતી.

ઘટનાએ સ્થળ પર હાજર અન્ય સહેલાણીઓને પણ હચમચાવી દીધા હતા. લોકો તરત જ બચાવ માટે દોડી આવ્યા હતા, પરંતુ નદીનો પ્રવાહ અને ઊંડાણ વધુ હોવાથી મુકેશભાઈ સુધી પહોંચી શકાયું નહોતું. થોડી જ ક્ષણોમાં તેઓ પાણીમાં ગાયબ થઈ ગયા હતા.

આ ઘટનાએ ત્યાં હાજર લોકોમાં ગમગીની ફેલાવી દીધી હતી, જ્યારે પરિવારજનો માટે આ આઘાત સહન કરવો અત્યંત મુશ્કેલ બની ગયો હતો.

બોટાદમાં હનીટ્રેપ કૌભાંડનો પર્દાફાશ: યુવકને ફસાવી દેવાની ધમકી આપી પડાવ્યા 2.48 લાખ, એક આરોપીની ધરપકડ

24 કલાકની શોધખોળ બાદ મળી આવ્યો મૃતદેહ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, વડોદરા ERC ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રવિવારથી જ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

લગભગ 24 કલાક સુધી સતત ચાલેલી શોધખોળ બાદ સોમવારે ઘટનાસ્થળથી આશરે બે કિલોમીટર દૂર નદીના પટમાંથી મુકેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને બહાર કાઢી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની અંતિમ તપાસ રિપોર્ટમાં વિલંબ: 'ઝડપ નહીં, સત્ય વધુ મહત્વનું', નાગરિક ઉડ્ડયન મંત્રીનું નિવેદન

પરિવાર પર તૂટી પડ્યું દુઃખનું આભ

મૃતક મુકેશભાઈ પરિવારના એકમાત્ર કમાતા સભ્ય હતા. તેમના પિતાનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પોતાની વૃદ્ધ માતા, પત્ની અને પુત્ર સાથે આણંદમાં રહેતા હતા.

પરિવારના આધારસ્તંભ સમાન વ્યક્તિના અચાનક અવસાનથી સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ખાસ કરીને જે પુત્રએ પોતાના પિતાને આંખો સામે પાણીમાં તણાતા જોયા, તેના માટે આ ઘટના જીવનભર ભૂલી શકાય તેવી નથી.

સ્થાનિક લોકો અને પરિવારજનોમાં પણ ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. અંતિમવિધિ માટે મૃતદેહ પરિવારને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

'હાથિયો ધરો' કેમ બની રહ્યો છે મોતનો કૂવો?

લાંછનપુરા ગામ પાસે મહીસાગર નદીના પટમાં આવેલો 'હાથિયો ધરો' છેલ્લા ઘણા વર્ષોથી અકસ્માતોના કારણે ચર્ચામાં રહ્યો છે. કુદરતી સૌંદર્ય, પથ્થરો વચ્ચે વહેતું પાણી અને આકર્ષક કોતરોના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને યુવાનો અહીં પહોંચે છે.

પરંતુ દેખાવમાં આકર્ષક લાગતો આ વિસ્તાર વાસ્તવમાં અત્યંત જોખમી માનવામાં આવે છે. સ્થાનિકો જણાવે છે કે અહીં ઊંડા ખાડા, અચાનક વધતું ઊંડાણ અને પાણીના પ્રવાહના કારણે અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 300થી વધુ લોકો અહીં અકસ્માતનો ભોગ બની ચૂક્યા હોવાનું કહેવાય છે. આ કારણે વિસ્તારને લોકો 'મોતનો કૂવો' તરીકે પણ ઓળખવા લાગ્યા છે.

કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દિપકે સાથે લાફાવાળી: રાજસ્થાનના જયપુરમાં ભડકી ભીડ, સામે આવ્યો આખી ઘટનાનો Video

ચેતવણીઓ છતાં જોખમ લેતા સહેલાણીઓ

વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં નાહવા અને જોખમી સ્થળોએ જવા અંગે પ્રતિબંધાત્મક સૂચના બોર્ડ લગાવવામાં આવ્યા છે. અનેક વખત જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યા છે, છતાં રજા કે વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો ચેતવણીઓને અવગણીને પાણીમાં ઉતરી જાય છે.

સ્થાનિકોનું માનવું છે કે માત્ર ચેતવણીના બોર્ડ પૂરતા નથી. જોખમી વિસ્તારોમાં વધુ કડક સુરક્ષા વ્યવસ્થા, સતત પેટ્રોલિંગ અને પ્રવેશ નિયંત્રણ જેવી વ્યવસ્થાઓ જરૂરી બની ગઈ છે જેથી ભવિષ્યમાં આવી કરુણ ઘટનાઓ અટકાવી શકાય.

આ ઘટનાએ ફરી એકવાર મહીસાગર નદીના હાથિયો ધરો વિસ્તારમાં સુરક્ષાના પ્રશ્નોને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. એક ક્ષણની બેદરકારી કેવી રીતે આખા પરિવારનું જીવન બદલી શકે છે તેનું આ ઘટના કરુણ ઉદાહરણ બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now